નાનુભાઈ

સેવાવ્રતી નાનુભાઈ

કરાડીનું એક આગવું વ્યક્તીત્વ તે નાનુભાઈ સોમાભાઈ. આપણા વીભાગમાં ખાસ બહુ જાણીતા નહીં. જ્યાં જાણીતા હતા ત્યાં પણ ખાસ જાણીતા નહીં. મુકસેવક. ગાંધીજીની ગ્રામસેવાની પ્રવૃત્તીમાં એકનીષ્ઠ થઈને વેડછી આશ્રમમાં જુગતરામભાઈ દવે અને ચીમનભાઈ ભટ્ટના અંતરંગ સાથીદાર તરીકે જીવનના છેલ્લા શ્વાસ સુધી કામ કર્યું.

પાછામાં પાછા, નીચામાં નીચા,

દુબળાં બાપડાં જ્યાં, બીરાજે ચરણ આપનાં ત્યાં.

તેવા આદીવાસીઓની વચ્ચે પલાંઠી વાળીને બેઠા. વેડછી આશ્રમમાં શીક્ષક તરીકે જીવ્યા. કાંતણ, વણાટની તાલીમ આપી. વેડછી આશ્રમના છાત્રાલયોના એ મુખ્ય ગૃહપતી. આદર્શ ગૃહપતી કેવો હોવો જોઈએ તેનું ઉત્તમ દૃષ્ટાંત તેઓ પુરું પાડતા. ખેપાનીમાં ખેપાની વીદ્યાર્થી પણ નાનુભાઈ આગળ રાંક. વીદ્યાર્થીઓને વશ કરવાનું એમનું મોટામાં મોટું શસ્ત્ર તે વીદ્યાર્થી માટેનો એમનો પ્રેમ. નીર્વ્યાજ પ્રેમ. એ પ્રેમ થકી જ તેઓ એક સફળ ગૃહપતી તરીકે પંકાયેલા. નાનુભાઈ એટલે આશ્રમની મુછાળી માએમ કહેવાતું. અને તે સાચું કહેવાતું. અતીશયોક્તી અલંકાર ન હતો એ. વીદ્યાર્થીઓ તે એમનો પ્રીય વીષય. વીદ્યાર્થીઓનું ચારીત્ર્યઘડતર થાય, વીદ્યાર્થીઓ દેશના સાચા ઉત્તમ નાગરીકો બને તે એમનું લક્ષ્ય. તે માટે થાય તેટલું કરી છુટે. એમની મનગમતી પ્રવૃત્તી તે વેડછી આશ્રમની ગાયો. વેડછી આશ્રમની ગૌશાળા. એકેએક ગાયને નામ દઈને બોલાવે. ગાયો પણ એમને બરાબર ઓળખે. એયે ગાયોને વીદ્યાર્થીઓની જેમ સાચવે. આશ્રમની ગૌશાળા એટલે નમુનેદાર ગૌશાળા. વેડછી આશ્રમની મુલાકાતે તમે જાવ ત્યારે નાનુભાઈ કાં તો છાત્રાલયમાં હોય કાં તો ગૌશાળામાં. હોંશે હોંશે તમને ગૌશાળાની ગાયના દુધમાંથી બનાવેલો પેંડો પણ પ્રસાદરુપે આપે. આ જ એમની મુડી. મુડીમાં બીજું કંઈ ક્યાં હતું? બે ધોતીયાં ને બે સદરા. કફની પહેરી હોય ત્યારે માની લેવાનું કે નાનુભાઈ આજે બહાર જવાના છે. સત્યાગ્રહની અનેક લડતોમાં એમણે ભાગ લીધો હતો. ૧૯૩૦, ૧૯૩૨, ૧૯૪૨ની લડત વખતે માર પણ ખાધો હતો અને જેલ પણ ભોગવી હતી. વાલોડથી પકડાયા હતા. નાનુભાઈએ પોતાનું જીવન વેડછી આશ્રમને સમર્પીત કર્યું હતું. જુગતરામભાઈની અને ચીમનભાઈની માંદગી વખતે એમણે કરેલી સેવા કોઈ આશ્રમવાસી ભુલી શકે નહીં. તેઓ આજીવન બ્રહ્મચારી હતા. શ્વેત ખાદીનાં વસ્ત્રોમાં શોભતા ગાંધી જમાતના અકીંચન સાધુ. તપસ્વી મુક સેવક. નારાયણભાઈ દેસાઈએ ભુમીપુત્રમાં એમને વીષે એક સુંદર લેખ લખ્યો હતો, જેનું શીર્ષક હતું સેવાવ્રતી સત્યાગ્રહી નાનુભાઈ”. નારાયણ દેસાઈ દ્વારા આવું સન્માન મેળવવું તે બધાના નસીબમાં નથી હોતું.

1 responses to “નાનુભાઈ

Leave a reply to સુરેશ જાની જવાબ રદ કરો