દક્ષીણ આફ્રીકામાં ગાંધીજીના અનેક સાથીદારો હતા. તેમાંથી નવસારી વીભાગના કાછલીયા અને સાલેજના પ્રાગજીભાઈ તો ગાંધીજીની અતી નીકટ હતા. ગાંધીજી નવસારી આવેલા ત્યારે સાલેજ ચાલીને ગયેલા. એવા એમના લાગણીના સંબંધો. તેમાં જલાલપોર કાંઠા વિભાગના પણ બે જણા હતા. એક હતા મટવાડના નાના છીતા. નાના છીતાએ તો ગાંધીજીએ દક્ષિણ આફ્રીકા છોડ્યું તે પછી પણ ત્યાંની રંગભેદની નીતી સામેની લડત એક સાચા સત્યાગ્રહીની જેમ મૃત્યુ પર્યંત ચાલુ રાખી હતી. બીજા હતા આટ ગામના ફકીરા. ફકીરાભાઈ ભીખાભાઈ પટેલ. પણ ફકીરા તરીકે જ તેઓ ઓળખાતા. શરીરે ખડતલ અને પહાડ જેવા ઉંચા. પ્રભાવશાળી એવા કે એમની આંખોમાંથી પ્રગટતું તેજ સામેની વ્યક્તીને પોતાના બનાવી લેતું.
ફકીરા આમ તો એક સમાન્ય વ્યક્તી હતો. ગરીબ કુટુમ્બમાં જન્મ્યો હતો. પ્રાથમિક શાળાથી વિશેષ ભણતર નહીં. નો‘તી કોઈ વિશેષ લાયકાત પણ ગાંધીજીનાં પ્રથમ દર્શને જ તેઓ ગાંધીભક્ત બની ગયા હતા. પછી જીવ્યા ત્યાં સુધી ગાંધીજીનાં કામોમાં સાથે રહ્યા.
ફકીરા પાસે કોઈ આર્ષદૃષ્ટી જરૂર હતી. જેને કારણે તેઓ ગાંધીજીના અંતરના ઉંડાણમાં રહેલ માનવતાની ભાવનાને ઓળખી શક્યા હતા. ગાંધીજીએ પણ એમને અંતરના ઉમળકાથી વધાવી લીધા હતા. એમની સેવા અમૂલ્ય હતી. એટલે જ નમક સત્યાગ્રહ બાદ તા. ૮-૪-૧૯૩૦ ને દીવસે ગાંધીજીએ આટ ગામમાં જઈ ફકીરાના ઘરની મુલાકાત લીધી હતી. તા. ૫-૧-૧૯૧૬ ના રોજ નવસારીની જાહેર જનતાએ ગાંધીજીને માનપત્ર આપેલું તે પ્રસંગે ગાંધીજીએ સ્વ. ફકીરાની કામગીરીને બીરદાવતાં કહ્યું હતું : “દક્ષીણ આફ્રીકામાં મેં જે સેવા બજાવેલી તેનું માન મને મદદ કરનારાઓમાં શ્રી ફકીરાને ઘટે છે….” આ ફકીરા આપણું રત્ન છે. આપણી કીંમતી જણસ છે. એટલે જ શ્રી નારાયણભાઈ દેસાઈએ ‘મારું જીવન એ જ મારી વાણી‘ પુસ્તકમાં ગાંધીજીના દક્ષીણ આફ્રીકાના સાથીદારોના ફોટા મૂક્યા છે તેમાં ફકીરાનો ફોટો પણ મૂક્યો છે. એવા જ ગાંધીજીના બીજા અનુયાયી તે નાના સીતા. નાના સીતા વિષે, એમની ગાંધીજી સાથેની કામગીરી વિષે ભાગ્યે જ લખાયું છે. પણ દીલખુશભાઈ દીવાનજીએ નાના સીતા ગુજરી ગયા ત્યારે એમને ભાવાંજલી આપતો એક લેખ ‘ભૂમિપુત્ર‘ માં લખ્યો છે, તે જોઈએ :
ફકીરા વીષે મુ. પ્રભુદાસ ગાંધીએ ‘જીવનનું પરોઢ‘ પુસ્તકમાં સરસ નોંધ કરી છે. ગાંધીજીના અંતરંગ મંડળમાં એમનું શું સ્થાન હતું તેનો નિર્દેશ એમાં છે.
“….એ જ અરસામાં એક મોટા માણસ પણ ફીનીક્સ આવી વસ્યા. એ હતા શ્રી ફકીરાભાઈ. ફકીરાભાઈ અગીયાર વાર જેલ જઈ આવ્યા હતા. તેમણે જોહાનીસબર્ગમાં પરવાના વગર વારંવાર શાકફળની ફેરી કરીને ઉપરાઉપરી સજા મેળવી હતી. તેઓ જેલમાંથી છૂટતા કે તરત ફરી પાછા સત્યાગ્રહ કરીને જેલમાં પહોંચી જતા. અને એ રીતે દક્ષીણ આફ્રીકાના જેલયાત્રીઓમાં તેમણે પોતાનું નામ મોખરે રાખેલું. એટલી બધી વાર સજા પામેલા બીજા કોઈ સત્યાગ્રહીનું નામ દક્ષીણ આફ્રીકામાં આગળ આવ્યું ન હતું. હવે એમને પોતાની જેલ યાત્રાઓ બંધ કરીને હડતાળીયાઓને મદદ કરવા સારું ફીનીક્સ મોકલવામાં આવ્યા હતા. ફકીરાભાઈ કામ કરાવે બહુ જબરા હતા. ભૂખ્યા હડતાળીયાઓને સીધુ તોળી આપવાનું કામ એમને માથે હતું. એ કામ તેઓ લાગલગાટ બાર બાર અને પંદર પંદર કલાક સુધી કરતા અને કોઈને જરાયે તુંકારો ન કરતા, બધાની સાથે બહુ મીઠાશથી વર્તતા.”
0 responses so far ↓
There are no comments yet...Kick things off by filling out the form below.