સ્વાતંત્ર્ય સંગ્રામની ગૌરવગાથા
લેખકઃ દયાળભાઈ કેસરી
સંપાદકઃ મોહનભાઈ દાંડીકર
(ઉંઝા જોડણીમાં ઈન્ટરનેટ પરઃ ગાંડાભાઈ વલ્લભ)
ઈન્ટરનેટ આવૃત્તી-પ્રાસ્તાવીક
આ પુસ્તકના સર્વ હક્ક એના લેખક શ્રી દયાળભાઈ કેસરીના છે.
-ગાંડાભાઈ વલ્લભ
આ પુસ્તકનું સંપાદન સાહીત્યનો જ્ઞાનપીઠ પુરસ્કાર વીજેતા ગુજરાતીના જાણીતા સાક્ષર શ્રી. મોહનભાઈ દાંડીકરે કર્યું છે. ૨૦૦૫ સુધીમાં એમણે ૪૭ પુસ્તકો પ્રસીદ્ધ કર્યાં છે.
શ્રી દયાળભાઈ કેસરી શરુઆતમાં આ ગાથા કહેતા ગયેલા અને ભાઈશ્રી બળવંતભાઈ છીમા એને કાગળ પર ઉતારતા ગયા હતા. આ ઉપરાંત દયાળભાઈ પાસે બીજી જે કંઈ સામગ્રી (કોર્ટ કેસના જજમેન્ટની નકલ, છાપાની નકલ, જેલનાં કેટલાંક સર્ટીફીકેટ, શહીદોના ફોટા વગેરે પૈકી જરુરી) હતી તે બધું એમણે મોહનભાઈને સોંપ્યું હતું અને મોહનભાઈએ એને પુસ્તક સ્વરુપે મુક્યું. એને ફેબ્રુઆરી ૨૦૦૬માં પ્રસીદ્ધ કરવામાં આવ્યું.
દયાળભાઈનો ચાર પેઢી સુધીનો પરીવાર અહીં ન્યુઝીલેન્ડમાં છે. તેઓ ભાગ્યે જ ગુજરાતી વાંચી શકે છે. આથી એનું અંગ્રજીમાં ભાષાંતર પ્રગટ કરવાની પણ એમની ઈચ્છા છે. અંગ્રેજીમાં અનુવાદનું કામ એમણે મને સોંપ્યું ત્યારે આ પુસ્તક બધાના લાભ માટે ઈન્ટરનેટ પર મુકવાનું મેં સુચન કર્યું, જે એમણે સ્વીકાર્યું. દયાળભાઈની મંજુરીથી આ પુસ્તકને ઉંઝા જોડણીમાં મુકવાનું નક્કી કર્યું છે.
આમાંની કેટલીક વાતો મેં દયાળભાઈના સ્વમુખે સાંભળી છે. “રાજપીપળાથી નવસારી” પ્રકરણ મુળ પુસ્તકમાં નથી. આ વાત દયાળભાઈ જ્યારે અહીં વેલીંગ્ટન આવ્યા ત્યારે મેં એમની પાસે સાંભળી અને મેં એનો સમાવેશ આ ઈન્ટરનેટ આવૃત્તીમાં કર્યો છે. તે જ રીતે “જવાહરલાલ નહેરુ” પણ મુળ પુસ્તકમાં નથી, પણ આ આવૃત્તીમાં સમાવેશ કરવામાં આવ્યો છે. દયાળભાઈનું કહેવું છે કે અમુક વીગતો રહી જવા પામી છે તેનો નવી આવૃત્તીમાં સમાવેશ કરવો જોઈએ.
દયાળભાઈ કહે છે, “દાંડીના ત્રણ મીત્રો શ્રી મોહનભાઈ દાંડીકર, શ્રી ધીરુભાઈ હી પટેલ અને શ્રી દયાળજી મો પટેલના સહકાર વીના આ પુસ્તકનું પ્રકાશન કાર્ય શક્ય બન્યું ન હોત.”
મોહનભાઈ દાંડીકર કહે છે, “દયાળભાઈની વીશેષતા એ છે કે એમની પાસે અનુભવનું ભાથું છે. રજુઆતની આવડત છે. અભ્યાસ પણ છે, માત્ર લખવા ખાતર લખ્યું નથી. મનોમંથન કર્યું છે. વરસો સુધી મનમાં ઘુંટાયા કર્યું છે. પછી કલમ ઉપાડી છે. આ પુસ્તકની ખાસ વીશેષતા એ છે કે કેટલાક પ્રસંગો અહીં પહેલી વાર રજુ થયા છે. (સ્વાતંત્ર્ય લડત વીષે ઘણાં પુસ્તકો પ્રગટ થયાં છે.) તે પ્રસંગોથી હું ઘણો જ પ્રભાવીત થયો છું.”
તેઓ વધુમાં કહે છે, “આ પુસ્તકમાં લેખો આઝાદીની લડત અંગેના છે, એ લડતમાં જોડાયેલા આગેવાનો અંગેના છે. એ આગેવાનોનાયે આગેવાન મહાત્મા ગાંધી અંગેના છે. આશા રાખું છું, જેમણે આ લડતમાં ભાગ લીધો છે તેમને અને જેઓ આ માહોલથી સાવ અપરીચીત છે, અલીપ્ત છે, તેમને પણ ‘૪૨ના લડતના ઈતીહાસની આ વાતો ગમશે જ.”
Comment
વહાલા ભાઈ,
બ્લોગની દુનીયા મારે માટે હજી નવી જ છે. અમારા સૌના વહાલા ટૅક્સાસ નીવાસી મીત્ર સુરેશ જાનીએ તમારી આ લીંક મોકલી અમને ખુબ જ આનંદ અને સંતોષ આપ્યો.. આભાર સુરેશભાઈ.. પ્રાસ્તાવીકમાં તમે લખો છો કે, દયાળભાઈ કહે છે, “દાંડીના ત્રણ મીત્રો શ્રી મોહનભાઈ દાંડીકર, શ્રી ધીરુભાઈ હી પટેલ અને શ્રી દયાળજી મો. પટેલના સહકાર વીના આ પુસ્તકનું પ્રકાશન કાર્ય શક્ય બન્યું ન હોત.” આ વાંચ્યું ત્યારે મને બહુ ગમ્યું કારણ કે આ ત્રણે મારા વીદ્યાપીઠકાળના સહાધ્યાયી મીત્રો છે અને મને તેનું ગૌરવ છે..
ભાઈ, તમે આ ન્યુઝીલેન્ડ બેઠે લખો છો કે ? તમને જાણીને આનંદ થશે કે અમારા એક અમદાવાદી મીત્ર અને લોકભારતીના સ્નાતક શ્રી જુગલકીશોર નવી પેઢીનેયે રસ પડે તેવી વાત લઈને હાલ તેઓ આવ્યા છે. તેમણે ‘ગાંધીદર્શન’—
http://mahatmaji.wordpress..com/ નામનો બ્લોગ શરુ કર્યો છે..
મુ. શ્રી નારાયણભાઈ દેસાઈનું પુસ્તક ‘સંત સેવતાં સુકૃત વાધે’ તેમણે હપ્તે હપ્તે ત્યાં મુકવા માંડ્યું છે. નારાયણભાઈએ જાતે તેમને આશીષ આપ્યા. મહામનાને મન કે સામાન્ય વાચકનેય જોડણી મહત્ત્વની નથી.. તમારું આ લખાણ શુદ્ધ સાર્થમાં જ છે.. માત્ર બબ્બે ‘ઈ–ઉ’ને બદલે તમે એકેક જ વાપર્યાં છે એટલું જ, જે યોગ્ય જ છે; કારણ કે તે અર્થભેદક જ રહ્યા નથી.. તેથી ક્યાં સુધી તે નીરર્થક કર્મકાંડ નીભાવવો ? માટે તે બાબતનો સંકોચ રાખશો નહીં…
અમારી ઘણી ઘણી શુભેચ્છા સૌના આ પુરુષાર્થ બદલ.. ભાઈ, ગાંધી નામનું માટીનું કોડીયું ગાયના શુદ્ધ ઘીથી બળે છે અને સાવ ઝીણો તોય ચોખ્ખો પ્રકાશ પાથરે છે જેની આ જગતને સદા ગરજ રહેવાની.. અમારા મીત્ર મોહનભાઈ દાંડીકરને અભીનંદન પહોંચાડજો અને પુજ્ય દયાળજી કેસરીજીને અમારા ભાવભીના પ્રણામ પાઠવજો..
ઈ–મેઈલ કરશો તો ગમશે..
..ઉત્તમ અને મધુ..સુરત.. uttamgajjar@hotmail.com
નમસ્તે ઉત્તમભાઈ,
આપનું ઈ-મેઈલ મળ્યું કે તરત પહેલું કામ મુ. દયાળભાઈ કેસરીને ઓક્લેન્ડ ફોન કરવાનું કર્યું. હું ન્યુઝીલેન્ડના પાટનગર વેલીંગ્ટનમાં છું. ઓક્લેન્ડ અને વેલીંગ્ટન વચ્ચે ૬૫૦ કી.મી.નું અંતર છે.
શ્રી. દયાળભાઈ મો. પટેલ સાથે સારો પરીચય થયો છે. એમનાં સંતાનો બધાં અહીં વેલીંગ્ટનમાં છે. આથી દયાળભાઈ અહીં રહીને ગયા છે. ગયા વર્ષે દેશ આવવાનું થયેલું ત્યારે દાંડી એમને મળવા પણ ગયેલો. મારું ગામ બોદાલી, દાંડીથી બહુ દુર નથી. સુરત એમ.ટી.બી. કોલેજમાં પણ બે વર્ષ ૧૯૬૧-૬૨ અને ૧૯૬૨-૬૩માં ભણવા માટે ગયેલો. ધીરુભાઈ સાથે પણ સાધારણ પરીચય ખરો. મોહનભાઈ દાંડીકરને જોયેલા ખરા, પરીચય થયો નથી.
ગાંધીવીચારમાં મને રસ છે.
નારાયણભાઈ દેસાઈ સાથે કદાચ ૧૯૬૯માં એક વાર અખીલ ભારત સર્વોદય શીબીરમાં ૧૫ દીવસ સાથે રહેવાનું થયેલું. દેશમાં હતો ત્યારે ભુમીપુત્ર નીયમીત વાંચતો. એમાં આવતા નારાયણભાઈના લેખો મને ખાસ ગમતા. હું ૩૩ વર્ષથી અહીં છું. શ્રી જુગલકીશોરભાઈનો બ્લોગ મેં જોયો છે.
-ગાંડાભાઈનાં સ્નેહવંદન.
નોંધઃ આ પુસ્તક દયાળભાઈ કેસરીએ આચાર્ય મણીભાઈ, દયાળભાઈનાં માતા લાલીબહેન, અને એમનાં પત્ની ડાહીબેનને અર્પણ કરેલું છે.
પ્રસ્તાવના
-દયાળજી કેસરી
અનેક મીત્રોએ વારંવાર વીનંતી કરી કે દયાળજી તમારાં લડત અંગેનાં સ્મરણો લખવાં જોઈએ. તેમાંના અનેક મીત્રો આજે અવસાન પામ્યા છે. શ્રી રમેશભાઈ, છીબુભાઈ, જોગીભાઈ, નરસીંહભાઈ વગેરે બહુ ઓછા જીવે છે. હું પણ સંધ્યાકાળમાં જ છું.
ખુબ ખુબ ઉંડા મનોમંથન બાદ સમજાયું કે સૈનીકોના વારસો પાસે આ માહીતી રહેવી જોઈએ. અને બની શકે તેટલી સાચી માહીતી લખાવી જોઈએ. ભાઈ જી. સી.એ અને ભાઈ જેકે એમનાં સ્મરણોની પુસ્તીકાઓ બહાર પાડી જ છે. બીજા કેટલાક ભાઈઓએ પણ લખ્યું છે. મેં સંકલ્પ કર્યો છે કે દરેક સૈનીકના પરીવારને આ પુસ્તક મફત મળવું જોઈએ. એ દેશમાં, કાંઠા વીભાગમાં હોય કે પછી ઈંગ્લેન્ડ, આફ્રીકા, કેનેડા, ન્યુઝીલેન્ડમાં હોય ત્યાં એને પહોંચાડવા માટે પ્રમાણીકપણે સક્રીય પ્રયત્નો કરવામાં આવશે.
હું લેખક પણ નથી અને વીદ્વાન પણ નથી. જેથી કેટલીક ટુંકમાં વીગતો આપી છે. લડતનો આ સંપુર્ણ ઈતીહાસ નથી. પણ હવે પછીની પેઢી માટે આ એક સંશોધન-રીસર્ચનો વીષય જરુર છે.
આપણા કાંઠા વીભાગમાં રાષ્ટ્રવાદનો મુળ પાયો તો આપણી ચાર રાષ્ટ્રીય શાળાઓ છે. બોદાલી, કરાડી, મટવાડ અને બોરી ફળીયા. એ બધાંની શરુઆત પ્રજાના પૈસાથી થયેલી. જેમ ગુજરાત વીદ્યાપીઠે મણીભાઈ જેવા અનેક સેવકો પેદા કર્યા, તેમ આ રાષ્ટ્રીય શાળાઓએ રાષ્ટ્રવાદી સૈનીકો પેદા કર્યા. આજે એમાંની એક માત્ર કરાડી શાળા નભેલી છે.
આ લખેલી માહીતીમાં કોઈ વીગતદોષ જણાય તો આપણી પાસે કોર્ટમાં કેસ ચાલેલા તેનાં જજમેન્ટની નકલો છે. વળી કેટલાકનાં જેલસર્ટીફીકેટો પણ છે. શહીદોના ફોટા વગેરે પણ છે. બની શકે તેટલી સાચી માહીતી આપવા પ્રયત્ન કર્યો છે. સુભાષચંદ્ર બોઝની આઝાદ હીંદ ફોજમાં જોડાયેલા ભાઈનો ફોટો પણ છે. દુઃખની વાત એ છે કે સ્વરાજ મળ્યા પછી આપણા દરેક સ્વાતંત્ર્ય સેનાનીઓને યોગ્ય ન્યાય મળ્યો નથી.
આ પુસ્તક નીમીત્તે મારે બીજા પણ કેટલાક હેતુઓ પાર પાડવાના છે.
પ્રથમ તો એ કે અમને રાષ્ટ્રીયતાનો રંગ લગાડનાર, સ્વાતંત્ર્ય સેનાની બનાવનાર આચાર્ય મણીભાઈ અને મટવાડ પ્રા.શા.ના શીક્ષક નાગરજીભાઈ જેવા ગુરુજનો તથા લડતના સાથીદાર જેવા અનેક મીત્રોને યાદ કરી મૈત્રીઋણ અદા કરવું છે. તથા બીજું એ કે કાંઠા વીભાગની ખમીરવંતી ધરતીને પ્રણામ પાઠવવા છે. આઝાદીની લડતનો આંખે દેખ્યો હેવાલ પ્રજા સમક્ષ રજુ કરવો છે. અને ત્રીજું એ કે ભવીષ્યની પેઢી માટે પ્રેરણાત્મક ભવ્ય ભુતકાળ દર્શાવવો છે. આમ ત્રીવીધ હેતુસર આ પુસ્તકનું નીર્માણ થયું છે.
આ બધાં સંસ્મરણો લખવામાં ભાઈ શ્રી બળવંતભાઈએ મને ખુબ મદદ કરી છે. એમની પાસે પણ સારી લેખનકળા છે. ભાષા પ્રભુત્વ છે. એટલે પ્રસંગોનું આલેખન કરવામાં બળવંતભાઈ ખુબ જ ઉપયોગી નીવડ્યા છે. તે બદલ એમનો ખુબ ખુબ આભારી છું.
દાંડીના ત્રણ મીત્રો શ્રી મોહન દાંડીકર, શ્રી ધીરુભાઈ હી. પટેલ અને શ્રી દયાળજી મો. પટેલના સહકાર વીના આ પુસ્તકનું પ્રકાશન કાર્ય શક્ય બન્યું ન હોત. તેમાંયે શ્રી મોહન દાંડીકરે તો એનું સંપાદન કાર્ય પોતે, જાતે, સુપેરે પાર પાડ્યું. પ્રસંગો મારા પણ આલેખન મોહનભાઈનું. કરાડીના સ્વ. જેકભાઈનું પુસ્તક પણ એમણે જ સંપાદીત કર્યું હતું. સંપાદક તથા અનુવાદકનો ખુબ બહોળો અનુભવ ધરાવનાર મોહનભાઈના હાથે આ પુસ્તકનું સંપાદન કાર્ય થયું છે. તે મોટું અહોભાગ્ય ગણાય. ધીરુભાઈ અને દયાળજીભાઈને સોંપીને હું તો પાછો ન્યુઝીલેન્ડ ચાલ્યો આવ્યો હતો. ત્રણે મીત્રોએ મળીને આ કાર્ય પાર પાડ્યું તે બદલ એમનો સૌનો અંતઃકરણથી આભાર માનું છું.
અંતમાં આ લખાયેલી તમામ વીગતોની જવાબદારી મારી છે. મેં તટસ્થ ભાવે નીરુપણ કર્યું છે. હું તો એમ ઈચ્છું કે હવે પછી પણ આ સ્વાતંત્ર્ય સંગ્રામમાં જેમણે પ્રત્યક્ષ ભાગ લઈ કાર્ય કર્યું છે, તે દરેકે પણ પોતાની રીતે સ્વાતંત્ર્ય સંગ્રામનો ઈતીહાસ આલેખવો જોઈએ. જેથી વીવીધ દૃષ્ટીથી, નોખી લેખનપદ્ધતીથી, યુવાપેઢીને એમનો ઈતીહાસ જાણવા મળે.
અંતમાં આ પુસ્તકના નીર્માણમાં જેમણે પણ પ્રત્યક્ષ કે અપ્રત્યક્ષ સહકાર આપ્યો છે તેમનો ઋણસ્વીકાર તથા દીવંગત મીત્રોને શ્રદ્ધાંજલી અર્પી વીરમું છું.
સંપાદકની નજરે
-મોહન દાંડીકર
મારી કીશોર અવસ્થામાં મેં પણ આઝાદીની લડતમાં ભાગ લીધો છે. અમે સરઘસો કાઢતા, આઝાદીનાં ગીતો ગાતા-ગવડાવતા, પત્રીકાઓ વહેંચતા. શ્રી દયાળભાઈ કેસરીએ લખેલું આ પુસ્તક – “સ્વાતંત્ર્ય સંગ્રામની ગૌરવગાથા-” તૈયાર કરતી વખતે ફરી એ દીવસો યાદ આવ્યા. આંખ સામે બધું તાદૃશ થવા માંડ્યું-કોઈ ચીત્રપટની જેમ.
“સ્વાતંત્ર્ય સંગ્રામની ગૌરવગાથા-” પુસ્તકમાં ‘૪૨ની ક્રાંતીનાં ખમીર અને ખુમારી’ આબાદ ઝીલાયાં છે. દયાળજીભાઈની એ વીશેષતા છે. એમની પાસે અનુભવનું ભાથું છે. રજુઆતની આવડત છે. અભ્યાસ પણ છે. માત્ર લખવા ખાતર લખ્યું નથી. મનોમંથન કર્યું છે. વરસો સુધી મનમાં ઘુંટાયા કર્યું છે. પછી કલમ ઉપાડી છે.
પણ આ પુસ્તકની ખાસ વીશેષતા એ છે કે કેટલાક પ્રસંગો અહીં પહેલી વાર રજુ થયા છે. બહુ સમતોલપણે, તટસ્થભાવે રજુ થયા છે. તે પ્રસંગોથી હું ખુબ જ પ્રભાવીત થયો છું. તેને કારણે આ પુસ્તકની ગુણવત્તા, પુસ્તકનું મુલ્ય, વધી જાય છે. રજુઆત કરનારનું પણ. જે વ્યક્તીઓના સંદર્ભમાં એ પ્રસંગો લખાયા છે તેમને વીશે આપણો આદર વધી જાય છે. ઓહ! આવા હતા આપણા ધુરીણો! એમ થાય છે.
દયાળજીભાઈનો ખુબ ખુબ આભાર. આ પુસ્તક દ્વારા એમણે આવાં વ્યક્તીત્વોનો, ચરીત્રોનો, પરીચય કરાવ્યો. જે મીત્રો આ વાતથી, વાતાવરણથી, સાવ અપરીચીત છે તેમને પણ એ પ્રસંગો ગમશે. એ વાતો ગમશે. એવા થોડા પ્રસંગોનો ઉલ્લેખ કરુંઃ
(૧) સુભાષચંદ્ર બોઝની આઝાદહીંદ ફોજમાં આપણા દેલવાડા તરફના આઠ ભાઈઓ હતા. સુભાષબાબુ એમના ખબરઅંતર પુછવા આવતા. તે વાત અહીં પહેલી વાર રજુ થઈ છે.
(૨) આપણા વીભાગનાં ૩૦૦ ભાઈબહેનો ધરાસણા સત્યાગ્રહમાં જોડાયેલાં. તેમાં કોથમડીના ફકીરભાઈને પોલીસોએ ખુબ મારેલા. તે કારણે તેમને બે મહીના સુધી મુંબઈની હોસ્પીટલમાં રહેવું પડેલું.
(૩) આચાર્ય મણીભાઈ વીશે છુટક છુટક આપેલી વીગતો પણ આગેવાન તરીકેની મણિભાઈની સુંદર છબી ઉપસાવે છે. સોડીયા વડવાળો કેસ મોતીલાલ વીણ લડેલા અને તેમણે પોતાની ફી લીધી ન હતી-મણીભાઈની અંગત ઓળખાણને કારણે.
(૪) સોડીયા વડવાળો પ્રસંગ તો બહુ જાણીતો છે. તેમાં રવજીભાઈ છીબાની ભુમીકા મહત્વની હતી તે વાત અહીં સરસ રીતે મુકાઈ છે. પોલીસ પાસેથી ભરેલી બંદુક ઝુંટવી લેવી તે રવજીભાઈ ગટી જેવા ભડનું કામ.
(૫) રવજીભાઈની મર્દાનગીનો એક બીજો પ્રસંગ પણ આ પુસ્તકમાં આવે છે. ભુગર્ભવાસી મીત્રોમાંથી બે જણ કોર્ટમાં હાજર થઈ જવાનો નીર્ણય કરે છે. તેમને રવજીભાઈ પોતાના પર ધરપકડનો વોરંટ હોવા છતાં બળદગાડામાં મુકવા જાય છે. પોતાની ઉપર વોરંટ હોવા છતાં વટથી કોર્ટમાં આવવું, તેમાં છાતી જોઈએ. અત્યાર સુધી તેમના વીશે આટલી સરસ રીતે લખાયું નથી.
(૬) ડાહીબેનની નીડરતાનો પ્રસંગ પણ બહુ સરસ રીતે મુકાયો છે. પોલીસો દેલવાડા ગામને ઘેરી લે છે-મધરાતે. ગામ તો ભર ઉંઘમાં છે. દેલવાડામાંથી ૧૦ જણની ધરપકડ થાય છે. તેમાં દયાળભાઈ પણ છે. શું થવાનું છે તેની કંઈ ખબર નથી. પણ ડાહીબેન પોલીસના ઘેરામાંથી સીફતથી છટકી જાય છે. બાજુવાળાં પાનીબેનના ઘરે પહોંચી જાય છે. પાનીબેન એમને રસોડાની પેટીમાં સંતાડી દે છે. તરત જ પોલીસો દોડી આવે છે. પાનીબેનને પુછે છેઃ “અહીં ડાહી નામની છોકરી આવી છે?” પાનીબેન ઠાવકાઈથી કહે છેઃ “ના રે ના, અહીં તો ડાહીયે નથી ને ગાંડીયે નથી.” પોલીસો ભોંઠા પડીને ચાલી જાય છે.
આ પુસ્તકમાં આવા બીજા પણ સરસ સરસ પ્રસંગો છે. જેને લીધે આ પુસ્તક વધુ રોચક, વધુ વાચનક્ષમ બન્યું છે. પણ અહીં અટકું.
૧. ગાંધીજી દક્ષીણ આફ્રીકામાં
કુદરતની કળાનો ખેલ ઘણી વાર મનુષ્યો પામી શકતા નથી. કોઈક પામે છે તે તેનું મુલ્યાંકન કરી શકતા નથી. અને જેઓ મુલ્યાંકન કરી શકે છે તેઓ કાર્યદક્ષ નીવડી શકતા નથી. આ સંસારના સર્જનહારને તો ધર્મઅધર્મના ત્રાજવામાં તોળીને સમગ્ર બ્રહ્માંડનો વ્યવહાર કરવો પડે છે. સર્જનહાર કોઈનાં પાપ કે પુણ્ય માથે લેતો નથી. પરંતુ જ્યારે અધર્મનું આચરણ માઝા મુકે છે ત્યારે ભગવાન એના કોઈ વીશ્વાસુ ભક્તને નીમીત્ત બનાવી એનો નાશ કરવા મોકલે છે.
ગાંધીજીના જીવનનો અભ્યાસ કરીશું તો સમજાશે કે હીન્દુસ્તાનની આઝાદીનો યશ ભગવાને એ પુણ્યાત્માના નામે જ પ્રસ્થાપીત કર્યો હશે. તે માટે જ ગાંધીજીનો દક્ષીણ આફ્રીકાની યાત્રાનો યોગ નીર્માયો હશે. સૃષ્ટીના સર્જનહારે એમ માન્યું હશે કે હીન્દુસ્તાનની આઝાદીના આ સ્વપ્ન દૃષ્ટાને, ઘડવૈયાને, પ્રથમ તો માનવો ઉપર થતા અમાનુષી અત્યાચારોનું દર્શન કરાવું. એટલે એમણે ગાંધીજીને દક્ષીણ આફ્રીકા મોકલ્યા હશે.
આમ તો ગાંધીજી દક્ષીણ આફ્રીકા એક વકીલના દુભાષીયા તરીકે ગયા હતા. તે સમયે એમના મનમાં ધંધાકીય લક્ષ સીવાય બીજો કોઈ ખ્યાલ નહીં હોય. પરંતુ ત્યાં ગયા પછી અન્યાય અને ઉત્પીડનના એક પછી એક એવા અનુભવોમાંથી એ પસાર થતા ગયા કે કરમચંદ ગાંધીના આ કાચા હીરા પર પાકા પહેલ પડતા ગયા. દક્ષીણ આફ્રીકાના નીવાસ દરમીયાન એમને અનેક અપમાનો સહન કરવાં પડ્યાં. અમાનુષી અત્યાચારો સહેવા પડ્યા. અન્યાયના કડવા ઘુંટડા ગળવા પડ્યા. છતાં તેઓ ડગ્યા નહીં. ન તો કોઈ પ્રકારનો ભય તેમને ડરાવી શક્યો. અનેક વાર જેલ યાત્રાઓ ભોગવી, છતાં તેઓ વીચલીત ન થયા. ગાંધીજીને એવી ખાતરી થઈ ચુકી હતી કે ઈશ્વર તેમની કસોટી કરી રહ્યો છે.
દક્ષીણ આફ્રીકામાં ત્યાંની અંગ્રેજ સરકાર ત્યાંના હીન્દુસ્તાનીઓ પર જાત જાતના જુલમો કરતી હતી. તેની સામે સત્યાગ્રહ કરીને, અસહકાર કરી લડીને, તેને નમાવીને ગાંધીજી ૧૯૧૫માં દેશમાં પાછા આવ્યા. એ રીતે દક્ષીણ આફ્રીકા ગાંધીજીના જીવનનું એક ઉજ્જવળ અને ગૌરવશાળી પ્રકરણ છે. જેમાંથી એ મહાત્મા ગાંધી બનીને બહાર આવ્યા.
ગાંધીજીના સાથીદારો
દક્ષીણ આફ્રીકામાં ગાંધીજીના અનેક સાથીદારો હતા. તેમાંથી આપણા નવસારી વીભાગના કાછલીયા અને સાલેજના પ્રાગજીભાઈ તો ગાંધીજીની અતી નીકટ હતા. ગાંધીજી નવસારી આવેલા ત્યારે સાલેજ ચાલીને ગયેલા. એવા એમના લાગણીના સંબંધો. તેમાં આપણા કાંઠા વીભાગના પણ બે જણા હતા. એક હતા મટવાડના નાના છીતા. નાના છીતાએ તો ગાંધીજીએ દક્ષીણ આફ્રીકા છોડ્યું તે પછી પણ ત્યાંની રંગભેદની નીતી સામેની લડત એક સાચા સત્યાગ્રહીની જેમ મૃત્યુ પર્યંત ચાલુ રાખી હતી. બીજા હતા આટ ગામના ફકીરા. ફકીરાભાઈ ભીખાભાઈ પટેલ. પણ ફકીરા તરીકે જ તેઓ ઓળખાતા. શરીરે ખડતલ અને પહાડ જેવા ઉંચા. પ્રભાવશાળી એવા કે એમની આંખોમાંથી પ્રગટતું તેજ સામેની વ્યક્તીને પોતાના બનાવી લેતું.
ફકીરા આમ તો એક સમાન્ય વ્યક્તી હતો. ગરીબ કુટુમ્બમાં જન્મ્યો હતો. પ્રાથમીક શાળાથી વીશેષ ભણતર નહીં. નો‘તી કોઈ વીશેષ લાયકાત પણ ગાંધીજીનાં પ્રથમ દર્શને જ તેઓ ગાંધીભક્ત બની ગયા હતા. પછી જીવ્યા ત્યાં સુધી ગાંધીજીનાં કામમાં સાથે રહ્યા.
ફકીરા પાસે કોઈ આર્ષદૃષ્ટી જરુર હતી. જેને કારણે તેઓ ગાંધીજીના અંતરના ઉંડાણમાં રહેલ માનવતાની ભાવનાને ઓળખી શક્યા હતા. ગાંધીજીની દીવ્ય દૃષ્ટીને પીછાણી શક્યા હતા. ગાંધીજીએ પણ એમને અંતરના ઉમળકાથી વધાવી લીધા હતા. એમની સેવા અમુલ્ય હતી. એટલે જ નમક સત્યાગ્રહ બાદ તા. ૮-૪-૧૯૩૦ ને દીવસે ગાંધીજીએ આટ ગામમાં જઈ ફકીરાના ઘરની મુલાકાત લીધી હતી. તા. ૫-૧-૧૯૧૬ ના રોજ નવસારીની જાહેર જનતાએ ગાંધીજીને માનપત્ર આપેલું તે પ્રસંગે ગાંધીજીએ સ્વ. ફકીરાની કામગીરીને બીરદાવતાં કહ્યું હતું : “દક્ષીણ આફ્રીકામાં મેં જે સેવા બજાવેલી તેનું માન મને મદદ કરનારાઓમાં શ્રી ફકીરાને ઘટે છે….” આ ફકીરા આપણું રત્ન છે. આપણી કીંમતી જણસ છે. એટલે જ શ્રી નારાયણભાઈ દેસાઈએ ‘મારું જીવન એ જ મારી વાણી‘ પુસ્તકમાં ગાંધીજીના દક્ષીણ આફ્રીકાના સાથીદારોના ફોટા મુક્યા છે તેમાં આપણા ફકીરાનો ફોટો પણ મુક્યો છે. ગાંધીજીના એ સાથીદારોને સલામ. આપણા વીભાગના એવા જ ગાંધીજીના બીજા અનુયાયી તે નાના સીતા. નાના સીતા વીષે, એમની ગાંધીજી સાથેની કામગીરી વીષે ભાગ્યે જ લખાયું છે. પણ આપણા દીવાનજીભાઈએ નાના સીતા ગુજરી ગયા ત્યારે એમને ભાવાંજલી આપતો એક લેખ ‘ભુમીપુત્ર‘ માં લખ્યો છે, તે જોઈએ:
ફકીરા વીષે મુ. પ્રભુદાસ ગાંધીએ ‘જીવનનું પરોઢ‘ પુસ્તકમાં સરસ નોંધ કરી છે. ગાંધીજીના અંતરંગ મંડળમાં એમનું શું સ્થાન હતું તેનો નીર્દેશ એમાં છે.
“….એ જ અરસામાં એક મોટા માણસ પણ ફીનીક્સ આવી વસ્યા. એ હતા શ્રી ફકીરાભાઈ. ફકીરાભાઈ અગીયાર વાર જેલ જઈ આવ્યા હતા. તેમણે જોહાનીસબર્ગમાં પરવાના વગર વારંવાર શાકફળની ફેરી કરીને ઉપરાઉપરી સજા મેળવી હતી. તેઓ જેલમાંથી છુટતા કે તરત ફરી પાછા સત્યાગ્રહ કરીને જેલમાં પહોંચી જતા. અને એ રીતે દક્ષીણ આફ્રીકાના જેલયાત્રીઓમાં તેમણે પોતાનું નામ મોખરે રાખેલું. એટલી બધી વાર સજા પામેલા બીજા કોઈ સત્યાગ્રહીનું નામ દક્ષીણ આફ્રીકામાં આગળ આવ્યું ન હતું. હવે એમને પોતાની જેલ યાત્રાઓ બંધ કરીને હડતાળીયાઓને મદદ કરવા સારું ફીનીક્સ મોકલવામાં આવ્યા હતા. ફકીરાભાઈ જ્યાં બેઠા હોય ત્યાંથી સહેજે ઉઠે નહીં. બેઠા બેઠા વાતોના ચાપડા માર્યા જ કરે. પણ જ્યારે ઉઠે ત્યારે કામ કરાવે બહુ જબરા હતા. ભુખ્યા હડતાળીયાઓને સીધુ તોળી આપવાનું કામ એમને માથે હતું. એ કામ તેઓ લાગલગાટ બાર બાર અને પંદર પંદર કલાક સુધી કરતા અને કોઈને જરાયે તુંકારો ન કરતા, ગરીબમાં ગરીબની સાથેય બહુ મીઠાશથી વર્તતા.”
નાના સીતા
(નાના સીતા તા. ૨૩-૧૨-૬૯ના રોજ અવસાન પામ્યા હતા. તેમને વીષે શ્રી દીવાનજીભાઈએ તા. ૧૧-૧-૭૦ના ‘ભુમીપુત્ર‘ માં શ્રદ્ધાંજલી લેખ લખ્યો હતો, તે અહીં પ્રસ્તુત છે.)
નાના સીતા નવસારી જીલ્લાના મટવાડ ગામના રહીશ. શ્રી લલ્લુ્ભાઈ મકનજીના પીતરાઈ ભાઈ. એમના વડીલો દક્ષીણ આફ્રીકામાં વ્યાપારધંધા અર્થે વર્ષો પહેલાં ગયેલા. ૧૯૨૧માં હીંદ આવેલા ત્યારે ગાંધીજીની અસહકારની લડતમાં નાના સીતાએ ભાગ લીધો હતો. સત્ય, અહીંસા અને પ્રેમ વીષેના બાપુના આગ્રહો આ યુવાનના અંતરને સ્પર્શી ગયા. બાપુના એ ભક્ત અને અનુયાયી થતા ગયા અને છેવટ સુધી રહ્યા.
દક્ષીણ આફ્રીકાની જુલમી થતી જતી રંગભેદની નીતી સામે સતત સત્યાગ્રહની લડત આપનાર નાના સીતાનું ૨૩-૧૨-૬૯ ના રોજ ૭૫ વર્ષની ઉંમરે અવસાન થયું. નાના સીતા અણનમ સત્યાગ્રહી હતા. જ્યારે દક્ષીણ આફ્રીકાની હીન્દી પ્રજા રંગભેદની જુલમી નીતીને મુંગે મોઢે સહન કરી ગુલામી જેવી દશા ભોગવી રહી હતી ત્યારે કવીવર ટાગોરના ‘એકલો જાને રે‘ ના ભવ્ય ગીતનો જીવનમાં સાક્ષાત્કાર કરતા નાના સીતાએ અજબ પ્રેરણા અને બળ મેળવેલાં. ગ્રુપ એરીયાના કાળા કાયદા સામે એમણે સતત સત્યાગ્રહો કર્યા હતા. એ કાયદાના પરીણામે હજારો હીન્દીઓને એમનાં વર્ષો જુનાં રહેઠાણોમાંથી દુર કરવામાં આવ્યા. એમની દુકાનોમાંથી પણ એમને ખસેડી હીન્દીઓ માટેની અલગ વસાહતોમાં તેમને મોકલી દીધા.
૧૯૬૫નું વર્ષ હતું. આ કાયદાની સામે થવા નાના સીતાએ ફરી સત્યાગ્રહ કર્યો. એમનું જુનું રહેઠાણ હરક્યુલસ છોડી દેવાના સરકારી હુકમનો એમણે ઈન્કાર કરી, એ ગોઝારા કાયદાનો સવીનય ભંગ કર્યો. ૨૮મી ઑગષ્ટે કોર્ટમાં એમને ખડા કરવામાં આવ્યા. એમનાં પત્ની પ્રેમીબેન પતીના આ સત્યાગ્રહમાં એમની પડખે રહ્યાં. ગોરી સરકાર વધુ અકળાઈ અને મુંઝાઈ.
તે દીવસે મેજીસ્ટ્રેટ સમક્ષ કરેલા પોતાના નીવેદનમાં નાના સીતાએ જે બુલંદ અવાજ ઉઠાવ્યો તે ૧૯૨૨માં બાપુએ અમદાવાદની કોર્ટમાં કરેલા ભવ્ય નીવેદનનું સ્મરણ તાજું કરાવે છે:
” આ ઘાતકી કાયદાને કારણે જે અમાનુષી વર્તાવ હીન્દીઓ પ્રતી કરવામાં આવે છે તે માનવ જાતી સામેનો ગુનો છે. પરમેશ્વર સામેનું પાપ છે. એક દીવસ એવો આવશે જ્યારે આ કાયદા ઘડનારાઓએ આ પાર્લામેન્ટથી પર એવી જે પરમ શક્તી છે તેની સમક્ષ ખડા થવું પડશે. આ કાયદાને પરીણામે જે યાતનાઓ હીન્દીઓને ભોગવવી પડી છે તે માટે એ પરમ શક્તીને કાયદા ઘડનારાઓએ જવાબ આપવો પડશે. પરંતુ મારી પ્રાર્થના છે કે ભગવાન આ લોકોને ક્ષમા કરે.
આ કાયદાનો ભંગ કરી તેનો વીરોધ કરવા હું તમારી સામે ખડો થયો છું. મારો અંતરાત્મા આ ગોઝારા કાયદાને કબુલ કરવા ના પાડે છે. અંતરાત્માના પરમ આદેશને હું માથે ચડાવું છું. આથી આ કાયદા આગળ હું હરગીઝ નમતું આપવા માગતો નથી. હું તો મહાત્મા ગાંધીનો નમ્ર અનુયાયી છું. ગાંધીજીએ આચરી બતાવેલા સત્ય, પ્રેમ અને અહીંસાના વીચારોમાં મારી શ્રદ્ધા અટલ છે. આથી હું મારો પરમ ધર્મ સમજું છું કે મારે આ અન્યાય અને જુલમનો સામનો કરવો. આમ કરતાં કાયદાના ભંગને કારણે મારે જે શીક્ષા ભોગવવી પડે તે માટે હું તૈયાર છું.
તમે મને જો ગુનેગાર ગણશો તો જે શીક્ષા તમે કરશો તે માટે હું તૈયાર છું. સહન કરીશ. આમ કરતાં મને જે દુ:ખો ભોગવવાં પડશે તે મારા દેશબાંધવો રોજેરોજ કાયદાને પરીણામે જે દુ:ખો ભોગવી રહ્યા છે તેની આગળ નજીવાં છે.
હું તો જે યાતનાઓ ભોગવીશ તે તો સત્ય, ન્યાય, પ્રેમને માટેની યાતનાઓ હશે. જો દક્ષીણ આફ્રીકાની ગોરી પ્રજાના અંતરને મારી આ યાતનાઓથી સ્પર્શ કરી શકાશે તો મારો આ સતયાગ્રહ સાર્થક ગણીશ. મારી ઉંમર ૬૯ વર્ષની છે. હું વાના રોગથી હેરાન થતો રહ્યો છું. પરંતુ તે કારણ માટે હું કંઈ તમારી પાસે દયાની યાચના કરવા નથી માગતો, તમે મને જે શીક્ષા કરશો તે માટે હું તો તૈયાર જ છું.”
નાના સીતાનું નીવેદન સાંભળી કોર્ટમાં હાજર રહેલાની આંખો ભીની થઈ. પરંતુ મેજીસ્ટ્રેટે તો નાના સીતાને ગુનેગાર ઠરાવી શીક્ષા કરી જ.
નાના સીતા એકલા હતા તો યે ત્યાંની ગોરી સરકાર એમનાથી ગભરાતી. પોતાના વતનમાં જવા માટે એમણે અવારનવાર પાસપોર્ટ માગ્યો. ગોરી સરકારે એમને સ્વદેશ ન જવા દીધા. એમને ચીંતા થતી કે ત્યાં જઈ ગોરી સરકારના જુલમ આ સત્યાગ્રહી વીર બહાર પાડશે. જીવનભર તેઓ બાપુના સત્ય અને અહીંસાના માર્ગે અનન્ય શ્રદ્ધાથી રંગભેદની જુલમી નીતી સામે લડતા જ રહ્યા.
એ એકલા હતા, છતાં અણનમ રહ્યા. જ્યારે એમને પ્રશ્ન કરવામાં આવતો કે તમે એકલા સત્યાગ્રહ કરશો તેથી કંઈ ગોરી સરકાર રંગભેદની નીતી હળવી નહીં કરે. ત્યારે સત્યાગ્રહમાં અનન્ય શ્રદ્ધા રાખનારા નાના સીતા જવાબ આપતા:
“ભલે બીજા મને સાથ ન આપે, તેથી કંઈ જેને હું અન્યાય અને જુલમ ગણું છું તેને મારો અંતરાત્મા કેમ સાંખી લે? ભલે હું તદ્દન એકલો હોઉં, છતાં હું આવા જુલમી કાયદાને કદી પણ સહકાર નહીં જ આપું.”
નાના સીતાનો સત્યાગ્રહ જીવનપર્યંત ચાલુ જ રહેલો. આ એમનો ભવ્ય સત્યાગ્રહ તો બાપુને આપેલી એમની સર્વોત્તમ શ્રદ્ધાંજલી હતી.
૨. સ્વદેશાગમન
“ડંકો વાગ્યો લડવૈયા શુરા જાગજો રે
શુરા જાગજો રે કાયર ભાગજો રે – ડંકો વાગ્યો.”
ડંકો વગાડીને આપણા દેશના લોકોને લડવાની તૈયારી કરવાનું કહેનાર અને અંગ્રેજો જેઓ આપણા દેશ પર રાજ કરતા હતા તેમને અહીંથી ભાગી જવાનું કહેનાર હતા મહાત્મા ગાંધી. એ વખતે અંગ્રેજો આપણી ઉપર રાજ કરતા હતા. એમણે આપણા દેશને ખુબ લુંટ્યો. ફોલી ખાધો. આપણા ગૃહગ્રામઉદ્યોગોનો નાશ કરી નાખ્યો. આવા અંગ્રજો સામે આપણા દેશના લોકોએ વારે વારે લડતો આપી.
પહેલી લડત ૧૮૫૭માં આપણા દેશી સીપાઈઓએ કરી. ગોરા સીપાઈઓ આપણા દેશી સીપાઈઓનું ડગલે ને પગલે અપમાન કરતા હતા. એ લોકો કુતરા હોય એમ હડહડ કરતા. પણ જ્યારે આપણા સીપાઈઓને ધર્મભ્રષ્ટ કરવાનો પ્રયત્ન થયો ત્યારે તેમણે અંગ્રેજ અમલદારો તથા સીપાઈઓ પર હુમલો કર્યો. એમની કતલ કરી. દેશના ઘણા ભાગોમાં અંગ્રેજોને ભગાડ્યા. દીલ્હીની ગાદી પર બહાદુર શાહ ઝફરને બેસાડ્યા. અંગ્રેજોને આપણા દેશના લોકોની તાકાતનો પરચો મળી ગયો. એ લડાઈમાં ઝાંસીની રાણી લક્ષ્મીબાઈ ‘મેરી ઝાંસી નહીંં દુંગી’ કહીને અંગ્રેજો સામે તલવારથી લડી હતી. એ લડાઈમાં હીન્દુ તથા મુસલમાન બન્ને ખભેખભા મીલાવીને લડ્યા હતા. લડાઈ એકાએક શરુ થઈ હોવાથી અને હથીયારો પુરતાં ન હોવાથી આપણે હારી ગયા હતા. (“હીન્દ છોડો લડત”માંથી)
ગાંધીજી આ ઐતીહાસીક હકીકતથી વાકેફ હતા. એટલે એમણે દક્ષીણ આફ્રીકામાં અંગ્રેજ સરકાર જેવા મગરમચ્છ સામે નવી જ રીત અજમાવી- દુનીયામાં કોઈએ ન અજમાવી હોય એવી. શસ્ત્રની સામે શસ્ત્ર નહીંં, તેમાં તો જે બળીયો હોય તે જ ફાવે. વેરની સામે વેર નહીંં-અવેર. દુશ્મનને પણ ચાહવો. તેનો હૃદયપલટો કરવો. જુલમ સહન ન કરવો. તેમ કરતાં કુરબાન થઈ જવું પડે તો કુરબાન થઈ જવું, પણ જુલમગારને તાબે ન થવું. આત્મશક્તીને જગાડતો આ મંત્ર એમણે શીખવ્યો. સત્ય, અહીંસા, સત્યાગ્રહ એમનાં શસ્ત્રો હતાં. જેના વડે એમણે ત્યાંની ગોરી સરકારને નમાવી હતી. કોઈ માનવા તૈયાર ન હતું. પણ આ ઈતીહાસ હતો, ૧૮૯૪ થી ૧૯૧૫ સુધીનો. મોહનદાસ કરમચંદ ગાંધી એ ઈતીહાસ રચનારા હતા, સર્જક હતા.
અમેરીકન લશ્કરી અમલદાર જનરલ ડગ્લાસ મૅક આર્થરે સાચું જ લખ્યું હતુ: “સભ્યાતાની ઉત્ક્રાંતીમાં જો એણે ટકવું હશે, તો સૌ કોઈને છેવટે ગાંધીની જેમ એ નીષ્કર્ષ પર આવ્યા વીના છુટકો નથી કે મતભેદના પ્રશ્નોને ઉકેલવા શસ્ત્રો વાપરવાની રીત એ મુળે માત્ર ખોટી જ નથી, પણ એ રીતની અંદર જ આત્મહત્યાનાં બીજ રહેલાં છે.” સશસ્ત્ર યુદ્ધની નાકામયાબી ખુદ લશ્કરી વડાએ કબુલ કરી છે.
એ મહાત્મા ગાંધી ૧૯૧૫માં વીજયી બનીને સ્વદેશ પાછા ફર્યા. ઠેરઠેર લોકોએ એમનું સ્વાગત કર્યું. એમને પોંખ્યા. રાષ્ટ્રીય આગેવાનોએ એમને સ્વતંત્રતાની લડતમાં ભાગ લેવા આગ્રહ કર્યો. પણ એમના રાજકીય ગુરુ ગોખલેએ એવું સુચન કર્યું કે સ્વરાજ્યની લડતમાં ભાગ લેવા પહેલાં એક વરસ હીન્દુસ્તાનનો પ્રવાસ કરો. તે પ્રમાણે ગાંધીજી એક વરસ આખા દેશમાં ફર્યા. દેશનાં દર્શન કર્યાં.
કાશી વીદ્યાપીઠમાં
૧૯૧૬માં ગાંધીજી કાશી વીદ્યાપીઠની સ્થાપનાના સંમેલનમાં ગયા. કાશી વીશ્વવીદ્યાલયની એ સભાના મંચ પર આખા દેશમાંથી આવેલા રાજામહારાજાઓ બીરાજેલા હતા. ખુદ વાઈસરૉય પોતે પણ હાજર હતા. એની બેસન્ટ અધ્યક્ષ હતાં. મંચ પર બીરાજેલા રાજામહારાજાઓના શરીર પર કીમતી આભુષણો ઝગારા મારી રહ્યાં હતાં. એના ચળકાટથી આંખો અંજાઈ જતી હતી, એવા વાતાવરણમાં દેશી સાળ પર વણાયેલી ખાદીનું જાડું અંગરખું પહેરીને અને માથે કાઠીયાવાડી પાઘડી બાંધીને ગાંધીજીએ પ્રવેશ કર્યો. લોકોએ એમના તરફ જોયું, પણ તેઓ ખામોશ હતાં. તેમને ખબર હતી કે આ ગામડીયા જેવા દેખાતા માણસે દક્ષીણ આફ્રીકાની ગોરી સરકારને ફેં ફેં કરાવી દીધી હતી. … અને પછી ગાંધીજીએ મૌન તોડ્યું. જેણે દેશનો નકશો બદલી નાખ્યો. ઈતીહાસ બદલી નાખ્યો. એમણે પોતાની મૌનયાત્રાનો ઉલ્લેખ કરતાં કહ્યું: “આખા દેશમાં ફર્યા પછી આ દેશના લોકોની અસહ્ય ગરીબી જોઈને હું આશ્ચર્યચકીત થઈ ગયો છું. મને સતત એવું લાગ્યા કર્યું છે કે આ દેશ તો ઘણો સુખીસમૃદ્ધ હતો. લોકો એને સોનાની ચીડીયા કહેતા હતા. એ ધનવૈભવ ક્યાં ગયો? આ મંચ પર રત્નો અને આભુષણોનો ઝગમગાટ જોઈને મને ખ્યાલ આવી ગયો કે આ દેશની લક્ષ્મી ક્યાં ગઈ છે? જો મારું ચાલે તો આ જે સંપત્તી છે તે હું દેશનાં લાખો કરોડો ગરીબ લોકોમાં વહેંચી દઉં!.. હું પણ ક્રાંતીકારી છું….”
અધ્યક્ષ સ્થાને બેઠેલાં એની બેસન્ટે ગાંધીજીને આ વાત પર બોલતા અટકાવ્યા. પણ ગાંધીજીએ નીચે બેઠેલા શ્રોતાજનોને પુછ્યું: “મારું ભાષણ પુરું કરી દઉં?” અધ્યક્ષશ્રી જવાબ આપે તે પહેલાં લોકો જ બોલી ઉઠ્યાં: “ના. ના અમારે ગાંધીજીને સાંભળવા છે.” અને ગાંધીજીએ જે કંઈ કહ્યું તેણે દેશના ઈતીહાસને નવી દૃષ્ટી આપી. ૧૯૧૬ એટલે પ્રથમ વીશ્વયુદ્ધના એ જમાનામાં આવું બોલવાનો શું અર્થ થાય તે કહેવાની જરુર નથી. પણ તે દીવસે ગાંધીની વાણીમાં નવો સંકલ્પ ઘોષીત થયો હતો, જેણે દેશની સીકલ બદલી નાખી.
ચંપારણ સત્યાગ્રહ
૧૯૧૭ની શરુઆતમાં લખનૌમાં મહાસભાનું સંમેલન હતું. ગાંધીજી આ સંમેલનમાં ગયા. ત્યાં રાજકુમાર શુક્લ નામના એક ખેડુતે ગાંધીજીને ચંપારણ (બીહાર) આવવા વીનંતી કરી. ગાંધીજીએ એ વીનંતી સ્વીકારી ચંપારણની મુલાકાત લીધી. ચંપારણમાં ગળીની ખેતી થતી હતી. એેના માલીકો અંગ્રેજો હતા. ખેડુતો જમીનના ૩/૨૦ ભાગમાં ગળીનું વાવેતર કરી મુળ માલીકોને કાયદેથી આપવા બંધાયેલા હતા. આ પ્રથાને ‘તીન કઠીયા‘ તરીકે ઓળખવામાં આવતી હતી. આ રીતે ખંડુતો પર થતા અન્યાયથી ગાંધીજીનું હૃદય આક્રંદ કરી ઉઠ્યું. તેમણે ચંપારણના ખેડુતોનો પ્રશ્ન હાથમાં લીધો. એટલે તેમની ઉપર ફોજદારી કાયદાની કલમ ૧૪૪ પ્રમાણે કેસ કરવામાં આવ્યો. કેસની સુનાવણી વખતે મેજીસ્ટ્રેટ અને સરકારી વકીલ ગભરાતા હતા. કેસ મુલતવી રાખવા સરકારી વકીલે જણાવ્યું. ત્યારે ગાંધીજીએ કહ્યું કે કેસ મુલતવી રાખવાની જરુર નથી. ગુનો મને કબુલ છે. મેં સરકારી આદેશની અવગણના કરી છે. તેમ કરવાનો મને પુરેપુરો અધીકાર છે. ચંપારણના ખેડુતોના કેસની મારે પુરેપુરી તપાસ કરવી છે. કેવળ ખેડુતોની જ નહીંં, પરંતુ નીલવરોની પણ મુલાકાત લઈ, સંપુર્ણ તપાસ કરવા ઈચ્છું છું. એમ કરતાં જેલ જવું પડે તો તે માટે પણ મારી પુરી તૈયારી છે. ખેડુતોને સહાય કરવાની બાબતમાં અને કેસની તપાસ કરવાની બાબતમાં વકીલ બ્રજકીશોરબાબુ અને રાજેન્દ્રબાબુનો પુરો સહકાર મળ્યો હતો. આ બંને બીહારના પ્રતીષ્ઠીત વકીલો હતા. આચાર્ય કૃપલાનીએ પણ મદદે આવવા વચન આપ્યું હતું. આ રીતે ચંપારણના સત્યાગ્રહનો તખ્તો ગોઠવાયો હતો. ગાંધીજીએ આગેવાની લીધી. ચંપારણની આ લડતથી હીન્દુસ્તાનને સત્યાગ્રહ અને સવીનય કાનુનભંગનો નવો પદાર્થપાઠ મળ્યો.
ભારતમાં આવ્યા પછી ગાંધીજીએ ગુજરાતના ખેડા જીલ્લામાં તથા બીહારના ચંપારણ જીલ્લામાં ખેડુતો પર સરકારે સારો પાક ન ઉતર્યો હોવા છતાં કમરતોડ મહેસુલ વધાર્યું હતું, તેના વીરોધમાં ખેડુતો પાસે સત્યાગ્રહ કરાવ્યો હતો. જેને લીધે મહેસુલ વધારો પાછો ખેંચવાની સરકારને ફરજ પડી હતી.
ગાંધીજીને મળેલી આ પહેલી સફળતા.
બેરીસ્ટર ગાંધી દક્ષીણ આફ્રીકાથી આવ્યા પછી બીજે જ વર્ષે ચંપારણના ગરીબ ખેડુતોનો પ્રશ્ન લડવા ગયા ત્યારે ત્યાં કેવી રીતે રહેતા હતા તે વીષે એમની સાથે ગયેલાં મણીબેન પરીખે એક સરસ પ્રસંગ લખ્યો છે, તે જોઈએ:
અમે મોતીહારી ગયાં ત્યારે ત્યાં ખુબ જ ઠંડી હતી. અમારી પાસે ઓઢવા પાથરવાનું કંઈ જ સાધન ન હતું. એક શેતરંજી અને એક ઓશીકું હતું. તે નરહરીભાઈને આપ્યું. બીહારથી એક રુપીયાનો એક ધાબળો લીધો. કપડાનું ઓશીકું કરીએ. ખુબ જ ઠંડી. એટલે હું અને દુર્ગાબેન સાથે સુઈ જઈએ. તો યે હુંફ જ ન મળે. મહાદેવભાઈ અને નરહરીભાઈ બહાર પાટ પર ભેગી પથારી કરીને સુઈ જાય. બાપુ પાસે પણ એક જ ધાબળો. તે અડધો નીચે પાથરે અને અડધો ઓઢે. મહાદેવભાઈ ને નરહરીભાઈ સુવા જાય ત્યારે બાપુ કહે કે, “મહાદેવ, આ બધાં છાપાં છે તે મારી ઉપર નાખો.” બાનું પણ આમ જ ચાલે. અમે બધાંને ઠંડીનો સરસ અનુભવ થાય.
લોકનાડ પારખવા માટે ગાંધીજીએ શું શું ન કર્યું? શું શું ન વેઠ્યું? કડકડતી ઠંડીમાં અડધો ધાબડો ઓઢવો ને અડધો પાથરવો ને છાપાં ઓઢી સુઈ રહેવું એ રીતે પ્રજાની ગરીબાઈના જાતઅનુભવ દ્વારા ગાંધીજીએ ભારતના જાહેર જીવનમાં પ્રવેશ કર્યો.
૩. ઐતીહાસીક દાંડીકુચ
ઈતીહાસની ઝાંખી કરીશું તો એવું જોવા મળશે કે સ્થાનીક ધરતી ઉપર જે કંઈ પાકે છે તેની ઉપર તે તે પ્રજાનો અધીકાર હોય છે. કુદરતની કૃપાથી, કુદરતી વીસ્તારમાં જે કંઈ ઉત્પન્ન થતું હોય તેની ઉપર અંકુશ મુકવો કે કરવેરા નાખવા તે ત્યાંની પ્રજાને અન્યાય કરવા બરાબર છે. બ્રીટીશ સરકારે ભારતમાં નમકનો કાયદો કરી ૨૪૦૦ ટકા નમકવેરો નાખ્યો હતો. તે દ્વારા વરસે દહાડે ૬ કરોડ રુપીયા સરકારની તીજોરીમાં જમા થતા હતા.
આ અન્યાયનો પ્રતીકાર કરવા ગાંધીજીએ ૧૯૩૦ની સાલમાં એક જબરજસ્ત લડત ઉપાડી, અને તે માટે નવસારી પાસે આવેલા દાંડી ગામની પસંદગી કરી.
હીન્દુસ્તાન પાસે ૪૮૦૦ કીલોમીટરનો વીશાળ દરીયા કીનારો છે. આ દરીયા કીનારા ઉપર અનેક શહરો વસેલાં છે. આ બધાં શહેરો પૈકી ગાંધીજીએ દાંડી જેવા નાના ગામને જ શા માટે પસંદગી આપી હશે?
ગાંધીજીએ દક્ષીણ આફ્રીકામાં રંગભેદની નીતી સામે જે લડત ઉપાડેલી અને તેમાં સફળતા મેળવેલી તેમાં તેમને કાંઠાની પ્રજાનો સહકાર મળ્યો હતો. આટના શ્રી ફકીરા અને મટવાડના નાના સીતા એમના સાથીદારો હતા. તે સીવાય શ્રી કાછલીયા અને સાલેજના પ્રાગજીભાઈ ખંડુભાઈ જેવા બીજા અનેક વફાદાર યુવાનો એમની સાથે હતા. તેમની દેશદાઝ અને બલીદાનની ભાવનાનો ગાંધીજીને પરીચય થઈ ગયો હતો. માતૃભુમી પ્રત્યની તેમની ભક્તી અને વફાદારીને કારણે ગાંધીજીએ દાંડી ગામની પસંદગી કરી હોય એમ બનવા સંભવ છે.
ગાંધીજીની લડવાની રીત અનોખી હતી. ચોરીછુપીથી કે છળકપટથી કંઈ કરતા નહીં. ડંકો વગાડીને સામેવાળાને જાણ કરતા. બને ત્યાં સુધી સમાધાન કરવાનો પ્રયત્ન કરતા. સમાધાન ન જ થાય તો પોતે જે નક્કી કર્યું હોય તે કરતા. દાંડીકુચ કરતાં પહેલાં એમણે સમાધાન માટે લૉર્ડ અર્વીનને વીગતવાર પત્ર લખ્યો. એ પત્ર રેજીનાલ્ડ રેનલ્ડ્સ નામના એક યુવાન મારફતે હાથોહાથ પહોંચાડ્યો, પણ એનો પ્રતીસાદ મોળો હતો. બોદો હતો. પત્ર વાંચીને ગાંધીજીએ કહ્યું: “પગે પડીને મેં જ્યાં ખાવાનું માગ્યું ત્યાં ભાણામાં મને પથરા મળ્યા!” એટલે પછી લડત અનીવાર્ય બની ગઈ. લડત માટે એમણે આખા દેશમાંથી પોતાન ૮૧ ચુનંદા બલીદાની સાથીદારોની પસંદગી કરી.
દાંડીકુચના એક્યાસી સૈનીકો
1. મહાત્મા ગાંધીજી ગુજરાત વય ૬૧
2. પ્યારેલાલજી પંજાબ વય ૩૦
3. છગનલાલ નથ્થુભાઈ જોષી ગુજરાત વય ૩૫
4. પંડીત નારાયણ મોરેશ્વર ખરે મહારાષ્ટ્ર વય ૪૨
5. ગણપતરાવ ગોડસે મહારાષ્ટ્ર વય ૨૫
6. પૃથ્વીરાજ લક્ષ્મીદાસ આસર કચ્છ વય ૧૯
7. મહાવીર ગીરી નેપાલ વય ૨૦
8. બાળ દત્તાત્રેય કાલેલકર મહારાષ્ટ્ર વય ૧૮
9. જયંતી નથ્થુભાઈ પારેખ ગુજરાત વય ૧૮
10. રસીક દેસાઈ ગુજરાત વય ૧૭
11. વીઠ્ઠલ લીલાધર ઠક્કર(પહેલા શહીદ)ગુજરાત વય ૧૬
12. હરખજી રામજીભાઈ હરીજન ગુજરાત વય ૧૮
13. તનસુખ પ્રાણશંકર ભટ્ટ ગુજરાત વય ૨૦
14. કાંતીલાલ હરીલાલ ગાંધી ગુજરાત વય ૨૦
15. છોટુભાઈ ખુશાલભાઈ પટેલ ગુજરાત વય ૨૦
16. વાલજીભાઈ ગોવીંજી દેસાઈ ગુજરાત વય ૩૫
17. પન્નાલાલ બાલાભાઈ ઝવેરી ગુજરાત વય ૨૫
18. અબ્બાસ ગુજરાત વય ૨૦
19. પુજાભાઈ શાહ ગુજરાત વય ૨૫
20. માધવજીભાઈ ઠક્કર કચ્છ વય ૪૦
21. નારણજીભાઈ કચ્છ વય ૨૨
22. મગનભાઈ વોરા કચ્છ વય ૨૫
23. ડુંગરશીભાઈ કચ્છ વય ૨૭
24. સોમાલાલ પ્રાગજીભાઈ પટેલ ગુજરાત વય ૨૫
25. હસમુખરાય જોખાકર ગુજરાત વય ૨૫
26. દાઉદભાઈ (મુસ્લીમ) મુંબઈ વય ૨૫
27. રામજીભાઈ વણકર ગુજરાત વય ૪૫
28. દીનકરરાય પંડ્યા ગુજરાત વય ૩૦
29. દ્વારકાનાથ મહારાષ્ટ્ર વય ૩૦
30. ગજાનન ખરે મહારાષ્ટ્ર વય ૨૫
31. જેઠાલાલ રુપારેલ કચ્છ વય ૨૫
32. ગોવીંદ હરકરે મહારાષ્ટ્ર વય ૨૫
33. પાંડુરંગ મહારાષ્ટ્ર વય ૨૨
34. વીનાયક આપ્ટેજી(શારદાબેન) મહારાષ્ટ્ર વય ૩૩
35. રમધીરરાય સંયુક્તપ્રાંત વય ૩૦
36. સુલતાનસીંહ રાજપુતાના વય ૨૫
37. ભાનુશંકર દવે ગુજરાત વય ૨૨
38. મુનશીલાલ સંયુક્તપ્રાંત વય ૨૫
39. રાઘવજી કેરલ વય ૨૫
40. રાવજીભાઈ નાથાભાઈ પટેલ ગુજરાત વય ૩૦
41. શીવાભાઈ ગોકળભાઈ પટેલ ગુજરાત વય ૨૭
42. શંકરભાઈ ભીખાભાઈ પટેલ ગુજરાત વય ૩૫
43. જશભાઈ ઈશ્વરભાઈ પટેલ ગુજરાત વય ૨૦
44. સુમંગલપ્રકાશજી સંયુક્તપ્રાંત વય ૨૫
45. ટાઈટસજી કેરલ વય ૨૫
46. કૃષ્ણ નાયર કેરલ વય ૨૫
47. તપન નાયર કેરલ વય ૨૫
48. હરીદાસ વરજીવનદાસ ગાંધી ગુજરાત વય ૨૫
49. ચીમનલાલ નરસીલાલ શાહ ગુજરાત વય ૨૪
50. શંકરન કેરલ વય ૨૫
51. સુબ્રહ્મણ્યમ આંધ્ર પ્રદેશ વય ૨૫
52. રમણીકલાલ મગનલાલ મોદી ગુજરાત વય ૩૮
53. મદનમોહન ચતુર્વેદી રજપુતાના વય ૨૭
54. હરીલાલ માહીમતુરા મુંબઈ વય ૨૭
55. મોતીબાસદાસ ઉત્કલ વય ૨૦
56. હરીદાસ મજમુદાર ગુજરાત વય ૨૫
57. આનંદ હીંગોરાની સીંધ વય ૨૪
58. મહાદેવ માર્તંડ કર્ણાટક વય ૧૮
59. જયંતીપ્રસાદ સંયુક્તપ્રાંત વય ૩૦
60. હરીપ્રસાદ સંયુક્તપ્રાંત વય ૨૦
61. ગીરીધરધારી ચૌધરી બીહાર વય ૨૦
62. કેશવ ચીત્રે મહારાષ્ટ્ર વય ૨૫
63. અંબાલાલ શંકરભાઈ પટેલ ગુજરાત વય ૨૫
64. વીષ્ણુ પંત મહારાષ્ટ્ર વય ૨૫
65. પ્રેમરાજજી પંજાબ વય ૩૫
66. દુર્ગેશચંદ્ર દાસ બંગાળ વય ૪૪
67. માધવલાલ શાહ ગુજરાત વય ૨૭
68. જ્યોતી રામજી સંયુક્તપ્રાંત વય ૨૫
69. સુરજભાન પંજાબ વય ૩૪
70. ભૈરવદત્ત સંયુક્તપ્રાંત વય ૨૫
71. લાલાજી ગુજરાત વય ૨૫
72. રત્નજી ગુજરાત વય ૧૮
73. વીષ્ણુ શર્મા મહારાષ્ટ્ર વય ૩૦
74. ચીંતામણી શાસ્ત્રી મહારાષ્ટ્ર વય ૪૦
75. નારાયણ દત્ત રાજપુતાના વય ૨૪
76. મણીલાલ મોહનદાસ ગાંધી ગુજરાત વય ૩૮
77. સુરેન્દ્રજી(છેવટ સુધી રહેલા) સંયુક્તપ્રાંત વય ૩૦
78. હરીભાઈ મોહની મહારાષ્ટ્ર વય ૩૨
79. પુરાતન જન્મશંકર બુચ ગુજરાત વય ૨૫
80. સરદાર ખડબહાદુર ગીરી નેપાળ વય ૩૨
81. શંકર દત્તાત્રેય કાલેલકર મહારાષ્ટ્ર વય ૨૦
સને ૧૯૩૦ના માર્ચની ૧૧મીની રાત્રે જ લોકો વાળુ-પાણી કરીને આશ્રમમાં આવી ગયા હતા. ગાંધીજીને ક્યારે પકડી જાય તેનો કંઈ ભરોસો નહીં. ચાંદની રાતમાં લોકો રસ્તા પર ધુળમાં બેઠાં હતાં. બાળકો અને બહેનો પણ ટોળામાં હતાં. મધરાત થઈ તો પણ લોકો ખસતાં નથી. સવારના ત્રણ વાગ્યા. ઠંડીનો ચમકારો થયો. લોકોએ તાપણાં સળગાવ્યાં. ચાર વાગે બધાં પ્રાર્થના માટે તૈયાર થઈને બેઠાં. ગાંધીજીની પડખે બે મુત્સદ્દી બેઠા હતા- પ્રભાશંકર પટ્ટણી અને અબ્બાસ તૈયબજી. લોકો માતા નથી. પંડીત ખરેએ ગીત ઉપાડ્યું :
શુર સંગ્રામ કો દેખ ભાગે નહીંં
દેખ ભાગે સોઈ શુર નહીંં
પ્રાર્થના પછી લોકો આઘાપાછા થયા. સૈનીકો તૈયારીમાં પડ્યા. લોકોને, નેતાઓને, છાપાવાળાઓને, કેમેરાવાળાઓને એમ કે હમણાં પકડશે…હમણાં પકડશે… પણ મહા બળીયા સાથે બાથ ભીડનાર સેનાપતીને એવી કોઈ ચીંતા જ નથી! એ તો પોતાના ખંડમાં જઈને પાછા ઘસઘસાટ ઉંઘી ગયા!
૧૯૩૦ની ૧૨મી માર્ચનું મંગળ પ્રભાત. બરાબર ૬-૦૦નો ટાઈમ થયો. પંડીતજીએ પ્રસંગને અનુરુપ પ્રીતમજીનું ભજન ગાયું :
હરીનો મારગ છે શુરાનો
નહીં કાયરનું કામ જોને
સત્યગ્રહીઓ બબ્બેની હારમાં ગોઠવાઈ ગયા. તેમને ખબર હતી કે આ આખરી ફેંસલો છે. કેસરીયાં કરવાનાં છે. આશ્રમ ફરી જોવા મળે ન મળે! કુટુંબીઓએ છુપાવેલાં અશ્રુ સાથે, પણ હસતે મોઢે, ચાંલ્લા કરી વીદાય આપી. આવજો… ગાંધીજીને કસ્તુરબાએ કુમકુમનો ચાંલ્લો કર્યો, સુતરની આંટી પહેરાવી, હાથમાં લાકડી આપી. પછી નમસ્કાર કર્યા. બરાબર ૬ ને ૨૦ મીનીટે પોતાની ટુકડી સાથે આશ્રમની બહાર પગ મુક્યો.
પ્રાર્થના સભામાં જ તેમના મુખમાંથી ભાવી ભાખતા ઉદ્ગારો નીકળ્યા હતા : “મારો જન્મ બ્રીટીશ સામ્રાજ્યનો નાશ કરવા માટે જ થયો છે.” પછી સંકલ્પ જાહેર કર્યો હતો: “હું કાગડા-કુતરાને મોતે મરીશ, રખડી-રઝળીને મરીશ, પણ સ્વરાજ્ય લીધા વીના આ આશ્રમમાં પગ મુકવાનો નથી.”
અદ્ભુત હતો એ પ્રસંગ!
દુર્લભ હતું એ દર્શન!
હીન્દુસ્તાનના ઈતીહાસમાં સુવર્ણ અક્ષરે લખાશે એ દીવસ! સમગ્ર વીશ્વની નજર એ યુગપુરુષ ગાંધી તરફ મંડાયેલી હતી. હરદ્વાર એ હીન્દુ સંસ્કૃતીના જીવન અને મરણને સાંકળી લેતું આધ્યાત્મીક સંગમસ્થાન છે. ગંગામાં સ્નાન કરનાર પાપમુક્ત થઈ પુણ્યના પગથીયાનું આરોહણ કરે છે. દાંડીને હરદ્વારની ઉપમા આપી ગાંધીજી બોલી ઉઠ્યા હતા: “દાંડી તો મારું હરદ્વાર છે.” દાંડી માટે એવો ભાવ એમના મનમાં હતો. એ દાંડીમાં સ્વરાજ્યની ઈમારતનો પાયો ચણાવાનો હતો. એ દાંડી હીન્દની સ્વતંત્રતાનું પ્રવેશદ્વાર Gate way of Freedom બનવાનું હતું.
૧૯૩૦ની છઠ્ઠી એપ્રીલનો એ દીવસ હતો. બ્રીટીશ સરકાર આંખો પહોળી કરી મલકાય રહી હતી. સવારે ૬ વાગે ગાંધીજીએ લંગોટીભેર સમુદ્રસ્નાન કરી, ૬-૩૦ વાગે વાસી શેઠના બંગલા પાસે સુરક્ષીત રાખેલા ખાડામાંથી ચપટી નમક ઉપાડી કાયદાનો ભંગ કર્યો. હજારો લોકોના ગગનભેદી નાદ ગાજી ઉઠ્યા: “નમક કા કાનુન તોડ દીયા.” મીઠાની ચપટી ભરી એ યજ્ઞપુરુષે અગમવાણી ઉચ્ચારી: “બ્રીટીશ સામ્રાજ્યની ઈમારતના પાયામાં આથી હું લુણો લગાડું છું.” આ શબ્દો બોલતી વખતે ગાંધીજીનો આત્મા કેટલી ઉત્કૃષ્ટ કક્ષાએ હશે તેની તો કલ્પના જ કરવી રહી. પછી એ વીશ્વવંદ્ય વીભુતીએ વીદેશી પત્રકારોને લખીને આપ્યું : “I want world sympathy in this battle of right against might.” “સત્તાબળ સામે ન્યાયની આ લડતમાં હું વીશ્વની સહાનુભુતી ઈચ્છું છું.” છઠ્ઠી એપ્રીલની એ ભવીષ્યવાણી ૧૭ વરસ પછી ૧૯૪૭ના ઑગષ્ટની ૧૫મી તારીખે સાચી પડી.
સરકારી માણસોએ તો કુદરતી રીતે પાકેલું મીઠું માટીમાં ભેળવી દીધું હતું. પણ સુલતાનપુરના છીબુભાઈ કેશવભાઈએ અગમચેતી વાપરી એક ખાડામાં થોડું મીઠું હતું ત્યાં કાંટીયાં નાખી દીધાં હતાં. એ રીતે છીબુભાઈએ આપેલો ફાળો અનન્ય છે. કાંઠા વીભાગની પ્રજા એ ભુલી શકે નહીંં. તે પછી ગાંધીજી આટ, ઓંજલ, સુલતાનપુર પણ ગયા હતા. આટની ખાંજણમાંથી મીઠું ઉપાડ્યું હતું. પોલીસે આચાર્ય મણીભાઈ અને મનુભાઈ ડૉક્ટર (સ્વામીજી)ની ધરપકડ કરી હતી. દાંડીમાં પીવાના પાણીની અગવડ હતી. બીજાં ગામોમાંથી બળદગાડાં મારફતે પાણી લવાતું હતું. ટપાલની વ્યવસ્થા પણ ન હતી. અવરજવરની તકલીફ પડતી. એટલે ગાંધીજીએ ૧૬મીએ દાંડી છોડ્યું, અને કરાડીની ઝુંપડીમાં પોતાનો નીવાસ રાખ્યો. ૧૬મી એપ્રીલથી ૪થી મે સુધી ગાંધીજી કરાડીની ઝુંપડીમાં રહ્યા.
ગાંધીજી કરાડીની ઝુંપડીમાં રહ્યા તે દરમીયાન નવજીવન પ્રેસમાં છપાયેલ લખાણોની નકલો લઈને એક ભાઈ સુરતના પાટીદાર આશ્રમમાં આવેલા. એ નકલો ગાંધીજીને પહોંચાડવાની હતી. તે કામ આટના પરભુભાઈ બદીયાને સોંપાયું. તે વખતે સુરતના સ્ટેશન માસ્તર મહાદેવભાઈ દેસાઈના ભાઈ હતા. ફ્રન્ટીઅર મેઈલ આવી રહ્યો હતો. પણ તે નવસારી થોભતો ન હતો. એટલે મહાદેવભાઈના ભાઈએ ફ્રન્ટીઅર મેઈલના ગાર્ડને ખાસ સુચના આપી કે ફ્રન્ટીઅર મેઈલ નવસારી સ્ટેશને ખાસ ઉભો રાખી આ ભાઈને (બદીયાને) ત્યાં ઉતારી દેવા. તે પ્રમાણે ગાર્ડે પરભુભાઈ બદીયાને નવસારી ઉતારી દીધા. અંધારી રાત. પરભુભાઈ ચાલતા ચાલતા જલાલપુર, બોદાલી, મછાડ થઈને ધલ્લાની ખાડી સુધી આવ્યા. ખાડી પર વહાણનો એક ઘંટ હતો. લોકોને સાબદા કરવા તે વગાડ્યો. છાવણીમાં આવી પરભુભાઈએ ગાંધીજીને જગાડ્યા, કાગળો આપ્યા, સંદેશો આપ્યો. ગાંધીજીએ તરત જ જવાબ લખી પરભુભાઈને વીદાય કર્યા.
પછી તો આ લડતે આખા હીન્દુસ્તાનમાં ઉગ્ર સ્વરુપ પકડ્યું. લોકો સમુદ્રનું ખારું પાણી લાવી, ઉકાળી મીઠું બનાવી નાનાં નાનાં પડીકામાં વેચતાં, ધરપકડ વહોરી લેતાં.
તે દરમીયાન ગાંધીજીએ કરાડીની છાવણીમાંથી વાઈસરૉય લોર્ડ અર્વીનને બીજો પત્ર લખ્યો : “હવે હું ધરાસણાના મીઠાના અગરો ઉપર ચઢાઈ કરવાનો છું.” એટલે વાઈસરૉયે એમની ઉપર વૉરંટ કાઢ્યું. ગાંધીજી કરાડીની ઝુંપડીમાંથી કુચ કાઢે તે પહેલાં જ પાંચમી મેની રાત્રે એક વાગે એમની ધરપકડ કરવામાં આવી. રાતોરાત વેડછા સ્ટેશનની કેબીન આગળ હાંસાપોર ફાટક પાસે (હવે આ સ્થળે ફ્લેગ સ્ટેશન બન્યું છે.) ટ્રેન ખાસ થોભાવીને એમને યરવડા જેલમાં લઈ જવામાં આવ્યા.
ધરાસણાનો કાળો કેર
ગાંધીજીને ખબર હતી. ગમે ત્યારે એમની ધરપકડ થશે જ. એટલે એમણે અગાઉથી લડતનો કાર્યક્રમ ગોઠવી દીધો હતો. તે કાર્યક્રમ પ્રમાણે ગાંધીજીની ધરપકડ થાય તો તે પછી લડતની આગેવાની અબ્બાસ તૈયબજીએ લેવી. અને જો અબ્બાસ તૈયબજીની ધરપકડ કરવામાં આવે તો આગેવાની સરોજીની નાયડુએ લેવી, એવું નક્કી કરવામાં આવ્યું હતું. તે પ્રમાણે ગાંધીજીની ધરપકડ થતાં અબ્બાસ તૈયબજીએ આગેવાની લીધી. અને અબ્બાસ તૈયબજીની ધરપકડ થતાં આગેવાની સરોજીની નાયડુએ લીધી. તેઓ અલાહાબાદથી સીધાં ધરાસણા આવી પહોંચ્યાં હતાં.
ધરાસણાના અગરોની ફરતે વાડ કરવામાં આવી હતી. લાઠીધારી પોલીસોની ચોકી ગોઠવવામાં આવી હતી. સત્યાગ્રહીઓ નમકના કયદાનો ભંગ કરવા આગળ વધ્યા. એટલે લાઠીધારી પોલીસો એમની ઉપર તુટી પડ્યા. કેટલાક ઘવાયા, કેટલાકનાં ગુહ્યાંગો દબાવ્યાં, કાંટા ભોંક્યા, કેટલાક લોહીલુહાણ થઈ ઢળી પડ્યા. પણ આ તો ગાંધીના સૈનીકો. મારથી ડરી જાય કે ડગી જાય એવા નહોતા! “ડગલું ભર્યું કે ના હઠવું ના હઠવું” મંત્ર હૈયે અને હોઠે હતો.
એક ટુકડીની આગેવાની ગુજરાત વીદ્યાપીઠના મહામાત્ર નરહરીભાઈ પરીખે લીધી હતી. જેવા એ આગળ વધ્યા તેવો લાઠીનો જોરદાર ફટકો એમની ચળકતી ટાલ પર પડ્યો. ફરી આગળ વધ્યા. ફરી જોરદાર ફટકો પડ્યો. મુર્છીત થઈ ઢળી પડ્યા. માથું લોહીથી લાલ લાલ થઈ ગયું. એમના પત્ની મણીબેનને કોકે ઉતાવળે અધકચરા સમાચાર આપતાં કહ્યું : “તમને એક માઠા સમાચાર આપવાના છે. ધરાસણામાં ઘાયલ નરહરીભાઈએ પોતાના પ્રાણ ગુમાવ્યા છે.”
મણીબેને ક્ષણમાં સમતુલા જાળવી લીધી અને કહ્યું : “અત્યારે તો હું દારુના પીઠા પર પીકેટીંગ કરું છું. મારાથી અહીંથી ખસાઈ નહીં.”
પછીથી પોતાની દીકરી વનમાળાને તપાસ કરવા મોકલી, ત્યારે ખબર પડી કે એ સમાચાર ખોટા હતા.
ઘાયલ થયેલા સત્યાગ્રહીઓને પોલીસો ખારા પાણીમાં ઝબોળતા હતા, કાંટા ભોકતા હતા, ગુહ્યાંગ દબાવતા હતા. એમના વસ્ત્રો પરથી લોહીના રેલા વહેતા. છતાં એમનો જુસ્સો એવો ને એવો હતો.
કોથમડીના ફકીરભાઈ પરાગભાઈને પણ સખત માર પડ્યો હતો. તેમને બે માસ સુધી મુંબઈની હોસ્પીટલમાં ખસેડવા પડ્યા હતા.
ધરાસણાના આ સત્યાગ્રહનું નીરીક્ષણ કરવા વેબ મીલર નામનો એક અમેરીકન પત્રકાર આવેલો. એણે ‘ન્યુફ્રીમેન’માં પોતાનો આંખે દેખ્યો હેવાલ આ પ્રમાણે આપ્યો છે :
“સંપુર્ણ મૌન સાથે કુચ કરતા ગાંધીના આ સૈનીકોને મીઠાના ઢગલાથી સોએક વાર છેટે અટકાવ્યા. ગોરા અમલદારનો આદેશ થતાં પોલીસો ધસ્યા અને લોખંડની કડીથી સજ્જ એવી લાઠીવર્ષાને રોકવા કોઈએ પ્રયત્ન પણ ન કર્યો. આડો હાથ પણ નહોતા ધરતા.” પછી એણે લખ્યું છે : “ખબરપત્રી તરીકેનાં જીંદગીનાં ૨૨ વરસમાં મેં આવાં રમખાણો તો ઘણાં જોયાં છે. પણ ધરાસણા જેવાં કમકમાટી ઉપજાવે તેવાં દૃશ્યો મેં ક્યાંય જોયાં નથી. કેટલીક વખત તો દૃશ્યો એવાં ત્રાસજનક હતાં કે અમારે આડું જોઈ જવું પડતું.”
સ્વયંસેવકોની શીસ્ત આશ્ચર્યજનક હતી. ગાંધીજીની અહીંસાનો ઉપદેશ એમણે બરાબર પચાવ્યો હોય તેવું લાગતું હતું.
પોતાના સાથીદારો પર ભયંકર માર પડતો નજરોનજર જોવા છતાં હીંમતથી તેઓ આગળ વધતા હતા. આપણા કાંઠાવીભાગમાંથી ૩૦૦ જેટલાં ભાઈબહેનોએ ધરાસણાના સત્યાગ્રહમાં ભાગ લીધો હતો.
પછી તો લોકોએ જાતેજ લડત ઉપાડી લીધી. ઠેર ઠેર મીઠાના અગરો પર હુમલા થયા. વીદેશી કાપડની હોળી થઈ. દુકાનો પર બહેનોએ પીકેટીંગ કર્યું. દારુની દુકાનો પર બહેનો ચોકી કરવા લાગી. આ લડાઈમાં ગરીબ અને તવંગર, ભણેલી અને અભણ, તમામ બહેનોએ આગળ પડતો ભાગ લીધો.
મીઠાંનો ચમત્કાર
મીઠાંના સત્યાગ્રહની સાથે જોડાયેલા બે પ્રસંગો અહીં ખાસ નોંધવા જેવા છે. જેમાં આપણું રાષ્ટ્રીય ચારીત્ર્ય અને આપણું પ્રજાકીય ખમીર કેવું હતું તે વ્યક્ત થાય છે.
ધરાસણામાં અંબાલાલ શુક્લ નામના એક સત્યાગ્રહી હતા. એમની ઉપર ૮-૧૦ પોલીસો તુટી પડ્યા. ગીધડાંની જેમ પીંખાટી નાખ્યા. છાતી પર મુક્કા માર્યા. ગળે નહોર ભરાવ્યા. એમનાં ગુહ્યાંગ દબાવ્યાં. છેવટે કાંટાની વાડ પર ફેંકી દીધા. સ્વયં સેવકો એમને ઈસ્પીતાલ લઈ ગયા. દોઢ કલાકે ભાન આવ્યું. ત્યારે એમણે પુછ્યું:
“હું સરકારી ઈસ્પીતાલમાં તો નથી ને? ”
“ના.” સ્વંસેવકોએ કહ્યું.
“તો ઠીક, મારી પાસે હજી મીઠું છે.”
એમ કહીને એમણે મુઠ્ઠી ખોલી મીઠું બતાવ્યું.
આ સત્યાગ્રહથી વીરોધીઓનાં કઠણ હૃદય પણ પીગળી ગયાં હતાં.
આપણા રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીને રાજદ્રોહના ગુના માટે સજા કરનાર મેજીસ્ટ્રેટે પુછ્યું : “તમારે તમારા બચાવમાં કંઈ કહેવું છે?” ત્યારે મેઘાણીએ એક ગીત ગાવાની રજા માગી. રજા મળતાં એમણે પોતાના બુલંદ કંઠે એક ગીત ગાયું:
“નથી જાણ્યું અમારે પંથ શી આફત ખડી છે,
ખબર છે એટલી કે માતની હાકલ પડી છે.”
ગીત સાંભળતાં મેજીસ્ટ્રેટની આંખમાં આંસુ આવી ગયાં. એ એટલા હલી ઉઠ્યા કે ચુકાદો આપતાં એમણે કહ્યું : “હવે મારે બે કામ કરવાનાં છે. પહેલું તો તમે કરેલા ગુના માટે તમને બે વર્ષની કેદની સજા કરવામાં આવે છે. બીજું, જે દેશની સરકારમાં દેશપ્રેમને ગુનો ગણવામાં આવે અને એને સજા કરવી પડે, તે સરકારમાંથી હું રાજીનામું આપું છું. આખરે મને પણ મારા દેશ માટે પ્રેમ છે.”
હૃદયપલટાનો આવો જ એક પ્રસંગ મહાવીર ત્યાગીએ પણ નોંધ્યો છે :
નમક સત્યાગ્રહના એ દીવસો હતા. ગાંધીનો બોલ પડતાં આખા દેશમાં લોકો મીઠું પકવીને વેચવા લાગ્યા. ત્યાગીજીએ પણ એ કામ શરુ કર્યું. ત્યાં પોલીસે એમની ધરપકડ કરી. મેજીસ્ટ્રેટ પં. બેનીપ્રસાદ સમક્ષ કેસ ચાલ્યો. પોલીસ પાસે સાક્ષીઓની યાદી તો તૈયાર જ હતી. તેઓ ખુદાને હાજર રાખી ‘સાચું’ બોલી ગયા. પછી મેજીસ્ટ્રેટે ત્યાગીજીને પુછ્યું: “તમારે કંઈ કહેવું છે?” ત્યાગીજી ઉભા થયા, કહ્યું: “આમ તો સાક્ષીઓએ ખુદાને માથે રાખીને જુબાની આપી છે. પરંતુ એનાથી એ સાબીત નથી થતું કે અમે કરેલ લીલામનાં પડીકામાં મીઠું હતું કે ફટાકડા? ચાક કે ચુનો?”
“વાત તો સાચી છે. એ સાબીતીની ખામી છે.” મેજીસ્ટ્રેટે સ્વીકાર્યું.
એટલે ત્યાગીજીએ કહ્યું : “આપને વાંધો ન હોય તો ચાખી જુઓ.”
સાહેબે મીઠું ચાખ્યું. “છે તો મીઠું જ.”
ત્યાગીજી બુમ પાડી ઉઠ્યા : “વર્ષોથી આપ અંગ્રેજોનું નમક ખાતા આવ્યા છો, હવે મને નીરાંત થઈ. આજે આપે ગાંધીનું નમક(લુણ) ખાધું છે તે યાદ રાખજો.”
મેજીસ્ટ્રેટ સાહેબનો ચહેરો ઝાંખો પડી ગયો.
ત્યાગીજીને સજા તો થઈ. પણ સાહેબ રજા પર ઉતરી ગયા. પછી જાણ્યું કે રજા પુરી થાય તે પહેલાં એમણે રાજીનામું આપી દીધું હતું.
આવો પ્રભાવ હતો ગાંધીનો. આવી ભાવના હતી-વીરોધીઓમાં પણ.
૪. ૧૯૪૨ની ક્રાંતીમાં કાંઠા વીભાગનું યોગદાન
કોઈ પણ પ્રજા માટે સ્વરાજ્ય આવશ્યક અને અનીવાર્ય છે. દુનીયામાં કોઈ પણ પ્રજાની સહનશક્તીને એક હદ હોય છે. એક મર્યાદા હોય છે. દમનનીતી જ્યારે એ મર્યાદા ઓળંગી જાય છે ત્યારે પ્રજા બળવો કરે છે. વીફરે છે. અંગ્રેજોની ગુલામીમાંથી મુક્ત થવા માટે દેશમાં અગાઉ આંદોલનો થયાં જ હતાં. મહાસભાના રાષ્ટ્રવાદીઓના મનમાં અંગ્રેજ સરકારની દમનનીતી સામે, કુટનીતી સામે રોષ ભભુકતો જ હતો. ‘હીંદ છોડો’ના લલકારે બ્રીટીશ સામ્રાજ્યનાં ગાત્રો ઢીલાં કરી નાખ્યાં હતાં. પ્રજાનો ઠસ્સો અને જુસ્સો અદ્ભુત હતો. આપણા પ્રદેશમાં, ખાસ કરીને આપણા કાંઠાવીભાગમાં એનો પ્રતીઘોષ એવો પડ્યો કે આઝાદીની લડતની હવામાં નવો પ્રાણ ફુંકાયો. નવચેતનાનો સંચાર થયો. વળી જ્યારથી ગાંધીજીએ દાંડીમાં નમક સત્યાગ્રહનો યજ્ઞ માંડ્યો ત્યારથી તો આ વીભાગની પ્રજામાં ગજબની જાગૃતી આવી. મેઘાણીભાઈએ ગાયું છે ને-
તારા નામમાં ઓ સ્વતંત્રતા, મીઠી શી વત્સલતા ભરી,
મુડદાં મસાણોથી જાગતાં, એવી શબ્દમાં શી સુધા ભરી.
સ્વતંત્રતાનું નામ પડતાં મસાણનાં મુડદાં પણ જાગી જાય, બેઠાં થઈ જાય, એવી તાકાત, એવો જાદુ, એ શબ્દોમાં છે. ગાંધીના આગમનથી, ગાંધીવાણીથી એવો ઉત્સાહ પ્રગટ્યો હતો.
હીંદની મહાસભાએ ૧૯૪૨ના ઑગષ્ટની ૮મી તારીખે એક ખાસ સભા મુંબઈમાં ગોવાલીયા ટેન્ક મેદાન ખાતે બોલાવી હતી. આ સભાનું પ્રમુખસ્થાન મહાત્મા ગાંધીને આપવામાં આવ્યું હતું.
૮મી ઑગષ્ટનો એ દીવસ હીન્દુસ્તાનના આઝાદીના ઈતીહાસમાં ચીરસ્મરણીય રહેશે. તે દીવસે હીન્દુસ્તાનની ધરતીના અણુએ અણુમાં કોઈ અલૌકીક શક્તીનો સંચાર થઈ રહ્યો હતો. તે દીવસે સભાના અધ્યક્ષ તરીકે બીરાજેલા મહાત્મા ગાંધીના મુખેથી આ શબ્દો બોલાયા હતા ઃ “QUIT INDIA!” “ભારત છોડો!” અને સદીઓથી ગુ્લામીની જંજીરોમાં જકડાયેલી હીન્દુસ્તાનની રાંક પ્રજામાં વીદ્યુત ચમકાર થયો. ગોવાલીયા ટેંકના મેદાનમાં હાજર રહેલ માનવમેદનીના હૃદયમાં રાષ્ટ્રાભીમાનની ભાવનાનો પ્રતીઘોષ થયો. આ ઠરાવના અમલની સંપુર્ણ જવાબદારી ગાંધીજીને સોંપવમાં આવી હતી. ગાંધીજીએ પોતાના પ્રવચનમાં હીંદની પ્રજાને હાકલ કરી ઃ “Do or die.” “કરેંગે યા મરેંગે.” આ પાર કે પેલે પાર. તે માટે જે કરવું ઘટે તે કરવું. પણ કોઈની મીલકતને કે જીવનને હાની ન પહોંચાડવી, હીંસા ન કરવી.
‘ક્વીટ ઈન્ડીયા’ના ઠરાવ પછી સરકારે પણ બધી તૈયારી કરી લીધી. હીંદી મહાસભા અને કોંગ્રેસ કારોબારીના તમામ સભ્યોને રાતોરાત જેલભેગા કરી દીધા. જયપ્રકાશ નારાયણ, રામમનોહર લોહીયા, અચ્યુત પટવર્ધન અને અરુણા અસફઅલી જેવા સમાજવાદી આગેવાનો ભુગર્ભમાં ચાલ્યા ગયા હતા. ત્યાંથી તેઓ દોરવણી આપતા હતા. પણ કોંગ્રેસના પ્રથમ હરોળના બધા આગેવાનો જેલમાં હતા. સરકાર એવું માનતી હતી કે આવી રીતે છાપો મારીને એણે આંદોલનની હવા કાઢી નાખી છે. પણ એ એનો ભ્રમ હતો.
ગાંધીજી હરીજનબંધુ ચલાવતા હતા. ગાંધીજીની ધરપકડ પછી કીશોરલાલભાઈ એ ચલાવતા હતા. તેમાં તેમણે લોકોને માર્ગદર્શન આપતાં લખ્યુંઃ
“આ ‘હીન્દ છોડો’ની લડાઈમાં વાહનવ્યવહાર ખોરવી નાખવાની છુટ છે, પણ એથી કોઈની જાનહાની થવી ન જોઈએ. હડતાલ એ સારામાં સારો ઉપાય છે. પણ એમાં સફળતા ન મળે તો તાર-ટેલીફોનનાં દોરડાં કાપવાં, વીજળીના થાંભલા ઉખેડી નાખવા, રેલ્વેના પાટા ઉખેડી નાખવા એ બધું થઈ શકે. પણ એ બધું કોઈની જાનહાની ન થાય એ રીતે થઈ શકે….”
બસ, લોકોને ગાઈડલાઈન મળી ગઈ. સૌએ પોતપોતાની રીતે એનું અર્થઘટન કર્યું.
આઝાદીની આ જ્યોતને જલતી રાખવા માટે મુંબઈમાં વીઠ્ઠલભાઈ પટેલ રોડ પર રુપીયા દોઢ લાખના ખર્ચે એક અદ્યતન “આઝાદ હીન્દ રેડીયો સ્ટેશન” સ્થાપવામાં આવ્યું હતું. આ રેડીયો સ્ટેશન પરથી હીન્દુસ્તાનનાં ૨૫ જેટલાં મોટાં શહેરોમાં પ્રસારણ થતું હતું. હીન્દના સ્વરાજ્યના સંદર્ભમાં શું શું બની રહ્યું છે તે સમાચારો આ રેડીયો મથકેથી પ્રસારીત થતા હતા. તેનું સંચાલન એક બહેન કરતાં હતાં-ઉષાબહેન મહેતા. તેઓ એમ.એ. થયેલાં હતાં. રાષ્ટ્રીય રંગે રંગાયેલાં હતાં. તેમના બે ભાઈઓ પણ આ લડતમાં જોડાયેલા હતા. મોટાભાઈ ચંદ્રકાંતભાઈ તો કૉલેજમાં પ્રોફેસર હતા. બીજા ભાઈ મૅડીકલમાં અભ્યાસ કરતા હતા. પીતા રીટાયર્ડ જજ હતા. આ ત્રણે સંતાનો લડતમાં જોડાય તો એમનું પેન્શન બંધ થાય. એટલે પીતાનો સખત વીરોધ હતો. છતાં આ ત્રણે ભાઈબહેનોએ પીતાની ઈચ્છા વીરુદ્ધ લડતમાં ઝંપલાવ્યું હતું.
પોલીસોએ આ રેડીયો સ્ટેશનને ઝડપી પાડવા આકાશ પાતાળ એક કર્યાં. એને પકડી પાડનારને મોટું ઈનામ આપવાની જાહેરાત કરી. પણ તેમાં સફળતા ન મળી.
અંતે એક દીવસ રેડીયો યંત્ર તૈયાર કરનાર ભાઈ પકડાયો. તેણે ઈનામની લાલચ હોય કે પોલીસનો ત્રાસ હોય, પણ દગો દીધો. પોલીસને રેડીયોમથક પર લઈ ગયો, ને ઉષાબેન તથા બીજાઓને પકડાવી દીધા.
ઉષાબેન અને એની જોડે પકડાયેલાઓને પોલીસથાણે લઈ ગયા. ત્યાં ખુબ ત્રાસ આપ્યો. મારી મારીને અધમુઆ કરી નાખ્યા. દીવસો સુધી આ રંજાડ ચાલ્યા કરી. તેને લીધે ઉષાબેન જીવ્યાં ત્યાં સુધી કશો અનાજનો ખોરાક લઈ શકતાં નહીં. આમ છતાં એ લોકોએ પોલીસને કશી માહીતી આપી નહીં. સરકારે એમની ઉપર રાજદ્રોહ અને સરકારને ઉથલાવી નાખવાનું કાવતરું કરવાનો ગુનો દાખલ કર્યો. કોર્ટમાં કેસ ચાલ્યો. પેલા રેડીયોમથક તૈયાર કરનારે સરકારી સાક્ષી તરીકે બધી વીગતો આપી દીધી. ઉષાબેને પોતાનો બચાવ ન કર્યો. ન્યાયાધીશે ચુકાદો આપતાં ઉષાબેનની હીંમતનાં વખાણ કર્યાં અને ચાર વર્ષની સજા ફટકારી.
‘હીન્દ છોડો’ની લડત કેવી હતી તેનો ખ્યાલ નીચેની વીગતો પરથી આવશે ઃ
લડત દરમીયાન પોલીસે ૬૦૧ વખત ગોળીબાર કર્યો. તેમાં ૧,૯૦૧ માણસો મૃત્યુ પામ્યા અને ૩,૦૬૪ ગંભીર રીતે ઘવાયા. લોકોએ પોલીસ ચોકીઓ અને સરકારી કચેરીઓ પર હુમલા કર્યા તેમાં ૧,૦૩૧ લોકો મર્યા અને ૨,૯૩૪ ઘવાયા. ૧,૩૬૮ જણે રાજીનામા આપ્યાં. ૨૦૮ પોલીસ ચોકી પર હુમલા થયા. ૭૪૯ સરકારી કચેરીઓ કબજે કરી. ૬૬૪ બોમ્બ વીસ્ફોટ થયા. ૧,૩૬૯ બોમ્બ ફાટે તે પહેલાં જ પોલીસોએ કબજે કર્યા. સરકારે ૯૦ લાખ રુપીયાનો દંડ વસુલ કર્યો. ૯૧,૮૩૬ સત્યાગ્રહીઓ પકડ્યા. ૨,૫૬૨ને ચાબુકના ફટકાની સજા કરવામાં આવી. ૩૩૨ રેલ્વે સ્ટેશનોનો નાશ કર્યો. પાટા ઉખેડવાના ૪૧૧ બનાવો બન્યા. ૬૬ ગંભીર અકસ્માતો થયા. ૯૪૫ ટપાલકચેરીઓનો નાશ કર્યો. ટેલીફોનનાં દોરડાં કાપવાના ૧૨,૨૮૬ બનાવો બન્યા. ૬૮ વખત લશ્કરે ગોળીબાર કર્યા, જેને કારણે ૨૩૮ સત્યાગ્રહીઓ મૃત્યુ પામ્યા.
હીન્દ છોડોની લડાઈ લોકોએ આપમેળે ચલાવી હતી. ૧૯૪૭ની ૧૫મી ઑગષ્ટે એનો અંત આવ્યો. (‘હીન્દ છોડો લડત’માંથી)
મુંબઈની હાકલ મટવાડમાં
૧૯૪૨ની ક્રાંતી દરમીયાન કાંઠા વીભાગમાં જે ઘટનાઓ બની છે તેની નોંધ લેવાવી જોઈએ તે રીતે લેવાઈ નથી, એ એક અફસોસની વાત છે. સ્વરાજ્ય માટે જેમણે સક્રીય ભાગ લીધો હતો તેની કદર નથી રાજ્ય સરકારે કરી, નથી કેન્દ્ર સરકારે કરી. જેમણે લડતમાં ઝંપલાવ્યું હતું એેમણે કોઈ સ્વાર્થની
ભાવનાથી નહોતું ઝંપલાવ્યું. પણ સ્વેચ્છાએ માભોમની મુક્તીના યજ્ઞમાં આહુતી આપવા કટીબદ્ધ થયા હતા. સ્વરાજ્યના યજ્ઞમાં સ્વને હોમી દેવાનાં સ્વપ્નો સેવતા હતા. કર્મયોગે પુર્ણાનો ઉત્તર કાંઠો અને નવસારી શહેર ગાયકવાડી હકુમત હેઠળ હતાં. બ્રીટીશ સામ્રાજ્યની આણ ત્યાં નહોતી.
આ લડતના સમયમાં જલાલપુર તાલુકાનાં કાંઠાનાં ગામોમાં વીશેષ જાગૃતી હતી. અનેક પ્રવૃત્તીઓ ચાલતી હતી. સરઘસો નીકળતાં હતાં. સભાઓ થતી હતી. તેમાં ભારત વીદ્યાલય કરાડીના વીદ્યાર્થીઓ અને તેના શીક્ષકો હંમેશાં મોખરે રહેતા હતા.
૧૯૩૦માં ગાંધીજી નમક સત્યાગ્રહ માટે આવેલા ત્યારે દાંડી અને કરાડીના નીવાસ દરમીયાન આજુબાજુનાં તમામ ગામડાંઓમાં અને શહેરોમાં ફરેલા. લોકોને મળેલા. એને કારણે ગાંધી સહુને પોતાના લાગતા. ગાંધીએ સ્વદેશાભીમાન જાગૃત કરી દીધું હતું. કાંઠાની પ્રજામાં સ્વરાજ્ય માટે કુરબાન થવાની ભાવના પ્રવર્તતી હતી.
૧૯૪૨ના ઑગષ્ટની ૧૯મી તારીખે ભારત વીદ્યાલય કરાડીથી એક પ્રભાતફેરી નીકળી. મટવાડના ઉતારા પાસે પહોંચી. પોલીસો ધુઆંપુઆં થઈ ગયા. સરઘસને અટકાવ્યું. અકારણ અચાનક લાઠીમાર શરુ કરી દીધો. કોઈના માથાં પર તો કોઈના શરીર પર માર પડ્યો. હાથપગ ભાંગ્યા. બનાવથી લોકોનો પીત્તો ગયો.
મેં (દયાળભાઈ કેસરીએ) કાંઠાના વીશાળ વડલા સમા આચાર્ય મણીભાઈને એવું સુચન કર્યું કે આ અન્યાય અને અપમાન સાંખી ન લેવાય. એનો પ્રતીકાર થવો જોઈએ. તેના અનુસંધાનમાં ૨૨મી ઑગષ્ટે મટવાડના આઝાદ મેદાન ખાતે એક જંગી જાહેર સભાનું આયોજન કરવામાં આવ્યું. આ સભામાં કાંઠાનાં ગામેગામથી બધા આવે એવું નક્કી કરવામાં આવ્યું હતું. બોદાલી, મછાડ અને કરાડી ભેગાં થઈને પુર્વ બાજુથી આવે. દાંડી, સામાપોર અને મટવાડ પશ્ચીમ બાજુથી આવે. પેથાણ, કોથમડી સીધા જ આવે. ઓંજલ, આટ અને આવડાફળીયા સીધા આઝાદ મેદાન ખાતે આવી પહોંચે એમ નક્કી થયું હતું. તે પ્રમાણે બધા આવ્યા. આવેલ ગ્રામજનોને શ્રી મગનભાઈ છીબાભાઈ, શ્રી પરસોત્તમભાઈ હીરાભાઈ અને શ્રી મનુભાઈ પાઠકે સંબોધન કર્યું હતું અને માર્ગદર્શન આપ્યું હતું. આ સરઘસને મટવાડની પોલીસચોકીએ ન લઈ જવું. વીનયપુર્વક બધા વીખરાઈ જાય અને પોતપોતાને ગામ ચાલ્યા જાય, એવું નક્કી કરવામાં આવ્યું હતું. તે પ્રમાણે દાંડી, સામાપોર અને મટવાડના ભાઈઓવાળું સરઘસ ઉતારા પાસેની મટવાડની નાળમાંથી પસાર થતું હતું. ત્યાં અચાનક પોલીસો ધસી આવ્યા. પોલીસોના આગેવાન જમાદાર મુસ્તફાને શ્રી છીમાભાઈ દુભાભાઈ, ઉંકાભાઈ રણછોડભાઈ અને ઉંકાભાઈ પાંચાભાઈએ નમ્રતાપુર્વક કહ્યું કે મહેરબાની કરીને લાઠીમાર કરશો નહીં. અમે બધાને સમજાવીને પાછા વાળીએ છીએ. પરંતુ પોલીસે વીનંતી માન્ય ન રાખી. આવેશમાં આ ત્રણે આગેવાનો પર લાઠીના ફટકા શરુ કરી દીધા. નજીકમાં ઉભેલા યુવાનો આ સહન ન કરી શક્યા. મેં (દયાળભાઈ કેસરી) અને રામભાઈ ઉંકાભાઈએ પોલીસો પાસેથી લાઠી ઝુંટવી લીધી. અને અમે તેમને ભોંયભેગા કરી દીધા. વીફરેલ ટોળાએ પોલીસો પાસેથી લાઠી-બંદુક ઝુંટવી લીધી. જોતજોતામાં ઝપાઝપી, મારામારી શરુ થઈ ગઈ. એક બાજુ હથીયાધારી પોલીસો, બીજી બાજુ નીઃશસ્ત્ર લોકો. ઝપાઝપી દરમીયાન ત્રણ પોલીસો પાસેથી તેમની બંદુક ઝુંટવી લેવામાં આવી. એ દરમીયાન રામુ સદાશીવ નામનો ચોથો પોલીસ પોતાની બંદુક લઈને વડની ઓથે સંતાઈ ગયો. ત્યાંથી ગોળીબાર કરવા લાગ્યો. ૨૮ ગોળીબાર કર્યા, તેનાથી ૨૧ માણસોને ઈજા પહોંચી. ૧૦ જણ ગંભીર રીતે ઘવાયા. ૩ જણાને તાત્કાલીક હોસ્પીટલ ભેગા કરવા પડ્યા. જેઓ પછીથી મૃત્યુ પામ્યા. કરાડીના મોરારભાઈ પાંચીયાબાઈ (૪૫ વર્ષ), રણછોડભાઈ લાલાભાઈ (૨૨ વર્ષ) અને મોખલા ફળીયાના મગનભાઈ ધનજીભાઈ (૧૬ વર્ષ).
આ જંગમાં મટવાડના રણછોડભાઈ લાલીયા, સામાપુરના મંગાભાઈ ગોવીંદજી, કરાડીના ભીખુભાઈ ટેલર, મછાડના ભવનભાઈ છીકાભાઈ અને પ્રેમાભાઈ છીકાભાઈને ગંભીર ઈજાઓ થયેલી. કરાડીના રામાભાઈ ઉંકાભાઈ અને મને (મટવાડના દયાળભાઈ કેસરીને) પણ ઈજાઓ થયેલી. મારા હાથ પર આજે પણ તે નીશાની છે.
પોલીસોના હાથમાંથી ઝુંટવી લીધેલી એક બંદુક બોરીફળીયેનાં વાલીબેન પરસોતના હાથમાં આવી પડી ત્યારે તેઓ સીંહણની જેમ ઘુરક્યાં હતાં. એમની નસોમાં કાંઠાનું લોહી ધબકતું હતું. છતાં સમતુલા જાળવી રાખી હતી.
પોલીસોના આ હીચકારા વર્તનથી ટોળાનો જુસ્સો અને ગુસ્સો એટલો તાને ચડ્યો કે એમની જ લાઠીઓ ઝુંટવી લઈને એમને માર્યા હતા. લાલાભાઈ છીબાભાઈ અને ગોસાંઈભાઈ સુખાભાઈએ કોઈ કસર બાકી નો’તી રાખી.
આ જંગમાં એક પોલીસનું પણ મરણ થયું હતું. ઘાયલ થયેલ એક પોલીસનો હાથ કાપી નાખવો પડ્યો હતો. એક પોલીસ માનસીક સમતુલા ગુમાવી બેઠો હતો. કાંઠામાં ખેલાયેલ આ જંગે સરકારને પડકાર આપ્યો હતો. સત્તા સામેના આ ધમસાણે કાંઠાના પાણીનો પરચો બતાવ્યો હતો.
ઘાયેલ થયેલ સૌને સ્થાનીક ડૉક્ટરની સારવાર આપવામાં આવી હતી. ગંભીર ઈજા પામેલાઓને નવસારી હોસ્પીટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. ઘાયલોને નવસારી હોસ્પીટલમાં લઈ જતી વેળા કરાડી-મટવાડના કેટલાકની ધરપકડ કરવામાં આવી હતી. જે ત્રણ જણ શહીદ થઈ ગયા હતા તેમના પ્રત્યે નવસારીના પ્રજાજનોએ, વેપારીવર્ગે ખુબ જ સહનુભુતી બતાવી હતી. તેમની ભવ્ય સ્મશાન યાત્રા જ્યારે નવસારીના રાજમાર્ગો પરથી પસાર થઈ ત્યારે લોકોએ ગજબની શીસ્ત જાળવી હતી. માનવમેદની સમાતી ન હતી. અગાશીઓ પરથી પુષ્પવૃષ્ટી થતી હતી. આ દૃશ્ય પ્રજાના હૃદયમાં ઉમટેલ સ્વયંભુ રાષ્ટ્રીય ગૌરવને તાદૃશ કરતું હતું. ધર્મના, જ્ઞાતીના, કોમકોમના ભેદો ભુલાઈ ગયા હતા. સૌ ભારતવાસી એકની ભાવનાનાં દર્શન થતાં હતાં. વેરાવળની સ્મશાન ભુમીમાં અગ્નીસંસ્કાર કરવામાં આવ્યો ત્યારે અગ્નીની જ્વાળાઓમાંથી આઝાદીની ઘોષણા વ્યક્ત થતી હતી. જાણે કલકલ વહેતી ધીરગંભીર પુર્ણાનો જળપ્રવાહ પણ જંપી ગયો હતો.
નવસારીના મહાજને સ્વંયસેવકોને મદદરુપ થવા ડૉક્ટર ખંડુભાઈ દેસાઈના પ્રમુખપદે એક સમીતીની રચના કરી હતી. ઘાયલોની સારવાર માટે સુંદર ફાળો એકઠો કર્યો હતો. તે જમાનામાં આ ગાયકવાડી શહેર અગત્યનું શહેર ગણાતું. એની ઉદારતા, એનું સૌજન્ય પ્રસંશનીય ગણાતું. કાંઠા વીભાગનાં લોકો પર આવી પડેલી આ આપત્તીમાં સૌ સાથે હતાં.
તે જમાનામાં લોકોની આર્થીક પરીસ્થીતી નબળી હતી. કુટુંબો પર આવી પડેલી આ અણધારી આફતનો ખ્યાલ કરીને ન્યુઝીલેન્ડ નીવાસી કરાડીના ડાહ્યાભાઈ પ્રેમાભાઈ તથા મટવાડના ભાણાભાઈ હરીભાઈએ શહીદોનાં કુટુમ્બીજનોને સહયરુપ થવા ફાળો એકઠો કર્યો હતો. તે રકમ તેમણે પેથાણના એક ભાઈ મારફત મોકલાવી હતી. આચાર્ય મણીભાઈએ તે રકમ દયાળભાઈ કેસરી મારફતે શહીદોના કુટુમ્બીજનોને અપાવી હતી.
પોલીસોનો કાળો કેર
જંગ તો ખેલાઈ ગયો, પણ એનું ઝેર હવે પછી પ્રસરવાનું હતું. એક બાજુ સરઘસ વીખેરાઈ ગયું. બીજી બાજુ મટવાડના પોલીસથાણા પર બલુચી દળ ગોઠવાઈ ગયું. તે વખતે મટવાડનો પોલીસ પટેલ મોસમમીયા નામનો એક મુસલમાન હતો. તોરી, તુંડમીજાજી, સરકારનો ખાંધીયો. એ મગરુબીથી બોલતોઃ “સાલ્લાઓ, સવરાજ લેવા નીકળી પડ્યા છે! ચકલીને દાંત આવશે, હથેળીમાં વાળ ઉગશે, ત્યારે સવરાજ મળશે!” એને એવી કલ્પના જ નહીં કે હીન્દુસ્તાનને આઝાદી મળશે.
એ ગોઝારા દીવસની એક રાતે અનેક રાષ્ટ્રવાદીઓને ગીરફતાર કરવામાં આવ્યા હતા. મટવાડના કુંભારફળીયામાં રાત્રે બે વાગે છાપો મારી, બારણું તોડી, છીમાભાઈ દુભાભાઈને ગીરફ્તાર કરવામાં આવ્યા હતા. સગીર વયના એમના દીકરા છોટુભાઈને પણ ગીરફ્તાર કરવામાં આવ્યા હતા. કુંભાર ફળીયાના બીજા પણ અનેકને ગીરફ્તાર કરવામાં આવ્યા હતા. દોલા ફળીયા અને નીશાળ ફળીયામાંથી પણ અનેકને ગીરફ્તાર કરી ચોરા આગળ ભેગા કરવામાં આવ્યા હતા. મારો પત્તો ન મળતાં મારાં માતૃશ્રીને અસહ્ય માર મારવામાં આવ્યો હતો. નાનાં માટાં જે કોઈ હાથમાં આવે એને પકડી ઝુડવામાં આવતાં હતાં. વાઘને કોણ કહે કે તારું મોં ગંધાય. પોલીસોએ કાળો કેર વર્તાવ્યો હતો. મટવાડ પછી કરાડીમાં પ્રવેશ કર્યો. કરાડીમાંથી ૭૦ જેટલા રાષ્ટ્રવાદીઓની ધરપકડ કરવામાં આવી. જો કે પછીથી વૃદ્ધોને અને સગીર વયના છોકરાઓને છોડી મુકવામાં આવ્યા હતા. પોલીસોએ અત્યંત જુલમ કર્યો હતો. જે કોઈ મળી જાય એને મારતા. ઘરમાંથી જે કંઈ ગમી જાય તે ઉપાડી જતા. કોણ પુછે? જંગલનો કાયદો હતો. ત્રાસ એટલો અસહ્ય થઈ પડ્યો કે લોકો પોતાનાં ગામ છોડીને, ઘરબાર છોડીને, નાઠા. આસપાસનાં ગામોમાં આશરો લીધો. દાંડી-સામાપુરના લોકોએ દરીયા કીનારે પોતાનાં ખેતર, વાડાઓમાં જઈને આશરો લીધો. કેટલાક હોડીઓ લઈને સામે કાંઠે વાંસી-બોરસીમાં ભાગી ગયા. પોલીસોના ત્રાસથી લોકોમાં ભય વ્યાપી ગયો હતો. પોલીસ આવવાની જાણ થાય તે માટે સામાપુરમાં ચોરમલા પર ઝંડો ફરકાવવામાં આવતો. જેથી લોકો સલામત જગ્યાએ ભાગી જાય. મટવાડ-કરાડી ગામનાં લોકોએ આટ-ઓંજલ કે સામે કાંઠે આવેલાં ગાયકવાડી ગામ તવડી, દેલવાડા, ભીનાર વગેરેમાં આશરો લીધો હતો. બોદાલી-મછાડનાં લોકોએ પણ ગાયકવાડી ગામોમાં આશરો લીધો હતો.
કાંઠાવીભાગના આ રાષ્ટ્રવાદીઓને તવડીમાં ડાહ્યાભાઈ છીબાભાઈ, હીરાભાઈ ગોવીંદ, નારણભાઈ મોરાર, દેવાભાઈ હાંસજી, છીમાભાઈ રામા અને ડાહ્યાભાઈ કાનજીને ત્યાં આશરો મળ્યો હતો. દેલવાડા ગામમાં દયાળભાઈ હીરા, જગુભાઈ સુખા, જસમત જોગી, હરીભાઈ ડાહ્યા, ડાહ્યાભાઈ બુધીયા, છીમાભાઈ દાજી તથા જેરામભાઈ ગાંડાભાઈને ત્યાં આશરો મળ્યો હતો. કાદીપોરમાં કુંવરજી ગોપાળ, રવજી હીરા અને ભાણાભાઈ કેશવ તથા ધામણ ગામે ગોરધનભાઈ ભક્ત, માધવ માસ્તર, અને ધીરજ ગોરધનને ત્યાં, પેરામાં ખુશાલભાઈ માધવને ત્યાં, નાગધરામાં દયાનંદ સુખાભાઈને ત્યાં, અષ્ટગામ ભુલાફળીયામાં દયાળભાઈ(સુખાભાઈ) નારણને ત્યાં આશરો મળ્યો હતો. સાગરા, ભીનાર, નીમળાઈ, કરાંખટ વગેરે ગામોએ પણ આશરો આપ્યો હતો. આ રીતે આશરો આપવા પાછળ એમનો એક જ હેતુ હતો, સ્વરાજની જ્યોતને જ્વલંત રાખવી, એવું કામ કરનારાઓને ટેકો આપવો. એમ કરીને તેઓ પોતાની રાષ્ટ્રભક્તી પ્રગટ કરતા હતા.
પોલીસોએ પોતાની સલામતી અને સુરક્ષા માટે બલુચી દળ ગોઠવી દીધું હતું. આ બલુચી પોલીસોએ કાળો કેર વર્તાવ્યો. લોકોના ઘરમાં ઘુસી જઈને જે કંઈ મળ્યું તે લુંટી ગયા. મટવાડ વીદ્યાર્થી મંડળના પુસ્તકાલયમાંથી પુસ્તકો, કબાટ, ખુરશી, ટેબલ વગેરે બાળી મુક્યું હતું.
જે રાષ્ટ્રવાદીઓ પકડાયા નહોતા તેમનાં માબાપને કે ભાઈબહેનોને હેરાનપરેશાન કરવામાં આવતાં હતાં. કરાડીમાં જેકભાઈ ન પકડાતાં એમના પીતાને પકડી ગયા હતા. મટવાડમાં પી.સી. (પરભુભાઈ છીબા) ન પકડાતાં એમના મામાને પકડી ગયા હતા. કરાડીમાં જેરામભાઈ રવજી ન પકડાતાં એમના સાળા નારણભાઈ ભાણાને પકડવામાં આવેલા. બોદાલીમાં પરસોતભાઈ હીરાભાઈ ન પકડાતાં એમના સાળાઓને જેલભેગા કરવામાં આવેલા. જે લોકો આશરો આપતા એમની ધરપકડ થતી. કાયદાકાનુન જેવું કંઈ હતું જ નહીં. જંગલરાજ. પોલીસો કહે-કરે તે કાયદો. લોકોને ત્રાસ આપવો, હેરાનપરેશાન કરવાં તે એમનો ધર્મ. નીતીનીયમો એમણે ગજવામાં ઘાલ્યા.
કરાડી-મટવાડના ત્રણ ભાઈઓ ઈસ્ટ આફ્રીકાની સફરે જઈ રહ્યા હતા. ત્યારે એમને મુંબઈ બંદરે પકડી પાસપોર્ટ જપ્ત કરવામાં આવ્યા હતા. પુરાવા સીવાય ગીરફ્તાર કરી જેલભેગા કરી દીધા હતા. આમાં કરાડીના નાનાભાઈ મકનભાઈ, તથા મટવાડના મંગાભાઈ સુખાભાઈ અને રામજીભાઈ સુખાભાઈ મુખ્ય હતા. સરકારની આવી મેલી રમતને કારણે આ ભાઈઓનો આફ્રીકાનો કાયમી હક ઝુંટવાઈ ગયો હતો.
સામાપોરના કેટલાંક કુટુંબો માછલાં વેચી પોતાનું ગુજરાન ચલાવતાં. માછલાં વેચવા માટે બહેનોને મટવાડની પોલીસ ચોકી પાસેથી જ પસાર થવું પડતું. ત્યારે પોલીસો બહેનો પાસેથી પરાણે માછલાં લઈ લેતા. મટવાડના પરસોતમભાઈ હીરાભાઈ જેલમાંથી છુટીને આવ્યા ત્યારે તેમણે માછલાં વેચનારી બહેઓ પ્રત્યે સહાનુભુતી બતાવી, સાથે આવવાની હીંમત બતાવી, ત્યારે પોલીસોએ તેમને તમાચો મારી તેમની ટોપી ઉડાડી હાંસી કરેલી. પરસોતમભાઈએ પોલીસના અધીકારીને રુબરુ મળીને નામ-નંબર સાથે સુરતના ડી.એસ.પી.ને અરજી કરેલી. એટલે ડી.એસ.પી.એ એ પોલીસને બરતરફ કર્યો હતો. ફરીથી કોઈ આવું કરશે નહીં તેની ખાતરી આપી હતી.
સ્વાતંત્ર્ય સંગ્રામની લડત દરમીયાન કાંઠાની પ્રજા પર જે જુલમ ગુજારવામાં આવ્યો હતો તેવો જ જુલમ બંગાળ, બીહાર અને ઓરીસ્સામાં પણ ગુજારવામાં આવ્યો હતો. તેમની ઘરવખરી લુંટી લીધી હતી. અનાજ અને ખોરાકની વસ્તુઓ લુંટી લીધી હતી. પરીણામે ત્યાં ભુખમરો સર્જાયો હતો. ૩૫ લાખ લોકો ભુખમરામાં ભરખાઈ ગયાં હતાં. બ્રીટીશ સામ્રાજ્યની સરકારે માનવતાનું દેવાળું કાઢ્યું હતું.
નાગરીકોના અવાજને કોઈ સ્થાન ન હતું. પોલીસોના વર્તન સામે પ્રજા લાચાર હતી. પોલીસો બેફામ બનતા જતા હતા. પોલીસ જેમને ગીરફતાર કરતી તેમને નવસારી જેલમાં રાખવામાં આવતા. ૧૫-૨૦ દીવસ પછી સુરત જેલમાં ખસેડવામાં આવતા. ત્યાંથી નડીયાદ સબ જેલમાં લઈ જવામાં આવતા.
જે રાષ્ટ્રવાદીઓ નાસતા ફરતા હતા તેઓ કરાડી કે દેલવાડાની સીમમાં રહેતા હતા. તેમને ગીરફતાર કરવા માટે પોલીસો ઘણી વાર ગાયકવાડી પોલીસોનો પણ સહારો લેતા હતા. પરસોત્તમભાઈ હીરાની ગીરફતારી એમના સાસરે બોદાલીથી કરવામાં આવી હતી. પોલીસના પંજામાં ન સપડાવા માટે તેમણે માળ પરથી કુદકો માર્યો હતો. પણ ઈજા થવાને કારણે પકડાઈ ગયા હતા. એ જ સમયે મગન ટારઝનને પણ પકડી લીધો હતો.
૫. કેટલાંક સાહસીક સંસ્મરણો
૧૯૪૨ ની ક્રાંતી દરમીયાન કેટલાક બનાવો બનેલા. સરકારની વીરુદ્ધમાં એ બનાવો હતા. તેના ઉપરથી ખ્યાલ આવશે. લોકો પરદેશી શાસનને કેટલું ધીક્કારતા હતા!
સાગરાનો રેલ્વે પુલ ઉડાવવાનો પ્રયાસ
બ્રીટીશ શાસનને છીન્નભીન્ન કરી નાખવું, રફેદફે કરી નાખવું, તે માટેના પ્રયત્નો થતા હતા. આયોજનો થતાં હતાં. તેમાં એક વાર નવસારી અને મરોલી વચ્ચે આવેલ સાગરાનો પુલ ઉડાવી દેવાનું નક્કી કર્યું. તેમાં તવડીના ચાર ભાઈઓ, કાદીપોરના ચાર ભાઈઓ અને દેલવાડા, કરાડી, મટવાડના યુવાનો પણ હતા. પી.સી. પટેલે મુંબઈના એક કોન્ટ્રાક્ટર પાસેથી દારુગોળો મેળવ્યો હતો. આ દારુગોળો રાત્રે મરોલી સ્ટેશને ઉતારવામાં આવ્યો હતો. ત્યાંથી દેલવાડાના ભાઈઓ બળદગાડામાં લઈ ગયેલા. આ કાર્યક્રમમાં જોડાયેલ ભાઈઓને દારુગોળાના ઉપયોગ વીષેનું જ્ઞાન અને અનુભવ ઓછો હતો. પુલના થાંભલાની મજબુતાઈ વીશે પણ પુરો ખ્યાલ નહોતો. એટલે રાત્રે પુલના કોંક્રીટને તોડતાં ઠીક ઠીક સમય લાગેલો. અંતે જ્યારે દારુગોળો મુકી સળગાવવામાં આવેલો ત્યારે પ્રચંડ ધડાકો થયેલો. જેનો અવાજ માઈલો સુધી સંભળાયેલો. પરંતુ સફળતા નહોતી મળી. અનુભવ અને આવડતની ખામીને કારણે પુલમાં નાનકડું ગાબડું જ પડ્યું હતું. પુલ તો સલામત હતો.
કનાઈ ખાડીના રેલ્વે પુલ પર બોમ્બ મુક્યો
સાગરાનો પુલ ઉડાવી દેવામાં મળેલી નીષ્ફળતા પછી એમ થયું કે હવે કનાઈ ખાડી પરનો રેલ્વે પુલ ઉડાવી દઈએ, જે નવસારી અને વેડછા વચ્ચે આવ્યો છે. આ વખતે વધુ ચોકસાઈ રાખી વ્યવસ્થીત આયોજન કર્યું. બે ટુકડી પાડી. એક ટુકડી નવસારીની, બીજી ટુકડી કાંઠા વીભાગની. બંને ટુકડી વચ્ચે સાંકેતીક ભાષામાં વાતચીત થતી. એક ટુકડી ‘વંદે’ બોલે તો બીજી ટુકડી ‘માતરમ’ બોલે, એટલે ખબર પડી જતી કે એ આપણાવાળા જ છે. એક બીજો સંકેત પણ હતો. જો કોઈ અકલ્પ્ય સંજોગો ઉભા થાય તો ત્રણ વાર ટોર્ચનો પ્રકાશ કરવો, જેથી ખબર પડે કે એ આપણા જ સાથીદારો છે. નક્કી કરેલ સમયે કાંઠા વીભાગની ટુકડી કનાઈ ખાડીના પુલ નજીક પહોંચી ગઈ હતી. નવસારીની ટુકડી ત્યાં આવી નહોતી. તપાસ કરતાં ખબર પડી કે તે ટુકડી તો ખુબ સરસ રીતે તૈયાર થઈને આવી ગઈ છે. તેમની પાસે હથીયારો હતાં. બોંબ પણ તેમની પાસે જ હતો. બધાએ કાળો પોશાક પહેર્યો હતો અને બુકાની જેવું બાંધ્યું હતું. એક ટુકડી બોંબ મુકવા આગળ વધી. બીજી ટુકડી પુલને બંને છેડે ચોકી માટે ગોઠવાઈ ગઈ. કનાઈ ખાડીના પુલની રખેવાળી માટે બે રખેવાળો આંટાફેરા કરતા હતા. એ બંનેને પકડી લીધા. “ખબરદાર કંઈ બોલ્યા તો…” રામભાઈ ઉંકાભાઈએ ધા (ધારીયા જેવું હથીયાર) બતાવ્યું. ગભરાયેલા બીચ્ચારા રખેવાળોનાં કપડાં બગડી ગયાં….. ગાડી વેડછા સ્ટેશને આવી ચુકી હતી. જલદી જલદી બોંબ ગોઠવી દીધો. જામગીરી ચાંપી દીધી. ભયંકર વીસ્ફોટ થયો. બોંબ મુકનાર ભાઈઓ તો રેસના ઘોડાની જેમ ભાગ્યા. હમણાં ગાડી આવશે ને હમણાં ફુરચા ઉડી જશે એમ થતું હતું, પણ કંઈ જ ન થયું. પુલ અડીખમ ઉભો હતો. ગાડી સડસડાટ કરતી નીકળી ગઈ.
સરકારી ચોરા બાળવાનો કાર્યક્રમ
કાંઠાવીભાગમાં સરકારી ચોરાઓને આગ ચાંપી બાળી નાખવાનું કામ હાથ ધરવામાં આવ્યું. તે માટે કાર્યક્રમ ઘડી ટુકડીઓ પાડી. બોદાલી, મછાડ, કોથમડી, દાંડી, આટ વગેરે ગામોના સરકારી ચોરા બાળવાની પ્રવૃત્તીમાં એક અવરોધ હતો. દરેક ગામમાં સેવાભાવી ચોકીદારો રહેતા. રાત્રીના સમયે આ ચોકીદારો ગામલોકોની અને ગામડાંની મીલકતની રક્ષા કરતા. ગામડાંના લોકો પગાર આપે કે ન આપે તેની દરકાર કર્યા વીના સેવા કરતા. એટલે ગામલોકોને એમને માટે લાગણી. તેથી આ કામમાં ધારી સફળતા ન મળી. ઉતારા પ્રવૃત્તીમાં ગામલોકો જાગી જતા ત્યારે રાષ્ટ્રવાદીઓને જીવ લઈને ભાગવું પડતું, કારણ કે જો પકડાઈ જાય તો સરકાર જીવતા છોડે એમ નહોતી. એટલે સરકારી ચોરા બાળવાની પ્રવૃત્તીમાં સફળતા નહોતી મળી.
કપાસની હોળી કરી
૧૯૨૮ની સાલમાં ખેડુતોનું જીવન કેવું કપરું છે તેનો ખ્યાલ કર્યા વીના સરકારે જમીનનું મહેસુલ વધારી દીધું. ખેડુતો મુશ્કેલીમાં મુકાઈ ગયા. બારડોલીના ખેડુતોએ સત્યાગ્રહ કર્યો. સત્યાગ્રહની નેતાગીરી વલ્લભભાઈએ લીધી. લાંબી લડતને અંતે વીજય થતાં લોકો તરફથી વલ્લભભાઈને ‘સરદાર’નો ગૌરવભર્યો ખીતાબ મળ્યો.
સત્યાગ્રહ દરમીયાન ખેડુતો જે થોડોઘણો કપાસ પકવી શક્યા હતા તે એક જીનમાં સોંપી દઈ વળતરની રાહ જોઈ બેઠા હતા. તે વખતે એક મોટા કંપાઉન્ડનો કબજો સરકારે લઈ લીધો. ખેડુતોની આંતરડી કકળી ઉઠી. વલ્લભભાઈનું હૃદય આક્રંદ કરી ઉઠ્યું. તેમણે કહ્યું – આપણી મહેનતનો કપાસ સરકારે મફત પડાવી લીધો છે.
સત્યાગ્રહીઓની આ મેદનીમાં મટવાડના મંગાભાઈ સુખાભાઈ, કરાડીના રણછોડભાઈ લાલાભાઈ અને મકનભાઈ પરસોતભાઈ હાજર હતા. મફતમાં પડાવી લીધેલ કપાસના ઢગલાનો નાશ કરવાનો સંકલ્પ આ ત્રણે જણે લીધો. ત્રણે નવસારીના ડૉ. ખંડુભાઈને મળ્યા. વાત કરી. ડૉ. ખંડુભાઈ ખુબ રાજી થયા. મદદ કરવા તૈયાર થયા.
એમણે એક તરકીબ શોધી કાઢી. કપાસના ઢગલામાં ફોસ્ફરસ મુકી કપાસ બાળી મુકવાનો હતો. કામ કઠણ હતું. જાનનું જોખમ હતું. કાંટાળા તારની વાડ હતી. ચોવીસ કલાક પોલીસોનો પહેરો હતો. પકડાયા તો આવી જ બને. કાં ફાંસી, કાં કારાવાસ. છતાં આ ત્રણે વીરો કપાસને આગ ચાંપવા કૃતસંકલ્પ હતા.
ત્રણે વીરો સર્પની જેમ સરકતા સરકતા કંપાઉન્ડમાં દાખલ થયા. કપાસના ઢગલા પાસે પહોંચી ગયા. સુર્યનારયણનાં પ્રથમ કીરણો કઈ બાજુથી આવે છે તેનો ખ્યાલ કરીને ઢગલામાં ફોસ્ફરસ ભભરાવી દીધો. સર્પની જેમ સરકતા સરકતા પાછા આવતા રહ્યા. સુર્યનારાયણ હીંદના સ્વરાજ્યની જ્યોત જલતી રાખવા પોતાનો રથ હંકરતા હંકારતા ઉગમણી કોરે આવી રહ્યા હતા. સુર્ય નારાયણે પોતાનું પહેલું કીરણ ઝુંટવી લીધેલા કપાસના ઢગલા પર ફેંક્યું, અને જંગલમાં દવ લાગે તેમ ફોસ્ફરસ સળગી ઉઠ્યો. આંખના પલકારામાં બધું બળીને ખાખ થઈ ગયું. પોલીસો અને અધીકારીઓ ચકીત થઈ ગયા. આવું બને જ શી રીતે? તેમને માટે કોયડો કોયડો જ રહ્યો!
આ બાજુ ડૉ. ખંડુભાઈ દેસાઈ અને કાંઠાના ત્રણે રાષ્ટ્રવાદી યુવાનો મતૃભુમીની મુક્તી માટેના યજ્ઞમાં કંઈક કર્યાનો પરીતોષ લઈ રહ્યા હતા.
તાડના ઝાડ પર ત્રીરંગો ઝંડો ફરકાવ્યો
એક વાર દેલવાડા ગામની સીમમાં બેઠા હતા. ત્યારે મણીભાઈના મનમાં વીચાર આવ્યો. એમણે જેક સામે પ્રસ્તાવ મુક્યોઃ
મણીભાઈ ઃ જેક!
જેક ઃ બોલો મણીભાઈ? શું વાત છે?
મણીભાઈ ઃ બીજી ઓક્ટોબરે ગાંધી જયંતી છે.
જેક ઃ શું ઈચ્છા છે?
મણીભાઈ ઃ ભારત વીદ્યાલય કરાડીની નજીક
ત્રીરંગો ઝંડો ફરકાવવો જોઈએ.
જેક ઃ જરુર ફરકાવીએ. ઝંડો ક્યાંથી લાવીશું?
મણીભાઈ ઃ શાળામાં શીક્ષકોના ઓરડામાં મોટા
કબાટમાં બે મોટા ઝંડા છે. તાળાં તોડીને લાવવું પડશે.
જેક ઃ ભલે, જરુરથી લઈ આવીશ.
મણીભાઈ ઃ પણ આ વાત ગુપ્ત રાખજો.
જેકભાઈની જ્યોતમાં ઘી ઉમેરાયું. બન્ને જણ રાષ્ટ્રધ્વજના વીચારોને ફ્રીજમાં મુકી દે છે. મણીભાઈ વીષયાંતર કરતાં કહે છે-આવતી કાલે તવડી જવું છે. ડાહ્યાભાઈ કાનજીને ત્યાં.
બીજે દીવસે જેકભાઈ ખાડી ઓળંગી મણીભાઈને તવડી લઈ જાય છે. મણીભાઈને જોઈને ડાહ્યાભાઈ તો રાજી રાજી થઈ જાય છે. મણીભાઈને ભેટી પડે છે. પછી બંને વાતોમાં ખોવાઈ જાય છે. જેકભાઈ પાછા દેલવાડા આવે છે.
જેકભાઈનું મન તો ઝંડાના વીચારોમાં ચકરાવે ચડ્યું હતું. ક્યારે બીજી ઓક્ટોબર આવે ને ક્યારે ઝંડો ફરકાવીએ. મનમાં વીચારી લીધું કે જો નીચી જગ્યાએ ફરકાવીએ તો પોલીસો ઉતારી જાય. એને બદલે ઉંચામાં ઉંચી જગ્યાએ ફરકાવીએ તો પોલીસોનું ગજું નહીં.
દેલવાડા ગામમાં તપાસ કરી. કોઈ તાડ પર ચઢે એવો છે? અમારા ગામમાં તાડ પર તફડાં (તાડનાં ફળ) ખુબ આવ્યાં છે. તાડ પર ચઢનાર કોઈ મળે તો ગલેલી (તડફલાં) ખાવાની મજા આવે.
એક જણ મળ્યો ખરો. પુછ્યું – તરસાડી (તાડનાં પાંદડાં) પાડવાનું શું લો છો?
પાંચ રુપીયા.
ઠીક, હું તને કહેવડાવીશ.
પણ પછી થયું કે જો કરાડીમાં જ કોઈ મળી જાય તો સારું.
બીજે દીવસે દેલવાડામાં હું-દયાળભાઈ કેસરી, જેરામભાઈ સુખાભાઈ, રામભાઈ ઉંકાભાઈ, નારણભાઈ ઉંકાભાઈ, પરસોત્તમ તલાટી અને ડી. એમ. વગેરે પધાર્યા હતા. જેકભાઈને જોઈને બધા રાજી રાજી થઈ ગયા. જેકભાઈના મગજમાં તો ત્રીરંગો ફરકતો હતો. એટલે હળવેકથી પુછ્યું – દેલવાડામાં તાડ ઘણા છે. તાડ પર ચઢનાર કોઈ મળી જાય તો ગલેલી ખાવાની મજા આવે!
કરાડીવાળા નારણભાઈ બોલી ઉઠ્યા – જેકભાઈ તમારે ગલેલી ખાવી હોય ત્યારે કહેજો ને!
નીશાન બરાબર વાગ્યું હતું.
નારણભાઈને ખાનગીમાં મળીને આખી યોજના સમજાવી, સુચવ્યું કે શાળાની નજીક હીરા છીબાના ખેતરમાં બે મોટા તાડ છે. તેની ઉપર ત્રીરંગો ઝંડો ફરકાવવાનો છે.
બીજી ઓક્ટોબર આવે તે પહેલાં દેલવાડામાં સોલંકી (જસમતભાઈ), ડી.ડી. ડાહ્યાભાઈ દયાળ અને ડાહ્યાભાઈ બુધીયાભાઈને આખી યોજના સમજાવી.
પહેલી ઓક્ટોબરે કરાડીના દયાળભાઈ સુખાને ઝંડા સહીત કરાડીના સ્મશાને આવી પહોંચવા કહ્યું હતું. કરાડીનું સ્મશાન એ રાષ્ટ્રવાદીઓનું મીલનસ્થળ હતું. નક્કી કરેલ રાત્રે મોટી ભરતી હતી. સામે પુર્ણા નદીનો વીશાળ પટ હતો. પાંચે પાક્કા તરવૈયા હતા. પુર્ણા નદીના ધસમસતા પ્રવાહમાં ઝંપલાવ્યું. તરતા તરતા કરાડીના સ્મશાને આવી પહોંચ્યા. થોડી વાર પછી દયાળભાઈ આવ્યા. જેકભાઈએ પુછ્યું – ઝંડો લાવ્યો કે? એ કહે એક જગ્યાએ સંતાડી રાખ્યો હતો. મળતો નથી. જેકભાઈનો ગુસ્સો આસમાને પહોંચ્યો છે. પણ ગળી જાય છે. નારણભાઈ અને જેકભાઈ બંને શાળામાં જઈ તાળું તોડી ઝંડો લઈ આવે છે. હીરા છીબાના ખેતરે પહોંચે છે. નારણભાઈ તાડની નજીક જાય છે. પીઠ પર વાંસ અને ત્રીરંગો ઝંડો બાંધ્યો છે. ઝટપટ તાડ પર ચઢી જાય છે. દોરીથી ત્રીરંગો ઝંડો બાંધે છે. નીચે ઉભેલ મીત્રો રોમાંચ અનુભવે છે. જેકભાઈ મનોમન ગણગણે છે – ઝંડા અજરઅમર રહેજે, વધવધ આકાશે જાજે. આકાશને અને ઝંડાને વંદન કરી રાત્રે બે વાગે પાછા દેલવાડા આવી જાય છે.
સવારે જેકભાઈ કરાડી જાય છે. ત્યારે મા હરખભેર સમાચાર આપે છે – “હીરા છીબાની વાડીમાં કોઈ ત્રીરંગો ઝંડો ફરકાવી ગયું છે. પોલીસો તેને શોધે છે!”
માને ક્યાંથી ખબર કે એમના લોહીનો જ એ પ્રતાપ છે!
ખરો આનંદ તો પાંચાકાકાને થયો. કહેવા લાગ્યા – “છોકરાઓએ રંગ રાખ્યો.”
બાતમીદારોના બેહાલ
પોલીસોના ત્રાસથી બચવા માટે અને સ્વરાજ્યની ચળવળને જ્વલંત રાખવા માટે કરાડી-મટવાડના મીત્રો દેલવાડા ગામમાં રહેતા હતા. દેલવાડા ગામનો સીમાડો રાટ્રવાદીઓનું આશ્રયસ્થાન હતું. કેટલાક રાટ્રવાદીઓ પર પોલીસખાતાનું વૉરંટ હતું. તેઓ ક્યાં છુપાયા છે? શું કરે છે? વગેરે બાતમી મેળવવા માટે મટવાડના પોલીસપટેલ મોસમમીયાં, એનો દીકરો લાલમીયા, આવડાફળીયાના દયાળ દીલી અને દુભા છાપી કેટલીક વાર દેલવાડા ગામની મુલાકાતે આવતા હતા. કેટલીક વાર તાડી લેવાને બહાને કે બળદ, ગાય કે ભેંસની શોધને બહાને આવી ચડતા હતા. મોસમમીયો તો બ્રીટીશ સરકારનો પાકો ખાંધીયો હતો. બાતમીદારનું કામ કરતો હતો. એ રાષ્ટ્રવાદીઓની દરેક પ્રવૃત્તીઓ પર, ગતીવીધીઓ પર ચાંપતી નજર રાખતો હતો. પણ રાષ્ટ્રવાદીઓ એની જાળમાં ફસાય જાય એવા કાચી માટીના નહોતા.
દુભા છાપીની હોડી
દેલવાડામાં રહેતા રાષ્ટ્રવાદીઓ કેટલીક વાર પોતાના કુટુંબીઓના ખબરઅંતર પુછવા ગામ જતા હતા. પોલીસના ત્રાસને કારણે કુટુંબીઓની ચીંતા કરતા હતા.
જેકભાઈને એમ થયું કે કુટુંબીઓને મળવા જાઉં. જેકભાઈ પ્રખર રાષ્ટ્રવાદી, અખાડીયન અને કુનેહબાજ. આઝાદીની કોઈ પણ ચળવળમાં એ હોય જ. સરકાર સામેની ભાંગફોડ પ્રવૃત્તીના એ પ્રણેતા હતા, પ્રાણ હતા.
એક વાર મટવાડના ચોરા પર બોંબ મુકવાનો વીચાર કર્યો. ચોરા પર તો પોલીસનો જમેલો હોય. પકડાઈ ગયા તો….. પણ એ જ તો જેકભાઈ. જેક જેનું નામ. પોતાના સ્વપ્નને સાકાર કરવા પુર્ણાને કીનારે આવ્યા. ભરતીના પાણીનો પ્રવાહ ધસમસતો હતો. વીચાર્યું કે થોડી રાહ જોઉં. મટવાડના ચોરાના ફુરચા ઉડાવવાના તરંગમાં તેઓ રાચતા હતા. એટલામાં દુભો છાપી પોતાની હોડી લઈને ત્યાં ભટકાણો. “ક્યાં જવું છે?” જેકભાઈને પુછ્યું. “ઘરે જવું છે, કુટુંબીઓને મળવા.” જેકભાઈએ કહ્યું.
અને જેકભાઈ પુર્ણા નદી તરીને કરાડીને કાંઠે આવ્યા. ત્યાં અચાનક વેઠીયો મળ્યો. જેકભાઈ વેઠીયાની ગતીવીધી તો જાણતા જ હતા. લોહી ઉકળી ઉઠ્યું. “જા, તારા બાપને કહી દેજે કે સીંહ આવ્યો છે. હીંમત હોય તો પકડે.”
આવા જેકભાઈ!
કાંઠાનું લુણ. સામેથી પડકારે!
જેકભાઈ જાણતા જ હતા કે દુભો છાપી દુભો જ છે. દુભાયેલો છે. દુર્મતી છે. તાડી કે બીજાં કોઈ બહાનાં હેઠળ આવતો અને પોલીસોને બાતમી પુરી પાડતો હતો. દેલવાડાવાસીઓ પણ એની આ દુર્ભાવના ભરેલી ચાલ પામી ગયા હતા. દુભા છાપીએ સમાચાર પહોંચાડી દીધા. રાત્રે જેકભાઈના ઘરે દરોડો પાડ્યો. જેક ચકોર હતા. તેઓ રાત્રે જ મામાના ઘરે પહોંચી ગયા હતા જલાલપોર. ભાભીએ મોડી રાત્રે શાકરોટલા બનાવી જમાડ્યા હતા જેકભાઈને.
આ તરફ પોલીસોએ જેકભાઈના ઘરને ઘેરી લીધું. તપાસ કરી. જેકભાઈ મળ્યા નહીં. એટલે કુટુંબીઓ પર ખાર ઉતાર્યો. જેકભાઈના વૃદ્ધ પીતાને મારી મારીને પાડી નાખ્યા. ઘર સળગાવી મુકવાની ધમકી આપી. ધમાલને કારણે ઓટલા પર સુતેલી કેસલી ગાંડી જાગી ગઈ. ઘરમાં આવી ઘાસના ઢગલા પર બેસી ગઈ. વેઠીયાએ કહ્યું, “આનો કંઈ ભરોહો નંઈ.” પોલીસો ગભરાયા. કેસલી ગાંડીને કારણે ઘર બચી ગયું. પણ જેકભાઈના પીતાને પકડી ગયા. આ તરફ જેકભાઈ જલાલપોર, તવડી થઈ દેલવાડાની બોડમાં પાછા આવી ગયા. બેચાર દીવસ પછી પાછા ગયા, ત્યારે ખબર પડી કે આવું બની ગયું. રુંવાડાં ઉભાં થઈ ગયાં. અંતરનો ઉભરો એમણે ડાહ્યાભાઈ બુધીયા સમક્ષ ઠાલવ્યો. ડાહ્યાભાઈ દેલવાડાની મોંઘી જણસ. રાષ્ટ્રવાદીઓના ભેરુ. રાષ્ટ્ર માટે તનમનધનથી ખુવાર થનાર. જેકભાઈએ તેમને કહ્યુંઃ “આપણે એક કામ કરવાનું છે.”
“શું”?
“આ દુભો છાપી સરકારનો ખાંધીયો છે.” જેકે કહ્યું.
“તે આજે ખબર પડી?” ડાહ્યાભાઈએ કહ્યું.
જેક ઃ “એની હોડીને સ્વરાજ્યના યજ્ઞમાં હોમવાની છે.”
ડાહ્યાભાઈઃ “સાથે સાથે એને પણ હોમી દેવાની જરુર છે.”
જેક ઃ “મટવાડના બંદરે લંગારેલી હોડીઓમાંથી તમે એની
હોડીને ઓળખી શકશો?”
ડાહ્યાભાઈઃ “હા, હા, ચોક્કસ.”
જેક ઃ “આજે અમાસ થઈ. બીજત્રીજની ભરતીનો લાભ
ઉઠાવીએ.”
ડાહ્યાભાઈઃ “આપણે એકબે જણને સાથે લેવાની જરુર પડશે.”
જેક ઃ “સોલંકી અને ડી. ડી.ને લઈ લઈએ.”
ડાહ્યાભાઈઃ “હું આજે જ એમને કહી દઉં.”
જેક ઃ “બે મોટા કુહાડા અને નરાજની પણ જરુર પડશે.
દુભા છાપીના લગનમાં રસોઈ કરવા માટે.
ડાહ્યાભાઈઃ “લગ્નમાં આપણા ચાર સીવાય બીજા કોઈને
બોલાવવાની જરુર નથી.”
જેક ઃ “બેત્રણ દીવસ પહેલાં મારા ઘરે પોલીસ મોકલી ખુબ
ત્રાસ આપેલો. મારા પીતાને પકડી ગયેલા.”
ડાહ્યાભાઈઃ “આપણે હોડી માટે નારણભાઈને કહેવું પડશે.”
નારણભાઈને વાત કરી. એણે કહ્યું – “જ્યારે જોઈએ ત્યારે લઈ જજોને.”
નારણભાઈએ દુભા છાપીના લગનનું મુરત ગોઠવી કાઢ્યું. ત્રીજનાં પાણી રાત્રે બેના સુમારે આવે. ભરતી પણ મોટી. ચારે જણ હોંશે હોંશે હોડીમાં ગોઠવાયા. જેકભાઈએ સઢ ચઢાવ્યો. પવનવેગી હોડીએ કરાડીની ખાડીમાં પ્રવેશ કર્યો. રોયલી (લંગર) નાખી. ચાલતા ચાલતા મટવાડ બંદરે આવી પહોંચ્યા. ડાહ્યાભાઈએ દુભા છાપીની હોડી શોધી કાઢી. સોલંકીએ કહ્યું કે આમાં તો કેરોસીનના ખાલી ડબ્બા છે. તો તો એ ચોક્કસ નવસારી જવા રાત્રે આવવાનો જ. ખાલી ડબ્બાને પાણીમાં પધરાવી દીધા. સઢના ચીરા કરી પુર્ણામાને અર્ઘ્ય આપ્યો, ડાહ્યાભાઈએ અને જેકભાઈએ કુહાડાથી અને નરાજથી પલબાણ અને પાટીયાંને છુટાં કરી તરતાં મુકી દીધાં. જાય બધું તણાતું, ત્રીજની ભરતી, એટલે પુછવું જ શું? પછી પાછા પોતાની હોડીમાં આવ્યા. રોયલી ખેંચી. સઢ ચઢાવ્યો. કરાડીની કડ્ડી (કીનારો) છોડી દેલવાડાની ખાડીમાં આવી પહોંચ્યા. થાકને કારણે નીદ્રાદેવીને શરણે ગયા. પથારીમાં પડતાં ભેગા ઘસઘસાટ ઉંઘી ગયા.
નારણભાઈને ખબર ન પડી કે એની હોડી સ્વરાજ્યના યજ્ઞમાં પવીત્ર થઈને આવી ગઈ છે.
સવારે બધા જાગ્યા ત્યારે ડાહ્યાભાઈએ કહ્યું – “જેકભાઈ, દુભો છાપી હવે પછી દેલવાડાનું નામ તો શું, દેલવાડા તરફ માથું રાખીને સુશે પણ નહીં!”
“એ જ લાગનો હતો એ.” જેકભાઈએ કહ્યું.
લાલમીયાંની લંગોટી
બ્રીટીશ તાજનો ‘પોલીસ પટેલ’નો તોફો જેને મળ્યો હોય તેના મીજાજનું પુછવું જ શું? મોસમમીયાનું એવું હતું. રાષ્ટ્રવાદીઓની બાતમી મેળવવા તે તેના દીકરા લાલમીયાંનો ઉપયોગ કરતો. દીકરો બાપને આંટે તેવો હતો. રાષ્ટ્રવાદીઓનું પગેરું કાઢવા તે અવારનવાર દેલવાડા આવતો. બધા એનાથી ચેતતા રહેતા.
એક દીવસે અમે બધા હરીભાઈ સહીત ડાહ્યાભાઈ બુધીયાને ખેતરે બેઠા હતા. ત્યાં સોલંકીએ સમાચાર આપ્યા કે મોસમમીયાંનો કુંવર આવ્યો છે. સમાચાર સાંભળતાં જ ડાહ્યાભાઈનું લોહી ઉકળી ઉઠ્યું. સોલંકીને સાથે લઈ ડાહ્યાભાઈ ગામમાં આવ્યા. ડાહ્યાભાઈના મુખારવીંદ પરથી જેકભાઈ પામી ગયા-કંઈક બનવાનું છે.
દેલવાડા ગામમાં બળદ ખરીદવાને બહાને લાલમીયાં આવે તે વાત ડાહ્યાભાઈને ખટકતી હતી. ડાહ્યાભાઈ તો લાલમીયાંને પાઠ ભણાવવા પહોંચ્યા નદી કીનારે. મોસમમીયાંની દયા ખાઈને કોઈએ એને ચેતવી દીધો કે હમણાં જ ભાગ નહીંતર ગામના જુવાનીયા તારાં હાડકાં ખોખરાં કરી નાખશે. એટલે એ ભાગ્યો. નદી કીનારે આવી હોડીની વાટ જોવા લાગ્યો. હોડી આવી. ડાહ્યાભાઈએ હાથ ઉંચો કરીને હોડીવાળાને સંકેત કર્યો. હોડીવાળો હોડી કીનારે લઈ આવ્યો. તેમાં લાલમીયાં સહીત જેકભાઈ, ડાહ્યાભાઈ, ડી.ડી. અને સોલંકી પણ ગોઠવાઈ ગયા. ડાહ્યાભાઈએ કહ્યું કે અમને કરાડીની બ્રાહ્મણી (એક જગ્યા) પાસે ઉતારી દેવા. બ્રાહ્મણી જેવું પવીત્ર સ્થળ આવ્યું એટલે ચારેય ઉતર્યા. લાલમીયાંએ ઉતરવાની ના પાડી. એટલે ડાહ્યાભાઈએ આગ ઝરતી આંખે કહ્યુંઃ “ઉતરે છે કે નહીં?” પછી એનું બાવડું પકડી ઉતારી દીધો.
“બોલ, શું કામ આવેલો?”
“હું તો….હું તો…..બળદ લેવા આવેલો.” ગેં ગેં ફેં ફેં કરવા લાગ્યો.
“સાચું બોલ, નહીં તો આ બ્રાહ્મણીમાં તારી કબર ચણી દઈશું. બળદ જોવા આવેલો કે કરાડી મટવાડના ભાઈઓની તપાસ કરવા આવેલો?” સોલંકીએ અને ડી.ડી.એ બરાબર ઠમઠોર્યો.
પછી તો ભાઈ……! શું ધ્રુજે? શું ધ્રુજે? ડાહ્યાભાઈ કહેઃ “આ
બ્રીટીશરોનું કરાડી-મટવાડ નથી. ગાયકવાડનું દેલવાડા છે. સમજ્યો?”
જેકભાઈ કહેઃ “ડાહ્યાભાઈ, તમે એને મારી ન નાખતા.”
પછી એને પુર્ણા નદીના બે ફાંટા પડે છે ત્યાં એક ટાપુ પર લઈ જઈને, કપડાં કાઢી નાખીને, છોડી દીધેલો.
દેલવાડામાં દીવસો સુધી લાલમીયાંની લંગોટીની વાતો ચાલ્યા કરી. પછી ખબર પડી કે એ ચાલતો ચાલતો મછાડ ગયેલો. ત્યાંથી કોઈ મુસલમાનભાઈની પાસે કપડાં માગીને પછી મટવાડ ગયેલો. લોકો મોસમમીયાંનું ઝેરીયું (હોળીનું
ગીત) ગાતાઃ
મટવાડનો પટેલ મોસમમીયો રે,
મટવાડ ગામનો પટેલ મોસમમીયો,
હો ભાઈ તેનાં તો જુલમનાં ગીત ગવાય રે,
હો ભાઈ તેનાં તો જુલમનાં ગીત…..
લાઠી મરાવી ગોળીબાર કરાવ્યો રે,
લાઠી મરાવી ગોળીબાર કરાવ્યા,
હો ભાઈ તોયે ન ધરાયો એનો જીવ રે,
હો ભાઈ તોયે ન ધરાયો એનો જીવ રે
૬. રાજપીપળાથી નવસારી
અમારા પર વૉરંટ હોવાથી અમે રામભાઈ સાથે બે જણા છુપાતા ફરતા હતા. પોલીસથી છુપાવા માટેના સલામત સ્થળ અંગે વીચારતા હતા ત્યારે અમે રાજપીપળા કે જે તે સમયે દેશી રજવાડું હતું ત્યાં જવા નક્કી કર્યું. અમે ચાલતા તવડીથી કાદીપોર અને ધામણ થઈ મરોલી પહોંચ્યા. ત્યાંથી મળસ્કે ટ્રેનમાં અંકલેશ્વરથી ઝઘડીયા થઈ ધામણના ગોરધનભાઈએ રાજપીપળામાં પાંચેમ ગામે જમીન રાખી હતી ત્યાં પહોંચ્યા. જંગલમાં ઘણા ઉંડાણનું ગામ હોવાથી અમે અહીં સુરક્ષીત હતા. ત્યાં ટપાલ કે છાપાં નીયમીત મળતાં ન હોવાથી લડતના સમાચાર બીલકુલ જાણવા મળતા ન હતા. આથી ૧૪-૧૫ દીવસ ત્યાં રહ્યા બાદ પાછા ફરવાનું વીચાર્યું. પરંતુ ત્યાંથી પાછા શી રીતે આવવું તે પ્રશ્ન હતો, કેમ કે કરાડી-મટવાડના બે ભાઈઓ ટ્રેનમાંથી પકડાઈ ગયા હતા. આથી ટ્રેનમાં જવું જોખમકારક હતું. વળી ચોમાસાના દીવસો હોવાથી રસ્તા કાદવ-કીચડવાળા હતા, છતાં અમે પગપાળા નવસારી પહોંચવાનો વીચાર કર્યો અને બપોરે ૧૨-૦૦ વાગ્યે ચાર ભાખરી લઈ પાંચેમથી ખેતીના રખેવાળના વેશમાં નીકળ્યા.
સાંજે અમે આમકુટ્ટા ગામે જ્યાં માણેકપોરના એક મુસ્લીમ ચાચા રહેતા હતા ત્યાં આવ્યા. અહીં અમે રાત્રે રહેવાનું વીચાર્યું હતું. પરંતુ તેઓ ઘરે ન હતા. આથી ત્યાંથી એક ભોમીયો લીધો જે અમને બોઢાણ ગામ જ્યાં એક પારસી બાવા રહેતા હતા ત્યાં લઈ ગયો. માંડવીથી આ ગામ ૧૨ માઈલ જેટલું દુર હતું. અમે ત્યાં રાત્રે ૧૦-૦૦ વાગ્યે પહોંચ્યા. અહીં અમને ખીચડીના ભોજનની ઑફર કરવામાં આવેલી, પણ અમે જમ્યા ન હતા.
અહીંથી અમે મળસ્કે ચાલી નીકળ્યા અને પાકા રસ્તે ચાલતાં ચાલતાં તાપી નદી આગળ પહોંચ્યા. હોડીમાં તાપી નદી ઓળંગી ઓરણા ગામે રણછોડભાઈના ઘરે આવ્યા. રણછોડભાઈ ઘરે ન હતા, ખેતરે ગયા હતા. એમનાં પત્નીએ કહ્યું, “તમે ભુખ્યા હશો, અમારા ખેતમજુરો (હળપતીઓ) માટે બનાવેલ રસોઈ વધી છે તે તમે જમી લો.” અમે ના પાડી છતાં બહુ આગ્રહ કર્યો આથી જમવા બેઠા. પરંતુ જે વાસણમાં કઢી આપવામાં આવી હતી તે કાણું હતું, આથી અમે બધી કઢી થોડી થોડી ઝડપથી વહેંચી લીધી. રણછોડભાઈ ન મળ્યા આથી મેં એમની પત્ની પાસેથી કાગળ માગી ચીઠ્ઠી લખી. મારી પાર્કર પેન વડે ચીઠ્ઠી લખી ત્યારે એ બહેનની નજર પાર્કર પેન તરફ જ હતી તે રામભાઈએ જોયું, અને મને ઈશારો કર્યો. મેં પેન ઝડપથી સીંગલેટમાં મુકી, પણ બરાબર બંધ થઈ ન હોવાથી માત્ર ઢાંકણ રહી ગયેલું અને પેન ક્યાંક પડી ગઈ હતી.
ત્યાંથી અમે ભક્ત કોમના આગેવાન શ્રી ઝીણાભાઈના ગામ વાવ આવ્યા. અમે રાજપીપળામાં ખેતીના રખેવાળ તરીકે અમારી ઓળખાણ આપી. ઝીણાભાઈને એમાં કોઈ શક લાગ્યો ન હતો, પરંતુ એમનો છોકરો અમારા માટે ચા લઈને આવ્યો. તેણે મને તરત જ ઓળખી કાઢ્યો. તે કહે, “તમે પાટીદાર આશ્રમમાં હતા?”
મેં કહ્યું, “ના, તમારી કંઈક ગેરસમજ થતી હશે. હું તો ખેતીનો રખેવાળ છું અને ડાંગરની રોપણી પુરી થઈ આથી ખબર આપવા અમે પાછા વળ્યા.” (મારો પહેરવેશ પણ રખાનો જ હતો).
જેમ જેમ હું ના પાડું તેમ તેમ એ વધુ પુરાવા આપતો ગયો.
“તમારું નામ દયાળભાઈ, તમે અખાડાની કસરત કરાવતા..,” વગેરે.
એણે એના પીતાને વાત કરી. આ પછી ઝીણાભાઈ સાથે ઘણી વાતો થઈ. એમનો આગ્રહ હતો કે અહીંથી અમારે બસમાં જ જવું જોઈએ. આથી બસસ્ટેન્ડથી અમે બસમાં ચડ્યા, તો અંદર પોલીસના બે માણસો બેઠેલા. રામભાઈ ગભરાયા. મને કોણી મારી ઈશારો કર્યો, “શું કરીશું?”
મેં કહ્યું કે ગભરાવું નહીં, આપણે બસના પાછળના ભાગે બેસી જઈએ અને પહેલું બસસ્ટોપ આવે ત્યાં ઉતરી જઈશું.
વાવથી ઉપડેલી બસ ચલથાણ આવીને ઉભી રહી. ત્યાં અમે ઉતરી ગયા તો લશ્કરના ચોકીયાતો. એ બધા રાઈફલ સાથે ઉભા હતા. રામભાઈ સાથે અમે નક્કી કર્યું કે એ તરફ જોવું જ નહીં. ઉભા રહેવાનું કહે તો હું ઉભો રહીશ, પણ રામભાઈએ ચાલતા જ રહેવું. જો કે ત્યાં કશું થયું નહીં.
ચલથાણથી આવતાં રસ્તામાં એક જગ્યાએ કુવો આવે છે એવો મને ખ્યાલ હતો, જ્યાં ડોલ અને સાંકળ પણ રાખવમાં આવતી. ત્યાં અમે પહોંચ્યા. કુવામાંથી પાણી કાઢી, હાથપગ ધોઈ પાંચેમથી લાવેલા તે ભાખરી ખાધી.
અમે રાત્રે ૧૦-૩૦થી ૧૧-૦૦ વાગ્યે કાદીપોર પહોંચ્યા. ત્યાં જેરામભાઈ રવજી અને રણછોડભાઈ ગોવીંદ હીંચકા પર બેઠેલા. અમે ખભા પર છત્રી એવી રીતે પકડી હતી કે જાણે રાઈફલ હોય. આથી અમને જોઈને આ બંને ભાઈઓ ગભરાઈ ગયેલા.
૭. સ્વાતંત્ર્ય સેનાનીઓની જેલયાત્રા
૧૯૪૩ની ૧૯મી ફેબ્રુઆરીની રાત્રે દેલવાડા ગામની સીમમાંથી કરાડી, મટવાડ અને દેલવાડાના દશ સ્વાતંત્ર્ય સેનાનીઓને ગીરફતાર કરવામાં આવ્યા હતા. મટવાડનો મોસમમીયો સરકારને બાતમી આપ્યા કરતો હતો. એટલે જ મટવાડના મારા સહીત પી.સી. પટેલ, કરાડીના આચાર્ય મણીભાઈ, જેકભાઈ અને દેલવાડાના ડાહ્યાભાઈ બુધીયાભાઈ, રણછોડભાઈ બુધીયાભાઈ, વલ્લભભાઈ મંગાભાઈ, નારણભાઈ ગાંડાભાઈ, હરીભાઈ જગુભાઈ અને નાથુભાઈ જીવાભાઈને ગીરફતાર કરવામાં આવ્યા હતા. આ સમાચાર વાયુવેગે સમાચાર પત્રોમાં પ્રગટ થયા હતા.
“દેલવાડા ગામની સીમમાંથી રાત્રે દશ રાષ્ટ્રવાદીઓને ગીરફતાર કરવામાં આવ્યા છે. તેમની પાસેથી શસ્ત્રો અને મોટી રકમ પણ મળી આવી છે. તેઓ અખાડીયન, હથીયારો વાપરવામાં કુશળ અને પોલીસના પંજામાંથી ભાગી જવામાં પ્રવીણ છે.”
‘ટાઈમ્સ ઓફ ઈન્ડીયા’માં આ સમાચાર વાંચી મુંબઈમાં રહેતા મણીભાઈના ગુજરાત વીદ્યાપીઠના એક સહાધ્યાયી મદદ કરવાની અપેક્ષાથી નવસારી સબજેલમાં મળવા આવેલા. સાથે ફળોનો એક મોટો કરંડીયો પણ લઈ આવેલા. સુટમાં સુસજ્જ પોતાના આ મીત્રને મણીભાઈ ઓળખી નો’તા શક્યા. જ્યારે મણીભાઈને પાંજરામાંથી બહાર કાઢવામાં આવ્યા ત્યારે મણીભાઈના સ્મૃતી પટલ પર વીદ્યાપીઠનો એ સહાધ્યાયી સાનંદાશ્ચર્ય પ્રગટ થયો. ભેટી પડ્યા. મણીભાઈએ વીસ્તારથી ઘણી વાતો કરી. ત્યારે સહજ રીતે મીત્રે પુછ્યુંઃ “કયાં કયાં હથીયારો પકડાયેલાં?” ત્યારે મણીભાઈએ કહ્યું કે એક રીવોલ્વર પકડાયેલી. મીત્રે પુછ્યું કે પૈસા કેટલા પકડાયેલા?
મણીભાઈએ કહ્યું કે દયાળભાઈ કેસરીના ખીસામાંથી ૪૨ રુપીયા પકડાયેલા. મીત્રે કહ્યું કે છાપામાં પોલીસે જે ધડાકો કર્યો છે તે સત્ય નથી. મીત્રે કોઈ પણ પ્રકારની મદદ કરવા જણાવ્યું. મણીભાઈએ કહ્યું કે એવી જરુર પડશે ત્યારે કહીશ. જોગાનુજોગ એ જ વખતે મણીભાઈના ગામ અલીન્દ્રાથી પણ પાંચસાત આગેવાનો જેલમાં મળવા આવેલા. મદદ કરવાની ઈચ્છા વ્યક્ત કરેલી. મણીભાઈએ એમને પણ ના જ પાડેલી.
દેલવાડામાંથી પકડાયેલા દશ રાષ્ટ્રવાદીઓ ગાયકવાડી રાજ્યમાંથી પકડાયા હતા. એટલે એમને નવસારી પોલીસ થાણામાં રાખવામાં આવ્યા હતા. બે દીવસ પછી બ્રીટીશ પોલીસે એમને દશ દીવસના રીમાન્ડ પર જલાલપોર પોલીસથાણામાં તબદીલ કર્યા હતા. જલાલપોર પોલીસથાણામાં દરરોજ રાત્રે ઉલટતપાસ કરવામાં આવતી હતી. અનેક પ્રકારના પ્રહારો કરવામાં આવતા હતા. અમાનુષી વર્તન એ જાણે બ્રીટીશ પોલીસનો અબાધીત અધીકાર હતો. પી.સી. પટેલના માથાના વાળ પકડી માથું દીવાલ સાથે ભટકાડતા. દીવાલ બાજુ મોં રાખી વાંકા વાળી મારતા. આથી પી.સી. પટેલના કાને બહેરાશ આવી ગઈ હતી. વાળ ખરી પડ્યા હતા. મણીભાઈ તો કાંઠાની પ્રવૃત્તીના અગ્રેસર હતા. એટલે એમને પણ સખત માર પડેલો. પોલીસની આંખ મારા પર પણ તગતગતી હતી. નસીબ જોગે જેકભાઈ બચી ગયા હતા.
મને ઉલટતપાસ માટે સતત બે રાત ઓફીસમાં બોલાવવામાં આવ્યો હતો. પ્રથમ રાતે પોલીસે અનેક પ્રકારની લાલચો આપી. સારી સારી વાતો કરી. પણ જ્યારે ફોજદારે જોયું કે આ દયાળ કોઈની ઉપર દયા કરે તેવો નથી. ત્યારે બીજી રાતે ફોજદારે પોતાનો પરચો બતાવ્યો. બીભસ્ત ગાળો દીધી. કહ્યું કે તમારા માટે તો ફાંસીનાં દોરડાં લટકે છે. મેં હીંમતથી કહ્યું કે ફાંસીએ લટકવાનો સમય આવશે તો લટકી જઈશું. પણ એ તમારા હુકમથી આવવાનો નથી. એ માટે તો હાઈકોર્ટના જજનું જજમેન્ટ જોઈશે. આ સાંભળી ફોજદારે પોતાનું રોદ્ર સ્વરુપ ધારણ કર્યું. ગાળો ભાંડી. ચમત્કાર બતાવવાનું શરુ કરી દીધું. “સાલ્લાઓ! મને કાયદો બતાવો છો! (બીભત્સ ગાળ)” પછી મારતા મારતા બીજી કોટડીમાં લઈ ગયા. ત્યાં એક પોલીસ અને એક હવાલદાર તહેનાતમાં હાજર જ હતા. તેમને ફોજદારે સુચના આપી કે આને બરાબર ગરમ કરજો. અને ભાઈ….. પછી હવાલદાર કંઈ બાકી રાખે કે? ફોજદારને કોટડીમાંથી બહાર નીકળી જવું પડ્યું! સોની નામના એક પોલીસ ક્લાર્કથી આ સહન ન થયું. એટલે તેણે હવાલદારનો હાથ પકડી લીધો. “હાંઉ કરો હવે….” રાત્રે ૧૧-૩૦ વાગે મને હાથકડી પહેરાવવામાં આવી.
આ બાજુ મણીભાઈ અને પરભુભાઈ (પી.સી.) કોટડીના દરવાજાના સળીયા પકડી મારી રાહ જોઈ રહ્યા હતા. દરવાજામાં દાખલ થતાં જ વડીલ બંધુ સમા મણીભાઈએ મને બાથમાં લઈ લીધો. આખા શરીરે વાત્લ્યભર્યો હાથ ફેરવ્યો. જાણે માનો મમતાળું હાથ! મારથી મારું મોં લાલઘુમ થઈ ગયું હતું.
સોડીયાવડ આગળ અણધાર્યો જંગ ખેલાયો ત્યારે હું અબ્દુલ ગની નામના પોલીસના કબજામાંથી ભાગી છુટ્યો હતો. એને કારણે એની બઢતી અટકાવી દેવામાં આવી હતી. અને સુરત ખાતે એની બદલી કરી દેવામાં આવી હતી. અબ્દુલ ગની એ ભાગી ગયેલ શીકાર પર વેર લેવા બહાવરો બન્યો હતો. એટલે એ સુરતથી જલાલપોર થાણામાં આવ્યો. તે વખતે હું બડી મુછવાલા એક ભૈયાજીની દેખરેખ હેઠળ હતો. મેં એ બડી મુછવાલા ભૈયાજીને કહ્યું કે આ અબ્દુલ ગની મને મારવા માટે આવ્યો છે. જો એ મને મારશે તો જવાબદારી તમારી ગણાશે. એટલે એ બડી મુછવાલા ભૈયાજીએ મને મારવા ન દીધો. પરીણામે હું બચી ગયો.
સ્વરાજવાદીઓ માટે જેલ એ કોઈ આશ્ચર્યજનક ઘટના નહોતી. દરેક રાષ્ટ્રવાદીને ખબર હતી જ, ગમે ત્યારે જેલયાત્રા માટે તૈયાર રહેવાનું છે. દડી (ખાંડણીયું)માં માથું મુક્યા પછી ઘા ગણવાનો શો અર્થ? રાષ્ટ્રવાદીઓ તો રાષ્ટ્રને માટે ગમે તે કુરબાન કરવા તૈયાર હતા.
યારો ફનાના પંથ પર આગે કદમ! આગે કદમ!
અમારું જેલજીવન
જેલમાં અમે પાટી વણવાનું કામ કરતા. નીયમ પ્રમાણે દરરોજ ૭૫ ફુટ પાટી વણવાની. અમે વહેલી સવારે પાટી વણવાનું શરુ કરતા. ૧૧-૧૨ વાગ્યા સુધીમાં પુરી કરી દેતા. પીળી પાઘડીવાળો લાંબી સજાનો એક કેદી પાટી માપતો. જેકભાઈએ તેની સાથે દોસ્તી બાંધી દીધી હતી. પાંચ-દસ ફુટ ઓછી હોય તો પણ એ ચલાવી લેતો. મીત્રધર્મ બજાવતો.
જેલ તો એક આકરું, કપરું સ્થળ. આખો દીવસ કેદખાનામાં પુરાઈ રહેવાનું. ભલભલાના હાંજા ગગડી જાય, સ્ક્રુ ઢીલાં થઈ જાય.
એક વાર કેદીઓની સંખ્યા એટલી બધી વધી ગઈ કે જેલવાળા મુંઝાઈ ગયા. વ્યવસ્થા કેમ કરવી? આપણા માવળંકર દાદાએ (સ્વતંત્રતા પછી દેશના પ્રથમ સન્માનનીય સ્પીકર) આપણા કેદીઓ માટેનું રસોડું ચલાવવાની જવાબદારી સ્વીકારી. પાટીદાર આશ્રમવાળા નરોત્તમભાઈ, પરસોત્તમ તલાટી, અને કતારગામવાળા ભીખુભાઈને જવાબદારી સોંપી. બીજા બધા એમની મદદમાં રહ્યા. ખુબ સારી રીતે રસોડું ચલાવ્યું. સત્તાધીશોનો માથાનો બોજો ઓછો થયો. માવળંકરદાદાએ ઓફીસનું કામ કરવા માટે પણ માણસો આપ્યા.
છેવટની જેલ અમે ૧૯૪૪માં ભોગવેલી. ત્યારે કોંગ્રેસી કેદીઓ છુટી ગયા હતા. તંત્ર ફરી સરકારી અધીકારીઓના હાથમાં હતું. એ લોકો જ રસોડાની વ્યવસ્થા કરતા. ખોરાકમાં સવારે ભડકી, બપોરે બાજરીના બે રોટલા અને મગની આછી દાળ. સાંજે ભાજી ને બે રોટલા. એમ મળતું. ભાજી એટલી ઘરડી કે ચાવતાં થાકી જવાય. એક દીવસે સાંજે મણીભાઈના શાકમાંથી મરેલો જીવડો નીકળ્યો. મણીભાઈ તો જમતાં જમતાં ઉઠી ગયા. જેકભાઈ અને પી.સી.એ પુછ્યુંઃ “શું થયું?” મેં કહ્યું કે “મણીભાઈની ભાજીમાંથી મરેલો જીવડો નીકળ્યો.” એટલે અમે બધા જ ઉઠી ગયા. તે દીવસથી સાંજે ફક્ત લુખ્ખા રોટલા મસોટી ખાતા. મેળ પડે તો સહેજ ગોળનું પાણી રેડીને ખાતા. કોઈ રવીવારે કંઈ સારું બનાવીને ખાવાનો પ્રયત્ન કરતા. મનુભાઈ પાઠક, બે પઠાણી કેદી હતા તેમની સાથે મળીને બધી ગોઠવણ કરતા. જેકભાઈ લીમડા પર ચડીને સુકાં લાકડાં લાવતા.
અમને જેલમાંથી છોડાવવા માટે બહાર રહેલા મીત્રોમાંથી નરસીંહભાઈ મંગા અને રવજીભાઈ છીબા જાત જાતની તરકીબો કરી ચીટ્ઠીઓ મોકલતા. મણીભાઈ એક શાકભાજીવાળા મારફતે એનો જવાબ મોકલતા. એ રીતે જેલના દીવસો પસાર કરતા.
યુરોપીયન અધીકારીની મુલાકાત
લડતનું એક હથીયાર તે પરદેશી કાપડનો બહીષ્કાર. તેના અનુસંધાનમાં બધા ભાઈઓ જેલમાં નીયમીત કાંતતા. બ્રીટીશ સરકારને આ વાત કણાની જેમ ખુંચતી હતી.
આ જેલયાત્રા દરમીયાન એક વાર સુરતની સબજેલમાં એક અંગ્રેજ અધીકારી મુલાકાતે આવ્યા હતા. સૌને રેંટીયો કાંતતા જોઈને પાસે આવી પ્રશ્ન કર્યો.
અંગ્રેજ અધીકારી ઃ કોઈ ફરીયાદ?
કેસરી ઃ ના, કોઈ ફરીયાદ નથી.
અંગ્રેજ અધીકારી ઃ છોકરાઓ, તમે અહીં આનંદમાં હોવા
જોઈએ.
કેસરી ઃ તમે શી રીતે જાણ્યું?
અંગ્રેજ અધીકારી ઃ તમે ફરીયાદ કરતા નથી એટલે તમે
આનંદમાં જ હોવા જોઈએ.
કેસરી ઃ અમે ફરીયાદ એટલા માટે નથી કરતા કે
તમે કંઈ કરી શકતા નથી.
અંગ્રેજ અધીકારી ઃ તમે કહેવા શું માગો છો? હું શા માટે કંઈ
ન કરી શકું? મારી પાસે સત્તા છે. મારી પાસે શક્તી છે. મને તમારી ફરીયાદ કહો.
કેસરી ઃ અમારી પાસે સેંકડો ફરીયાદો છે.
(તેણે પોતાના સેક્રેટરીને નોંધ લેવા કહ્યું.)
કેસરી ઃ અમને અહીં દરરોજ કાંદા ખવડાવવામાં
આવે છે.
અંગ્રેજ અધીકારી ઃ તમારે માટે એ સરસ છે. હું પોતે પણ કાંદા
ખાઉં છું.
કેસરી ઃ ખાતા હશો. પણ જેટલા અમે ખાઈએ છીએ એટલા
ચોક્કસ નહીં ખાતા હો.
તેમણે જેલરને પુછ્યુંઃ આ સાચું છે?
જેલર ઃ હા જી.
(તેમણે સેક્રેટરીને કાંદાનું પ્રમાણ ઓછું કરવા
કહ્યું.)
કેસરી ઃ અમારાં સગાંસંબંધીઓ સાથેની અમારી મુલાકાતની
વ્યવસ્થા બરાબર થતી નથી. તેઓ ચાલતાં ચાલતાં,
બસમાં કે ટ્રેનમાં દુર દુરથી આવે છે. એમને થોડી જ
મીનીટો આપવામાં આવે છે.
તેમણે જેલરને પુછ્યુંઃ મુલાકતીઓ માટે ધારાધોરણ શું છે?
જેલર ઃ કેદીઓને મુલાકાત માટે દશ મીનીટ ઠરાવેલ છે.
કેસરી ઃ અમને દશ મીનીટ આપવામાં આવતી નથી.
(તેમણે સેક્રેટરીને આની નોંધ લેવા કહ્યું, અને કહ્યું કે હવે પછી તેમને દશ મીનીટ આપવામાં આવે.)
જેલઅધીકારી ઃ બીજી કોઈ ફરીયાદ?
કેસરી ઃ અમને વર્તમાન પત્રો મળતાં નથી.
(કાયદો શું છે તે અધીકારશ્રીએ જેલરને પુછ્યું.)
જેલર ઃ જવાબદાર કેદીઓ પોતાના ખર્ચે સરકાર માન્ય
વર્તમાન પત્રો લઈ શકે છે.
મારી આ ફરીયાદ પછી કેદીઓને મુલાકાત માટે દશ મીનીટ આપવામાં આવતી. કેદીઓ બહારથી છાપું મંગાવી શકતા. રાષ્ટ્રવાદી કેદીઓ માટે જેલના નીયમોનું પુસ્તક પણ મંગાવવામાં આવ્યું.
આ રીતે મારા પ્રયત્નને કારણે કેદીઓને કેટલીક સગવડો મળતી થઈ.
૮. જેલનો ઝંઝાવાત
રાષ્ટ્રવાદી કેદીઓને ૧૯૪૩ના ફેબ્રુઆરીની ૨૭મીથી મેની ૨૮મી સુધી નવસારી સબજેલમાં રાખવામાં આવ્યા હતા. આ ત્રણ માસના સમય દરમીયાન અમલસાડ વીસ્તારમાંથી ભાંગફોડની પ્રવૃત્તી કરનારા કેટલાક કોંગ્રેસી કેદીઓ પણ હતા. આ જ વખતે નવસારી શહેરમાંથી પણ કેટલાક રાષ્ટ્રીય કાર્યકરો જેલમાં હતા. આ જેલ વ્યવસ્થામાં રસોડા માટે કેદી દીઠ રકમ સરકાર તરફથી મળતી. તેમાંથી અનાજ અને શાકભાજી બહારથી મંગાવતા. ક્રીમીનલ કેદીઓ અને કોંગ્રેસી રાષ્ટ્રવાદી કેદીઓ બંનેનાં રસોડાં અલગ અલગ હતાં.
નવસારી જેલમાં મણીભાઈ, પી.સી. પટેલ, જેકભાઈ અને મને એમ અમને ચારેને સખત જાપ્તામાં રાખવામાં આવ્યા હતા. બ્રીટીશ પોલીસે ગાયકવાડી જેલ સત્તાવાળાઓને લેખીત સુચના આપી હતી. આ ચારે જણા ઘણા ભયંકર કેદીઓ છે. પોલીસના કબજામાંથી ભાગી છુટ્યા હતા. હથીયારો વાપરવામાં કુશળ છે. અખાડીયન છે. એ પણ જણાવ્યું હતું કે આ ચારેયને ચોવીસે કલાક બેડી નાખીને કોટડીમાં પુરી રાખવા. આ સુચનાનો અમલ શરુઆતમાં તો નો’તો કર્યો. પરંતુ ૧૯૪૩ના એપ્રીલમાં કેટલાક ધાડપાડુ કેદીઓ જેલમાંથી ભાગી છુટ્યા હતા. એટલે અગમચેતી વાપરી અમારા ચારેના પગમાં બેડી નાખી દીધી હતી. આની સામે અમે વીરોધ દર્શાવ્યો હતો. જેની કોઈ અસર ન જણાતાં અમે ચારે જણા ભુખ હડતાલ પર ઉતર્યા હતા. આ સમાચાર નવસારી શહેરમાં પહોંચતાં નવસારીના કોંગ્રેસી કાર્યકર કાશીભાઈ વકીલે જેલ સુપરીન્ટેન્ડેન્ટ મી. ગોરેખાંને મળીને બેડી કઢાવી નાખવાનો પ્રયત્ન કર્યો. પાંચમે દીવસે કાશીભાઈએ ફરીથી ખાતરી આપી કે આ કેદીઓ ભાગી જાય તેવા નથી. આ તો રાષ્ટ્રવાદી કેદીઓ છે. ત્યારે સાંજે ચારેયને બેડીમુક્ત કરવામાં આવ્યા હતા.
આ ભુખહડતાલ દરમીયાન એક મુસ્લીમ હવાલદાર, જેઓ ચાચાના હુલામણા નામે જાણીતા હતા, તેમણે જોયું કે આ મણીભાઈ, પી.સી. અને જેક તો શારીરીક બળે ટકી શકશે. પણ આ નાજુક શરીરવાળો કેસરી શી રીતે ટકી શકશે? એટલે એક દીવસ એ પોતાની ટોપીમાં સમોસા સંતાડી લાવેલો. પછી મને કોટડીની પાછળ તેડી ગયો. અને કરગરીને કહ્યું કે હું મરી જઈશ તો પણ કોઈને કહીશ નહીંં. તમે આ સમોસા ખાઈ લો. મેં બહુ જ લાગણીપુર્વક ચાચાના આગ્રહનો અસ્વીકાર કર્યો. ચાચાની આંખમાં ઝળઝળીયાં આવી ગયાં. કહે- “પેલા ત્રણ તો ટકી શકશે. તારાથી નહીં ટકાય.” ત્યારે મેં કહ્યું કે “ચાચા, મારે મારી જાતને છેતરવી નથી.” અમારા પર આચરવામાં આવેલ અત્યાચારની વીરુદ્ધમાં બે કાઠીયાવાડી અને એક ગણદેવીના ભાઈ પણ ભુખહડતાલ પર ઉતર્યા હતા.
ઉપવાસ દરમીયાન અમે ચારે જણ બે દીવસ તો હરફર કરી શક્યા, પણ ત્રીજે દીવસે પગ લથડીયાં ખાવા માંડ્યા. ચોથે દીવસે અમે ચારે પથારીવશ થઈ ગયા. આંખે અંધારાં આવવા માંડ્યાં. હું કમળાના રોગનો ભોગ થઈ પડ્યો. ડૉક્ટરે મને દુધ પીવાની સલાહ આપી. કોઈકે કહ્યું કે કેળનાં મુળીયાં છુંદીને પીવડાવો તો સારું.
કમળાના રોગમાં દુષીત પીત્તને કારણભુત માનવામાં આવે છે. આ રોગ પ્રત્યે જો બેદરકારી રાખવામાં આવે તો જીવલેણ પણ બની શકે. આ રોગમાં શેરડીના રસને પ્રતીકારક ગણવામાં આવે છે. એટલે મારા માટે શેરડી ખાસ મંગાવવામાં આવતી. થોડા દીવસ પછી જેકભાઈને નાકે લોહી પડવા માંડ્યું. પ્રતીકુળ ખોરાકને કારણે આવું બન્યું હોય એમ બને. એટલે ૨૮ મેને દીવસે અમને ચારેયને સુરતની સબજેલમાં લઈ જવામાં આવ્યા.
સુરતની સબજેલમાં રાષ્ટ્રવાદી કેદીઓ સીવાય બીજા કેદીઓ પણ હતા. તેમાં બે કોમ્યુનીસ્ટ કેદીઓ પણ હતા. તેમાં વસંતભાઈ કાયદાના સ્નાતક હતા. વડોદરાના મેજીસ્ટ્રેટના દીકરા હતા. એમની જોડે બીલકુલ અભણ એવો છન્નુખાં પણ હતો. છન્નુખાંને અક્ષરજ્ઞાન આપવા માટે વસંતભાઈ કાંઠાના ચારે કેદીઓ પાસેથી પુસ્તકો લઈ જતા. આ કાબેલ વસંતભાઈની મુલાકાત બીજીવાર સાબરમતી જેલમાં થઈ હતી.
હજીરાના રાષ્ટ્રીય આગેવાન બાબુભાઈ પણ સુરતની સબજેલમાં હતા. બાબુભાઈ જેલમાંથી વીદાયની પેરવીમાં વ્યસ્ત રહેતા. એમની જોડે દેલવાડાના નાથુભાઈ જીવાભાઈ પણ હતા. ઉંચા, કદાવર, વાંકડીયા વાળથી શોભતા. મળસ્કે પાંચ વાગે જેલની કોટડીઓ ખોલી નાખવામાં આવતી. ત્યારે બાબુભાઈ નાથુભાઈને બારી પાસે ઉભા રાખી એમની ઉંચાઈનો લાભ લઈ છાપરા પર ચઢી ગયા. ત્યાંથી ઝંપલાવ્યું. પગમાં વાગવાથી ઉઠી શક્યા નહીં. ત્યાં જ પડી રહ્યા. સ્વસ્થ થયા પછી ભાગી ગયેલા. સવારે આઠ વાગે ગણતરી કરી. ત્યારે ખબર પડી કે રાષ્ટ્રવાદી કેદી બાબુભાઈ નથી. કેવી રીતે ભાગી ગયા તેનો ભેદ કોઈ પામી શક્યા નહીં.
લડત દરમીયાન પુર્ણા નદીના ઉત્તર કાંઠાનાં ગામોમાંથી જે સહકાર મળ્યો હતો તે તો અદ્ભુત હતો. સેંકડોની સંખ્યામાં ઉતરી આવેલા રાષ્ટ્રવાદીઓને આશરો આપવો એ ખાવાના ખેલ ન હતા. નૈતીક ફરજ હતી એ સાચું. પણ જોખમ પણ એટલું જ હતું. રાષ્ટ્રદ્રોહના ગુના બદલ ફાંસી પણ થઈ શકે. તે બધું હોવા છતાં દેલવાડાના ઉદારદીલ, દેશપ્રેમી, ભાઈઓએ જે ખાનદાની બતાવી, જે સૌજન્ય બતાવ્યું, તેનો જોટો જડે તેમ નથી. એમને લાખ લાખ સલામ! સ્વાતંત્ર્ય સંગ્રામના ઈતીહાસમાં આપણા વીભાગમાં આવું ઔદાર્ય, આવું સમર્પણ, આવું ખમીર, ભાગ્યે જ જોવા મળે છે.
અમારી ધરપકડ
૧૯૪૩ના ફેબ્રુઆરીની ૧૯મી તારીખ રાષ્ટ્રવાદીઓ માટે અપશુકનીયાળ નીવડી. ડાહ્યાભાઈ બુધીયા અને હરીભાઈ સાંજનું ભોજન લઈને આવ્યા. તેને ન્યાય આપી વાસણો ધોતાં મારા હાથમાંથી માટીનું વાસણ છટક્યું. અને જેકના મોંમાંથી શબ્દો સરી પડ્યા – “કંઈક અમંગળ થવાની આગાહી છે!”
ગામગપાટા મારતાં દશે જણા મોડી રાત્રે સુતા. રાત્રે ત્રણેક વાગ્યે ભર ઉંઘમાંથી ઉઠાડી બધાને ઘેરી લીધા. સામે બંદુકો અને રીવોલ્વરથી સજ્જ પોલીસો હતા. આચાર્ય મણીભાઈને નેતરના દંડાથી ફટકાર્યા. પછી પુછ્યુંઃ “બંદુકો ક્યાં છે?” આચાર્ય મણીભાઈએ જવાબ આપ્યો, “અમને ખબર નથી.” સૌને દોરડાંથી બાંધી દેલવાડા ગામને પાદર ઉભેલ બસમાં બેસાડી દીધા. સવારે દશ વાગે તો માંડ માંડ ચાર-પાંચ રહી શકે એવી કોટડીમાં અમને દશને પુરી દીધા. વારાફરતી દરેકને હાથપગ ધોવા માટે જાહેર નળ પર લઈ ગયા. ત્યાં એક પોલીસ ચોકી કરતો હતો. જેકનો વારો આવ્યો. એને વીચાર આવ્યો કે પેલા મચ્છરને મસળીને ભાગી જાઉં? પણ તે જ ક્ષણે એમ થયું કે દયાળ કેસરી ભાગેલો ત્યારે બધાને કેટલા બધા હેરાન થવું પડેલું! એટલે વીચાર માંડી વાળ્યો. રાત્રે નવ વાગે ડી.એસ.પી. મુલાકાતે આવ્યા. તેમણે તાકી તાકીને પુછ્યું – “આમાં જેક કોણ?” કોઈકે નીર્દેશ કર્યો – પેલો વચ્ચે બેઠેલો છે તે. “એ તો નાના છોકરા જેવો છે.” જેકનું સ્વમાન ઘવાયું. બોલી ઉઠ્યો – “એ તો તમે બહાર કાઢો તો ખબર પડે!”
બીજે દીવસે સવારે નવસારી સબજેલમાં લઈ ગયા. અમને ચારેને એક કોટડીમાં પુરી દીધા. બાકીના છને બીજી કોટડીમાં. દરેક જણે પથ્થરના ઓટલા પર સુવાનું. જેલ ફરતે ૧૫ ફુટ ઉંચી દીવાલ. ચારે ખુણે પોલીસોની ચોવીસે કલાક ચોકી. ગાયકવાડી જેલ એટલે બ્રીટીશ પોલીસો જેવો ત્રાસ નહીં. રાત્રે હાજતે જવા માટે એક વાસણ આપતા. તે કોટડીમાં જ રહેતું. ખુબ દુર્ગંધ મારતું. એટલે ન છુટકે જ એનો ઉપયોગ કરતા. નવસારીની આસપાસથી પકડાયેલા બીજા પણ ૪૦ જેટલા રાષ્ટ્રવાદીઓ આ જેલમાં હતા.
આ બધા રાષ્ટ્રવાદી કેદીઓ એક જ રસોડે જમતા. રસોડા માટે જોઈતી સામગ્રી એક લારીવાળો લાવી આપતો. આચાર્ય મણીભાઈ બધાનું ધ્યાન રાખતા. મુલાકાતના દીવસે સગાંસંબંધીઓ વાનગીઓ લઈ આવતાં. ત્યારે આનંદોચ્છવ જેવું વાતાવરણ સર્જાતું.
જેલમાં જેકનું કૌશલ્ય
આચાર્ય મણીભાઈના ચેલાઓ કંઈ સખણા બેસે એવા ક્યાં હતા? તેઓ તો સળીયા કાપીને ભાગી જવાનો ઘાટ ઘડતા હતા. પરંતુ જેલના ચોરસ સળીયા કાપવું તે લોઢાના ચણા ચાવવા જેવું કામ હતું. એટલે એ વીચાર પડતો મુક્યો. પીરામીડનો વીચાર કર્યો. પણ તેમાં તો એક જ જણ ભાગી શકે. એટલે એ પ્લાન પણ પડતો મુક્યો. આચાર્ય મણીભાઈએ પોતાનો પ્રભાવ પેલા લારીવાળા પર અજમાવ્યો. જેલનું તાળું બતાવી કહ્યું કે આ તાળાની ડુપ્લીકેટ ચાવી બનાવી લાવ. ત્રણેક દીવસ પછી એ ચાવી બનાવી લાવ્યો. જેકભાઈએ બીડું ઝડપ્યું. મને આડો ઉભો રાખી તાળું ખોલવા લાગ્યો. તાળું ખોલી તો નાખ્યું, પણ તાળું બંધ નહોતું થતું. એટલે મુંઝાયા. ઘણી માથાકુટ કરી, પણ તાળું બંધ ન થયું. આ તો ઉપાધી થઈ! વોર્ડર જોઈ જાય તો આવી જ બને. તે કરતાંય વધુ ચીંતા એ હતી કે ભાગવાનો પ્લાન બહાર પડી જતો હતો. શીવાનંદ નામના વોર્ડર પર એમની નજર ગઈ. બપોરના સમયે બધા વીશ્રામ કરતા હતા ત્યારે શીવાનંદ લીમડાના છાંયડે બેસી આરામ કરતો હતો. ત્યારે જેકભાઈ ત્યાં પહોંચી ગયા.
જેક જેનું નામ! વાતવાતમાં શીવાનંદને ખુશ કરી દીધો. પછી હસતાં હસતાં કહે – “મારે પેલા ત્રણેનો ઘાટ ઘડવો હતો પણ……..”
“પણ શું?” શીવાનંદે પુછ્યું.
“મારે એ ત્રણેને લોક કરી દેવા છે.” જેકે કહ્યું.
“શા માટે?” શીવાનંદે પુછ્યું.
“એ ત્રણે ભારે ખેપાની છે.” જેકે કહ્યું.
“તું શું કરવા ધારે છે જેક?” શીવાનંદે પુછ્યું.
જેક ઃ તમે ચાવી આપો તો એ ત્રણેને લોક કરી દઉં.
શીવાનંદ ઃ લઈ જા, પણ પાછો જલદી આપી જજે.
જેક ઃ હમણાં જ પાછો આપી જાઉં.
જેકભાઈ તો ઝુખમો લઈને ઉપડ્યા. કોટડીનાં બારણાં વાસી દીધાં. નહીં બંધ થતું તાળું બંધ કરીને અડાગરો ઉપરથી મુકી દીધો. થોડી વાર આમતેમની વાતો કરી શીવાનંદ કોટડી પાસે આવ્યો. તાળું જોતાં બોલી ઉઠ્યો, “જેક, તાળું નીચે ને અડાગરો ઉપર?” જેક કહે, “અંદરવાળાને થોડી જ ખબર છે?” સાંજે મણીભાઈએ પુછ્યું, “જેક, તાળું કેવી રીતે બંધ કર્યું?” જેક કહેઃ “તમારે શી લેવાદેવા?” પછી બધી વાત કરી.
બીજે દીવસે લારીવાળાને બોલાવી વાત કરી. એયે કીમીયાગર નીકળ્યો. એ કહે, “આવતી કાલે હું મેંશની ડબ્બી આપી જઈશ. ચાવી પર મેંશ લગાવીને ચાવી ફેરવવાની. જ્યાં નીશાની પડે તે ભાગ પથ્થર પર ઘસવાનો. તો ચાવી બરાબર થઈ જશે.”
મણીભાઈ તો એનો કીમીયો જોઈને ખુશ ખુશ થઈ ગયા.
એક દીવસ કેદીઓની ચોકી કરનારા જમવા ગયા હતા. આ તકનો લાભ લઈને જેકભાઈએ પોતાનું કાયાકૌશલ્ય કસી જોયું. દોડતા છ ફુટ ઉંચા કુવાના થાળા પર થઈ પીપળાના થડ પર અને પીપળાના થડ પરથી પંદર ફુટ ઉંચી દીવાલ પર ચડી ગયા. હું નીચે ઉભો હતો. હું તો છક જ થઈ ગયો.
એક દીવસે જેકભાઈ એક ચકલી પકડી લાવ્યા. મણીભાઈ પાસે આવી કહેવા લાગ્યાઃ “જો તમે રજા આપો તો હું ઘડીના છઠ્ઠા ભાગમાં બધાને જેલમાંથી ભગાડી જાઉં.” મણીભાઈ કહેઃ “એ કઈ રીતે?”
જેકભાઈએ હળવેકથી ખીસામાંથી ચકલી કાઢી. એમના મોં પાસેથી ફુરરર કરતાં ઉડાડી. પછી કહ્યુંઃ “આ રીતે.” આચાર્ય મણીભાઈ તો પોતાના શીષ્યની કરામત જોઈને ખુશ ખુશ થઈ ગયા.
આ તરફ મણીભાઈએ રવજીભાઈ છીબાને કહેવડાવી દીધું. ફરી મુલાકાતે આવો ત્યારે ફળના કરંડીયામાં રીવોલ્વર લાવજો. જેલમાં ક્રીમીનલ કેદીઓનો વૉર્ડર રાજેખાં બધાને ખુબ ત્રાસ આપતો હતો. એટલે રાષ્ટ્રવાદીઓએ એવું નક્કી કર્યું કે રાજેખાં ડ્યુટી પર હોય ત્યારે જ ભાગી જવું. જેથી રાજેખાંની તમરી ઉતરી જાય. રાજેખાંને વીશ્વાસમાં લેવાનું કામ મણીભાઈએ જેકભાઈને સોંપ્યું. જેકભાઈ રાજેખાંને મળ્યા. અને કહ્યુંઃ “અમારા ઘરનાં અને સગાંસંબંધીઓ મળવા આવવાનાં છે. તમારે કંઈ જોઈતું હોય તો મંગાવી શકાય.” એણે કહી દીધુંઃ “જેક, સુકા બુમલાનાં બે બંડલ લાવવા કહેજો.”
જેકભાઈએ કહ્યુંઃ “ભલે, જરુર મંગાવી દઈશ.”
રાજેખાંને ક્યાંથી ખબર હોય કે સુકા બુમલાના બદલામાં આ જીવતા બુમલા તેની જાળમાંથી છટકી જવાની પેરવી કરી રહ્યા છે!
છ કેદી ભાગ્યા
જેલવાસ દરમીયાન સંદેશા મોકલવાનું કામ ઘણું કઠણ હતું. છતાં નહાવાના સાબુની ગોટીની નીચે છુપાવીને એકબીજાને સંદેશા પહોંચાડતા.
એક દીવસે બીજી બીજી કોટડીઓમાં રહેતા કેદીઓ નાસી છુટવાની યુક્તી રચી મણીભાઈને મળવા આવ્યા. મણીભાઈએ કહ્યું કે એમાં પુછવાનું શું હોય? પણ ભાગ્યા પછી એવી રીતે સ્વરાજ્યની પ્રવૃત્તી કરજો કે ફરી પકડાવ નહીં. બીજી રાતે બેએક વાગે એ છએ છ કેદીઓ ભાગી છુટ્યા. પોલીસો અને સત્તાવાળાઓએ દોડધામ કરી મુકી. મળસ્કે પાંચેક વાગે મેં સમાચાર આપ્યાઃ “જેક, પેલા છ કેદીઓ ભાગી ગયા જો.”
“ભાગી જ જાય ને. હીંમત જોઈએ. હીંમતે મર્દા તો મદદે ખુદા.”
સવાર થતાં આખી જેલમાં આ સમાચાર ફરી વળ્યા. જેલસત્તાવાળાઓ ધુઆંપુઆં થવા લાગ્યા.
ભાગનાર ભાગી ગયા અને સત્તાવાળાઓની ઉંઘ હરામ કરી નાખી. ચાર દીવસ પછી અમને ચારેચારને લોખંડની બેડીઓ પહેરાવી દીધી.
જેકભાઈ કહેઃ “આ તો સરકારી જણસ છે. તે વીના આપણે ન શોભીએ.”
મણીભાઈનો ત્યાગ
કાંઠાવીભાગમાંથી પકડાયેલા કેદીઓને મોટે ભાગે જલાલપોર કે નવસારીની જેલમાં રાખવામાં આવતા. કેટલાકને સુરત સબજેલમાં રાખવામાં આવતા. સુરતમાં જોગવાઈ ન હોય તો કેટલાકને નડીયાદની જેલમાં મોકલવામાં આવતા. ૧૯૪૩ના ઑગષ્ટ માસમાં પ્રાથમીક કેસની સુનાવણી હતી ત્યારે સૌ કેદીઓને નડીયાદથી સુરત લાવવામાં આવ્યા હતા. કાંઠાના કેદીઓનો કેસ મી. જોસેફ નામના ડેપ્યુટી કલેક્ટરના અધ્યક્ષપણા હેઠળ ચાલ્યો હતો. આ કેસની સુનાવણી દરમીયાન ઉંકાભાઈ પાંચાભાઈ મણીભાઈ માટે એક ખાસ ચીટ્ઠી લાવેલા તે મણીભાઈએ ખીસામાં મુકી દીધી હતી. સાંજના ભોજન પછી બગીચામાં ફરતાં ફરતાં કેટલીક વાતો થઈ. ત્યારે મણીભાઈએ મને પુછ્યું કે, “આપણે જે ભાઈઓ જેલમાં છીએ તેમની આર્થીક સ્થીતી કેવી છે?”
“કેમ?” મેં પુછ્યું.
ત્યારે મણીભાઈએ પેલી ચીટ્ઠી મારા હાથમાં મુકી.
કાંઠા ખાતે મણીભાઈ તો ઘેઘુર વડલા સમાન હતા. સર્વમીત્ર હતા. મટવાડ ખાતે ખેલાયેલા જંગમાં એક પોલીસ માર્યો ગયો હતો. તે કેસની સુનાવણી થવાની હતી. તેના અનુસંધાનમાં જે ભાઈઓ જેલમાં હતા તેમની પાસેથી પૈસાની માગણી કરવામાં આવી હતી. આ કેસ લડવા માટે ભરુચના વકીલ મણીલાલ કરુણારામને કહેવામાં આવ્યું હતું. આ ખર્ચની જવાબદારી જાણે મણીભાઈની એકલાની હોય તેમ એમણે એમના મીત્ર મગનભાઈ અંબાઈદાસને જણાવ્યું હતું કે અલીન્દ્રામાં મારે ભાગે જે જમીન આવે છે તે જમીન નડીયાદના વાણીયાને લખી આપી પૈસા ઉપાડવા. તે પૈસા ઉંકાભાઈને આપવા. અને તેમાંથી વકીલોના ખર્ચ માટે વાપરવા. આ હકીકત બીજાઓએ જાણી ત્યારે બહાર કામ કરતા મીત્રો હીસ્સો આપવા તૈયાર થયા હતા. પરંતુ મણીભાઈની ચીટ્ઠી વાંચવામાં આવી તે પછી પૈસા બાબુભાઈ શાહ અને છોટુભાઈ શાહને આપવામાં આવ્યા હતા. વળી મણીભાઈએ ખાસ આગ્રહ રાખ્યો હતો કે જેલની અંદર જે મીત્રો છે તેમાંથી કોઈની પાસેથી પૈસા ન લેવા. આ રીતે મણીભાઈ સ્વરાજ્યની લડતમાં પોતાની સ્થાવર મીલકતનો ત્યાગ કરતાં પણ અચકાયા ન હતા.
ન્યુઝીલેન્ડમાં વસતા કાંઠાના મીત્રોએ દેશમાં ચાલતા સ્વાતંત્ર્ય સંગ્રામમાં જે કંઈ બની શકે તે કરવાની તત્પરતા દર્શાવી હતી. ન્યુઝીલેન્ડમાં મોટો ફાળો કર્યો હતો. તે ફાળાની રકમ સુલતાનપુરના છીબુભાઈ કેશવભાઈ પર મોકલવામાં આવી હતી. તેમાંથી વકીલ હીતેદ્રભાઈ દેસાઈ, નાગરજીભાઈ, મણીલાલ કરુણારામ, મી. જોષી, નસરવાન કાવસજી અને લલીતમોહન ગાંધીને તેમની ફી ચુકવવામાં આવી હતી.
૯. મટવાડના કેસની સુનાવણી
બંધન અને મુક્તીનો સંઘર્ષ અનાદીકાળથી ચાલ્યો આવે છે. મુક્તી એ માનવીનું પ્રથમ ધ્યેય છે. તેને પહોંચી વળવા તે સતત પ્રયત્ન કર્યા જ કરે છે. બંધન ગમે તેવું હોય, ગમે તેટલું શક્તીશાળી હોય, બંધન તે બંધન જ છે. માનવ તેને તોડવા માટે જીવનભર પ્રયત્ન કર્યા જ કરે છે. એમાં સફળતા મળે કે ન મળે.
બ્રીટીશ સામ્રાજ્ય ગમે તેટલું મહાન, બળવાન અને શક્તીશાળી હતું, તો પણ હીંદીઓ દાયકાઓથી એને હીંદુસ્તાનમાંથી હાંકી કાઢવા માટે અને સ્વરાજ્યની સ્થાપના કરવા માટે કૃતસંકલ્પ હતા.
૧૯૪૨ની ૨૨મી ઑગષ્ટે મટવાડમાં જે અભુતપુર્વ સરઘસ નીકળ્યું હતું તેનો જુસ્સો ગજબનો હતો. જાણે આજે જ સ્વરાજ મળી જવાનું છે, એવો મીજાજ સૌની આંખોમાં દેખાતો હતો. પોલીસોની સાથે ધીંગાણું થશે એવી તો કોઈને કલ્પના ન હતી. આવડા મોટા સરઘસની પાસે એક પણ હથીયાર ન હતું. નાનકડો દંડુકો પણ નહીં. પણ વાતાવરણમાં આવેશ હતો. ઉશ્કેરાટ હતો. અને ઉશ્કેરાટ અગ્નીનું કામ પણ કરી શકે. સરઘસમાંનું કોઈક જોર જોરથી બોલ્યુંઃ “ભારત માતાકી જય.” કોણ જાણે કેમ ઉશ્કેરાટ વધી ગયો. ઉશ્કેરાટે ઝનુનનું સ્વરુપ લીધું. પોલીસોને જોઈને ટોળું બેકાબુ બની ગયું. ટોળાને કાબુમાં લેવા પોલીસોએ પહેલાં લાઠીમાર અને પછી ગોળીબાર કર્યો. ભાગંભાગ થઈ ગઈ. ગોળીબારથી ત્રણ જણા પછીથી શહીદ થઈ ગયા. ઝપાઝપીમાં એક પોલીસ પણ મરાયો. આના અનુસંધાનમાં પોલીસો તરફથી કેસ કરવામાં આવ્યો હતો. એ કેસની સુનાવણી હતી.
પોલીસો તરફથી કેસની જે વીગતો રજુ કરવામાં આવી હતી તે આ પ્રમાણે હતી. ઃ “૨૨મી ઑગષ્ટે બેથી ત્રણ હજાર માણસોનું સરઘસ સુત્રોચ્ચાર કરતું કરતું મોટરસ્ટેન્ડ આગળથી નીકળ્યું હતું. ત્યાં પોલીસે કેટલાંક માણસોને અટકમાં લેતાં પોલીસો પર હુમલો થયો હતો. પરીણામે એક પોલીસ મરણ પામ્યો હતો. બીજા કેટલાક ઘવાયા હતા. પોલીસે પણ ગોળીબાર કર્યો હતો. પરીણામે કેટલાક લોકો ઈજા પામ્યા હતા. આ ધમાલમાં પોલીસની ચાર બંદુકો ને બે બેયોનેટ ઘુમ થઈ ગઈ હતી.”
“રાષ્ટ્રવાદીઓના મતે સરઘસ શાંતીથી વીખેરાતું હતું. આગેવાનોએ પોલીસોને ધમાલ ન કરવા વીનંતી કરી હતી, જે અવગણી કાઢવામાં આવી હતી. પોલીસો નાળમાં ધસી આવ્યા હતા, અને અગેવાનોને ઝુડવાનું શરુ કરી દીધું હતું, જેથી લોકો ઉશ્કેરાયા હતા. પોલીસોની બંદુકો ઝુંટવાઈ ગઈ હતી. બેયોનટની હકીકત ખોટી આપવામાં આવી છે. ધમાલ થતાં એક પોલીસનું મૃત્યુ થયું હતું. ધસી આવેલ પોલીસમાંથી રામુ સદાશીવે છટકી જઈ ટોળા પર ગોળીબાર કર્યો હતો. ૨૮ ગોળી છોડવામાં આવી હતી. પરીણામે ત્રણ રાષ્ટ્રવાદીઓ મરણ પામ્યા હતા. દશેક જણ ગંભીર રીતે ઘવાયા હતા.”
આ પોલીસ ખુનકેસમાં સરકારી દફતરે કુલ ૬૨ આરોપીઓને સંડોવવામાં આવ્યા હતા. ૪૮ આરોપીઓ પર કેસ ચલાવવામાં આવ્યો હતો. તેમાંથી ૨૫ આરોપીઓને પુરતા પુરાવાના અભાવે છોડી મુકવામાં આવ્યા હતા. બાકીના ૨૩ આરોપીઓને સેસન્સ કમીટ કરવામાં આવ્યા હતા.
આરોપીઓમાંથી છુટી ગયેલા રાષ્ટ્રવાદીઓ
1. ઉંકાભાઈ રણછોડભાઈ પટેલ
2. ગોવીંદભાઈ નાનાભાઈ પટેલ
3. ઉંકાભાઈ ગોપાળભાઈ પટેલ
4. મંગળભાઈ નરોત્તમભાઈ પટેલ
5. બુધીયાભાઈ ઝીણાભાઈ પટેલ
6. કાનજીભાઈ પાંચીયાભાઈ પટેલ
7. મંગાભાઈ બાવાભાઈ પટેલ
8. હીરાભાઈ ઢેડાભાઈ પટેલ
9. હીરાભાઈ કાનજીભાઈ પટેલ
10. ગોવનભાઈ રવજીભાઈ પટેલ
11. ભાણાભાઈ નાનાભાઈ પટેલ
12. ઉંકાભાઈ પાંચાભાઈ પટેલ
13. રામજીભાઈ ધીરજભાઈ નાથુભાઈ પટેલ
14. ગોસાંઈભાઈ સુખાભાઈ પટેલ
15. લાલભાઈ છીબાભાઈ પટેલ
16. પ્રેમાભાઈ લાલભાઈ પટેલ
17. લલ્લુભાઈ જગાભાઈ પટેલ
18. ભવનભાઈ છીકાભાઈ પટેલ
19. પ્રેમાભાઈ છીકાભાઈ પટેલ
20. પરસોત્તમ હરીભાઈ પટેલ
21. નારણભાઈ ઉંકાભાઈ પટેલ
22. ભાણાભાઈ લાલાભાઈ પટેલ
23. કાનજીભાઈ છીબાભાઈ પટેલ
24. જેરામભાઈ રવજીભાઈ પટેલ
25. પરભુભાઈ જીવાભાઈ પટેલ
સેસન્સ કમીટ રાષ્ટ્રવાદીઓ
1. છીમાભાઈ દુભાભાઈ પટેલ
2. સોમાભાઈ પ્રેમાભાઈ પટેલ
3. રણછોડભાઈ ઝીણાભાઈ પટેલ
4. નાથીયાભાઈ છનીયાભાઈ પટેલ
5. છોટુભાઈ છીમાભાઈ પટેલ
6. દયાળભાઈ મોરારભાઈ પટેલ
7. ડાહ્યાભાઈ ગોપાળભાઈ પટેલ
8. નારણભાઈ રવજીભાઈ પટેલ
9. નરસીંભાઈ સોમાભાઈ પટેલ
10. મગનભાઈ છીબાભાઈ પટેલ
11. કેશાભાઈ સુખાભાઈ પટેલ
12. ભીખાભાઈ રવજીભાઈ પટેલ
13. મંગાભાઈ ગોવનભાઈ પટેલ
14. રણછોડભાઈ લાલાભાઈ પટેલ
15. મનુભાઈ ઉમેદરામ
16. જેરામભાઈ સુખાભાઈ પટેલ
17. રામાભાઈ ઉંકાભાઈ પટેલ
18. કાનજીભાઈ બુધીભાઈ પટેલ
19. ઢેડાભાઈ લાલીયાભાઈ પટેલ
20. દયાળભાઈ સોમાભાઈ પટેલ
21. જેરામભાઈ ફકીરભાઈ પટેલ
22. દયાળભાઈ કેશવભાઈ પટેલ
23. મણીભાઈ છનાભાઈ પટેલ
રાષ્ટ્રવાદીઓ પર એવો આરોપ મુકવામાં આવ્યો હતો કે આ લોકો ગેરકાયદેસર મંડળીઓ રચે છે. સરઘસના રુપમાં સરકારી ચોરા પર હુમલો કરે છે. પોલીસ પર હુમલો કરી ઈજા પહોંચાડી હતી. એક પોલીસનું ખુન કરવામાં આવ્યું હતું. સાથે એ પણ જણાવવામાં આવ્યું હતું કે આ કોમ (કોળી પટેલ)ના બીજા ૧૪ જેટલા રાષ્ટ્રવાદીઓ નાસતા ફરે છે. આ પ્રમાણેનું તહોમત પોલીસ તરફથી મુકવામાં આવ્યું હતું.
જ્યારે કેસના સંદર્ભમાં હકીકત એનાથી જુદી હતી. હકીકત એ હતી કે શાંતીથી વીખેરાઈ જતા સરઘસ પર પોલીસો અકારણ ધસી આવ્યા હતા અને લાઠીમાર કર્યો હતો.
આ કેસમાં કુલ ૩૫ સાક્ષીઓ હતા.
સરકાર પક્ષે ધારાશાસ્ત્રી તરીકે શ્રી લક્ષ્મીશંકર દવે હતા. પાછળથી શ્રી ગુલામરસુલ એ. શેખને રોકવામાં આવ્યા હતા.
રાષ્ટ્રવાદીઓના બચાવપક્ષે ૧થી ૧૬ માટે રાવબહાદુર મણીભાઈ કરુણારામ તથા ૧૭થી ૩૨ માટે રમણીકલાલ જોષી અને ગુપ્તાનંદ પંડ્યા હતા. ૩૩થી ૪૮ માટે નસરવાનજી કાવસજી વકીલ હતા.
કેસની સુનાવણી કરવામાં આવી ત્યારે પોલીસો અને વેઠીયાઓ સાચા સાક્ષી નથી એમ કલેક્ટરે વારંવાર નોંધ લીધી હતી. આ આરોપીઓમાં છોટુભાઈ છીમાભાઈ જ્યારે પકડાયા ત્યારે તેમની ઉંમર ૧૬ વર્ષની નીચે હતી, એટલે એમના વકીલે વારંવાર અપીલ કરી હતી, વીરોધ કર્યો હતો. અંતે મુંબઈ હાઈકોર્ટના નીયમ પ્રમાણે જો છોટુભાઈ ગુનેગાર ઠરે તો સજા ભોગવવી પડે. એ રીતે છોટુભાઈને સજા કરી હતી. છોટુભાઈએ પોલીસથાણે હાજરી આપી સજા ભોગવી હતી.
તેર આરોપીઓને સજા કરવામાં આવી હતી, જેમાં ચાર કેદીઓ તો ઘણી મોટી ઉંમરના હતા. બધાને ચાર કે છ માસની સજા કરવામાં આવી હતી. સજા પામેલા આરોપીઓને સાબરમતી જેલમાં બડા ચક્કર નં. ૪માં રાખવામાં આવ્યા હતા. છેવટે આ બધા કેદીઓ જુન-જુલાઈ માસમાં છુટી ગયા હતા.
૧૦. સોડીયાવડનો જંગ
૨૫મી ડીસેમ્બર ૧૯૪૨ની રાત હતી. મારી સાથે અન્ય પ્રખર રાષ્ટ્રવાદી રામાભાઈ ઉંકા, જેરામભાઈ સુખા અને તાડ પર ત્રીરંગો ફરકાવનાર નારણભાઈ ઉંકા, અમે ચારે જણાએ નારણભાઈના ઘરમાં આશરો લીધો હતો. શું પ્રવૃત્તીઓ કરવી અને પોલીસના પંજામાંથી કેમ છટકવું તેની ચર્ચા વીચારણા કરી અમે ચારે ગાઢ નીદ્રામાં પોઢી ગયા હતા. કોઈ દુષ્ટ દેશદ્રોહીઓએ પોલીસોને બાતમી આપી દીધી હશે. એટલે ત્રણેક વાગે, વહેલી સવારે ઘરને ઘેરી લીધું. ચારેય જણ જાગી ગયા. બાકોરામાંથી નજર કરી. પોલીસો નજરે પડ્યા. લોહી ઉકળી ઉઠ્યું. પોલીસોનું કાટલું કાઢી નાખીએ એમ થઈ ગયું. પણ બીજી જ ક્ષણે એમ થયું કે તો તો ઉલમાંથી ચુલમાં પડવા જેવું થશે. એટલે ચારે જણ શરણે થઈ ગયા. ચારેને બંદીવાન બનાવી મટવાડ પોલીસચોકીએ લઈ ગયા. પરોઢ થતાં વાત આસપાસનાં ગામોમાં ફેલાઈ ગઈ.
પોલીસોના ચહેરા પર ગઢ જીત્યાનો હરખ હતો. વર્તમાન પત્રોમાં ચારેની ધરપકડના સમાચાર આપવા ઉતાવળા થઈ રહ્યા હતા.
આસપાસના ગામોમાં રહેતા ક્રાંતીકારી યુવાનોને સંદેશવાહકો મારફતે જાણ કરવામાં આવી. કરાડીના ક્રાંતીકારી રવજીભાઈ છીબાને જાણ થતાં તેમનો પારો આસમાને પહોંચી ગયો. કંઈક કરવું જોઈએ એમ થયું. અને રવજીભાઈ જે નક્કી કરે તે પાર પડે જ. એવી એમની ધૃતી. એમણે રણછોડભાઈને વાત કરી. પકડાયેલા રાષ્ટ્રવાદીઓને પોલીસના પંજામાંથી છોડાવવા જ એવી ગાંઠ વાળી. સોડીયાવડ પાસે પોલીસો પર હુમલો કરી જાનના જોખમે પણ બધાને છોડાવવાના છે એવું એલાન થઈ ગયું. આસપાસના ગામોમાં રહેતા ક્રાંતીકારીઓને સોડીયાવડની પરબ પાસે આવી પહોંચવાનું કહેણ મોકલાઈ ગયું. પકડાયેલ ચારે જણને બળદગાડામાં બેસાડીને લઈ જવાના છે એવી બાતમી મેળવી લીધી.
સવાર થતાં રાષ્ટ્રવાદીઓની ખબર કાઢવા સગાંસ્નેહીઓ આવી પહોંચ્યાં. સૌ ચીંતીત હતાં. શું થશે? ભાવી અંધકારમય હતું. કેમ કે મટવાડ ખાતે ખેલાયેલ જંગમાં એક પોલીસ માર્યો ગયો હતો. ચાર બંદુકો લોકોએ ઝુંટવી લીધી હતી. મામલો ગંભીર હતો. સાબીત થાય તો કાં ફાંસીની સજા થાય, કાં ૨૦ વરસની કેદ માથે લટકતી હતી.
મોટા ક્રાંતીકારીઓ સોડીયાવડ આગળ પહોંચી ગયા હતા. ધોળે દીવસે ધાડ પાડવાની હતી- બંદુકધારી પોલીસો પર, ને સાથીદારોને છોડાવવાના હતા. પરબની પાછળ બધા સંતાઈ ગયા. કેટલાકે ઓળખાઈ નહીં એ માટે બુકાની બાંધી હતી.
હુમલાની આગેવાની રવજીભાઈ છીબાએ લીધી હતી. તેઓ સૌની મોખરે હતા. તેની પાછળ રણછોડભાઈ રવજીભાઈ, ત્રીજા નંબરે નરસીંહભાઈ મંગા હતા. બાકીના સૌ પાછળ હતા. ક્યારે ગાડાં આવે ને ક્યારે હુમલો કરીએ? ક્યારે સાથીદારોને છોડવીએ? મગજમાં કંઈ કંઈ થતું હતું.
એવામાં કેદીઓને લઈને ગાડાં આવી ગયાં. એક ગાડામાં કેદીઓ અને પોલીસો હતા, બીજા ગાડામાં કેદીઓનાં કુટુંબીજનો હતાં. પાણી પીવા માટે ગાડાં ત્યાં થોભ્યાં. એ તકનો લાભ લઈને ક્રાંતીકારીઓએ એમની ઉપર હુમલો કર્યો. નરસીંહભાઈ મંગાએ આવેશમાં હવામાં ગોળીબાર કર્યો. પરીસ્થીતી વણસી ગઈ. કેટલાક એમ સમજ્યા કે પોલીસે ગોળીબાર કર્યો. એટલે તેઓ પાછા હટી ગયા. ગોળીબારના અવાજથી પોલીસો બેબાકળા બની ગયા. એટલામાં ક્રાાંતીકારી ભાઈઓએ કેદીઓને છોડાવવા હુમલો કર્યો. પોલીસો કુદી પડ્યા. ઝપાઝપી થઈ. એમાં રવજીભાઈ છીબાભાઈ, રણછોડભાઈ રવજીભાઈ, છગનભાઈ રણછોડભાઈ અને ગોસાંઈભાઈ છીબા મુખ્ય હતા.
ઝપાઝપી દરમીયાન એક કદાવર બંદુકધારી પોલીસ છટકી ગયો. તે પોતાનું કૌશલ્ય અજમાવે તે પહેલાં ગોસાંઈભાઈ છીબાએ એની બંદુક પર બે હાથ ભીડાવી દીધા. કદાવર પોલીસે પોતાની બંદુક છોડાવવા સઘળી તાકાત અજમાવી. પણ ગોસાંઈભાઈએ બંદુક છોડી નહીં. કદાવર પોલીસ જ્યારે બંદુક છોડાવી શક્યો નહીં, ત્યારે પોતાની વધુ ઉંચાઈનો લાભ લઈને ગોસાંઈભાઈના માથામાં ઝીંકવા માંડ્યો. ગોસાંઈભાઈના માથમાંથી લોહી નીકળવા માંડ્યું. એક કારમી ચીસ સંભળાઈ. ત્યાં તો રવજીભાઈ છીબા, નરસીંહભાઈ મંગા અને ઉંકાભાઈ દોડી આવી પઠાણી પોલીસને ઝબ્બે કરી લીધો. એની પાસેથી બંદુક ખુંચવી લીધી. જો ગોસાંઈભાઈએ અગમચેતી ન વાપરી હોત તો બેચારનાં રામ રમી જાત.
નરસીંહભાઈ મંગાએ આવેશમાં આવી હવામાં ગોળીબાર કર્યો ત્યારે હું અબ્દુલ ગની નામના પોલીસને ગુલાંટ મરાવીને ભાગી છુટ્યો. માની મુલાકાત લઈને સીધો પુર્ણા નદીને કાંઠે આવ્યો. સામે કાંઠેથી ગાયકવાડી રાજ્યની મુક્ત હવા મને આવકાર આપી રહી હતી. પુર્ણા નદી તરીને હું દેલવાડાનો મહેમાન બની ગયો.
બંદુક ઝુંટવાઈ ગઈ એટલે પોલીસોનો પારો ઉતરી ગયો. અબ્દુલ ગનીની સુરત ખાતે બદલી કરી દેવામાં આવી.
તે જમાનામાં આ જંગ ‘સોડીયાવડ કેસ’ તરીકે પ્રસીદ્ધી પામ્યો હતો. આ જંગથી પોલીસોને કાંઠાના બ્લડગૃપનો ખ્યાલ આવી ગયો. કાંઠાના લોકોએ પોતાના પાણીનો પરચો બતાવી દીધો. દેશના સ્વાતંત્ર્ય સંગ્રામના ઈતીહાસમાં કાંઠાનું આ ખમીર ભુલી શકાય તેવું નથી.
મારા સીવાય બાકીના ત્રણ કેદીઓ રામભાઈ ઉંકાભાઈ, જેરામભાઈ સુખા અને નારણભાઈ ઉંકાએ ભાગી જવાનું સાહસ નહોતું કર્યું. કર્યું હોત તો રંગ રહી જાત.
ત્રણેને જલાલપોરના થાણામાં લઈ ગયા હતા. હુમલાખોરોની ઓળખાણ પુછવામાં આવી હતી. એમણે બાતમી નહોતી આપી. એટલે સખત માર મારવામાં આવ્યો હતો.
મટવાડના ગાંડાભાઈ છીબા પોલીસને ભટકાઈ ગયા હતા. તેમને શક પરથી મુઢમાર મારવામાં આવ્યો હતો. ન્યુઝીલેન્ડવાસી સૌ ભાઈ ન્યુઝીલેન્ડની ઠંડી હવામાં જીવ્યા ત્યાં સુધી બેંતાલીસની લડતને યાદ કર્યા કરતા હતા.
આશ્ચર્યની વાત તો એ બની કે સોડીયાવડ કેસમાં જેઓ લેશમાત્ર સંડોવાયા ન હતા તેવા જેકભાઈ, પી.સી., લલ્લુભાઈ મકનજી, નાથુભાઈ, એચ. બી. અને કાનજીભાઈ તો ત્યાં હતા જ નહીં, તો પણ તેમને સંડોવી દેવામાં આવ્યા હતા.
ભરુચના રાષ્ટ્રવાદી વકીલ મોતીલાલ વીણએ આ ભાઈઓને પોલીસના પંજામાંથી છોડાવ્યા હતા. તેમની સેવા હંમેશાં યાદ રહેશે. તેમણે ગોસાંઈભાઈ છીબાને બીરદાવતાં એવું કહ્યું હતું કે સ્વતંત્ર ભારતમાં બહાદુરી માટે બ્રીટીશ રાજ્યમાં જે વીક્ટોરીયા એવૉર્ડ આપવામાં આવે છે તેવો એવૉર્ડ જાહેર કરવામાં આવે તો તે ગોસાંઈભાઈ છીબાને આપવો જોઈએ. અમારી વકીલાત સુરતના લલીતમોહન ગાંધીએ કરી હતી. અમને નવ નવ માસની સજા થઈ હતી.
૧૧. “બાપુ”નાં કાર્યોની સંક્ષીપ્ત ઝાંખી
૧૮૬૯ ૨ ઑક્ટોબર, પોરબંદર શ્રી કરમચંદ ગાંધીને ત્યાં એમનો જન્મ.
૧૮૮૩ ૧૩ વર્ષની ઉંમરે કસ્તુરબાઈ સાથે તેમનાં લગ્ન.
૧૮૮૫ શ્રી કરમચંદ ગાંધીનું અવસાન.
૧૮૮૬ મેટ્રીકની પરીક્ષા પાસ કરી કૉલેજમાં દાખલ થયા.
૧૮૮૮ ૪ સપ્ટેમ્બર કાયદાના અભ્યાસ માટે ઈંગ્લેન્ડ ગયા.
૧૮૯૧ ૧૨ જુન ઈંગ્લેન્ડથી ભારત તરફ રવાના થયા.
૧૮૯૩ વેપારી પેઢીના કામે દક્ષીણ આફ્રીકા જવા રવાના થયા.
૧૮૯૩-૯૫ દક્ષીણ આફ્રીકામાં વકીલાતની શરુઆત કરી.
૧૮૯૬ જુન, ભારતમાં પાછા આવ્યા.
૧૮૯૯ બોઅર યુદ્ધમાં ઘાયલોની સેવા માટે સમીતીની સ્થાપના કરી.
૧૯૦૨ દેશયાત્રા, રેલ્વેમાં ત્રીજા વર્ગમાં મુસાફરી કરી.
૧૯૦૩ ૧ જાન્યુઆરી પ્રીટોરીયા ગયા અને એપ્રીલથી વકીલાતનો પ્રારંભ.
૧૯૦૭ સત્યાગ્રહ આંદોલનની શરુઆત.
૧૯૦૮ બે માસની કારાવાસની સજા. ૧૫ ઓક્ટોબર બે માસની જેલ ફરીથી.
૧૯૧૦ શીક્ષણ પ્રબંધ કર્યો.
૧૯૧૩ કસ્તુરબા સાથે સત્યાગ્રહના આંદોલનમાં પકડાયા.
૧૯૧૪ સત્યાગ્રહીઓની નૈતીક ભુલને કારણે ૧૪ ઉપવાસ.
૧૯૧૫ મહાત્માનું બીરુદ મળ્યું.
૧૯૧૬ ૪ ફેબ્રુઆરી, શ્રી નહેરુ સાથે પ્રથમ મુલાકાત.
૧૯૧૭ ૧૩ જુન, સાબરમતી આશ્રમની સ્થાપના.
૧૯૧૮ ૧૧ એપ્રીલ, રૉલેટ ઍક્ટનો વીરોધ કરવા દીલ્હી આવતાં ચળવળમાં ગીરફ્તાર.
૧૯૨૦ ગુજરાત વીદ્યાપીઠની સ્થાપના.
૧૯૨૧ લંગોટી પહેરવાનો નીશ્ચય.
૧૯૨૨ ૧૯ માર્ચ ગુજરાતીમાં આત્મકથા લખવાની શરુઆત કરી.
૧૯૨૩ હીન્દુસ્તાન સેવાદળની સ્થાપના.
૧૯૨૪ ૫ ફેબ્રુઆરી બીનશરતી જેલમુક્તી.
૧૯૩૦ ૧૨ માર્ચ ઐતીહાસીક દાંડી કુચ.
૧૯૩૧ ૨૬ ઑગષ્ટ, ગોળમેજી પરીષદમાં ભાગ લેવા ઈંગ્લેન્ડ જવા રવાના.
૧૯૩૨ ૪ જાન્યુઆરી, સત્યાગ્રહની ફરી શરુઆત.
૧૯૩૩ ૮ મે, ૨૧ દીવસીય ઉપવાસ શરુ. ૨૧ મે, ઉપવાસની સમાપ્તી.
૧૯૩૪ ઑક્ટોબર, કોંગ્રેસના સભ્યપદનો ત્યાગ.
૧૯૩૫ એપ્રીલ, હીન્દીને રાષ્ટ્રભાષાની અપીલ.
૧૯૩૯ હીટલરને યુદ્ધ ન કરવાની અપીલ.
૧૯૪૦ ૧૧ ઑક્ટોબર, સત્યાગ્રહનો સુત્રપાત.
૧૯૪૨ ૯ ઑગષ્ટ, “ભારત છોડો” પ્રસ્તાવને કારણે ગીરફ્તાર. ૧૬ ઑગષ્ટ, મહાદેવભાઈનું અવસાન.
૧૯૪૩ ૧૦ ફેબ્રુઆરી, આગાખાન મહેલમાં ૨૧ દીવસના ઉપવાસનો આરંભ.
૧૯૪૪ ૨૨ ફેબ્રુઆરી, કસ્તુરબાનું અવસાન.
૧૯૪૫ સીમલામાં સ્વાતંત્ર્ય વાર્તાલાપ.
૧૯૪૬ ૧ મે, બ્રીટીશ પ્રતીનીધી મંડળ સાથે મુલાકાત.
૧૯૪૭ માર્ચ બીહાર યાત્રા.
૧૯૪૭ ૧૫ ઑગષ્ટ, ભારતની આઝાદી.
૧૯૪૮ ૧૮ જાન્યુઆરી, નેતાઓના આશ્વાસનથી ઉપવાસની સમાપ્તી.
૧૯૪૮ ૨૦ જાન્યુઆરી, પ્રાર્થનાસભામાં બોમ્બ ફેંકાયો, પણ કોઈ નુકશાન ન થયું.
૧૯૪૮ ૩૦ જાન્યુઆરી, મહાપ્રયાણ (નીર્વાણદીન).
૧૨. કાંઠા વીભાગના સ્વાતંત્ર્ય સૈનીકો
કરાડી
1.